આપણે એવી દુનિયામાં રહીએ છીએ, જે યુવાનોને ખૂબ મહત્ત્વાકાંક્ષી બનવા પ્રોત્સાહિત કરે છે. મહત્ત્વાકાંક્ષા છે શું? એ બસ એક વિચાર છે જેને તમે અમુક મહત્ત્વ આપવાનું નક્કી કરો છો. ધીમે ધીમે આ તમારા જીવનનું ધ્યેય બની જાય છે. તમે આ વિચારમાં એટલી બધી જીવન ઊર્જા રોકો છો કે એ તમારા અસ્તિત્વ પર રાજ કરવા લાગે છે. ક્યાંક રસ્તામાં તમે ભૂલી જાઓ છો કે તમે જ એને બનાવ્યો હતો. વિચાર એના સર્જક કરતાં મોટો થઈ જાય છે.
નંબર ગેમ
નાનપણથી જ માતા-પિતા અને શિક્ષકો બાળકોને `નંબર વન’ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ નંબર વન બનવાનો નિર્ધાર સહેલાઈથી જતો નથી. બસ પૈસાદાર કે સુંદર હોવું પૂરતું નથી. લોકો સૌથી વધારે પૈસાદાર અને સૌથી વધારે સુંદર બનવા માંગે છે. આ નંબર ગેમમાંથી કોઈ છુટકારો નથી. શું મહત્ત્વાકાંક્ષા સારી છે કે ખરાબ? એ બંનેમાંથી એકેય નથી. એ બસ સીમિત છે, કેમ કે એ તમે જે જાણો છો બસ એનો જ વિસ્તાર છે. જો તમે પહેલેથી જ તમારું ધ્યેય નક્કી કરી લીધું હોય તો તમારી સાથે કંઈ નવું નહીં થાય. તમારી મહત્ત્વાકાંક્ષા નક્કી કરવાનો અર્થ એ છે કે તમે નાની જીતોથી સંતોષ મેળવશો. તમને લાગે છે કે તમે ઝડપી છો, પણ ખરેખર તો તમે બીજા બધાથી થોડા ઝડપથી ચાલી રહ્યા છો. જો તમારી આજુબાજુના બધા લોકો પાંગળા હોય, તો તમે એમનાથી થોડા ઝડપથી ચાલો છો. મોટાભાગના લોકો સાથે આવું જ થાય છે. તેઓ કોઈનાથી થોડું સારું કરે છે અને માને છે કે તેઓ ખૂબ સરસ કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે જ્યારે તમે ધ્યેય નક્કી કરો છો, ત્યારે તમે પોતાને સીમિત કરો છો. તમે માનવ પ્રતિભાની ખીલવાની સંભાવનાને રોકી દીધી છે.
ઈરાદા વગરની ભાગીદારી
મોટાભાગના લોકો મહત્ત્વાકાંક્ષા પસંદ કરે છે, કેમ કે તેમને ખબર નથી કે બીજી રીતે કેમ જીવવું. ધ્યેય નક્કી કર્યા વગર સફળતા તરફ મારી જાતને કેમ આગળ વધારવી? આ મૂળભૂત સવાલ છે. આખી યોગ પદ્ધતિ આ જ વાતને સંબોધે છે. એનો ઉદ્દેશ ઈરાદા વગરની ઊંડી ભાગીદારી લાવવાનો છે, પણ ભાગીદારી માટે ઊર્જા જોઈએ. વ્યક્તિ ધ્યેય વગર ઊર્જા કેવી રીતે પેદા કરી શકે? આથી જ બધી આધ્યાત્મિક પરંપરામાં ભક્તિ પર ભાર મૂકવામાં આવે છે. તમારા જીવનમાં નવી સંભાવનાઓ આવે તે માટે અને સૌથી મહત્ત્વનું કે, માનવ પ્રતિભા ખીલે તે માટે, આપણે મહત્ત્વાકાંક્ષી નહીં, પણ આનંદિત અને ભાગીદારીવાળી દુનિયા બનાવવી જોઈએ. જો તમે આનંદથી અને પૂરેપૂરા સામેલ હોવ, તો તમારી ક્ષમતા મુજબ, તમે કલ્પના કરી શકો તેના કરતાં પણ વધુ આગળ જશો.
અસીમતાની ખોજ
સિકંદર, જેને દુનિયાનો સૌથી મહત્ત્વાકાંક્ષી માણસ માનવામાં આવે છે. તે સીમિત મહત્ત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. એ બસ એક ગ્રહને જીતવા માંગે છે, આ મોટા બ્રહ્માંડમાં એક નાનકડો કણ. એ ઈચ્છા એને મોટી લાગે છે; એના માટે એ લોકોને મારે છે; એના માટે એ મરે છે. કેવી ગહન કરુણતા! જો તમે જે કલ્પના કરી હોય બસ તે જ થાય, તો તે કેવું દરિદ્ર જીવન હોય! બીજી તરફ જો તમે પોતાને કોઈ નિશ્ચિત ધ્યેય વગર, હંમેશાં પૂરી તાકાતથી ચાલુ રાખો, તો કોણ જાણે કદાચ તમે એવી જગ્યાઓએ જશો જેની તમે ક્યારેય સપનામાં કલ્પના પણ નહોતી કરી! એટલે પોતાને નિશ્ચિત મહત્ત્વાકાંક્ષાથી સીમિત ન કરો, કેમ કે માનવ હોવું એ અનંત સંભાવના છે, એક અખૂટ ખોજ છે. તમારું જીવન તે અસીમતાની ખોજ વિશે છે.