‘અગ્ર ગુજરાત’ના અહેવાલનો પડઘો : પોલીસે કરી કાર્યવાહી
ગૌરક્ષાના નામે સોદાગરી, ધમકી અને કરોડોની તોડબાજી મામલે અંતે નોંધાયો ગુનો
ગૌ રક્ષકના નામે ગુંડાગીરી, GPS ની ધમકી અને લાખોના વહીવટ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં સોદાગર ભાવિન પટેલ સામે કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગૌરક્ષાના નામે જે ચાલી રહ્યું છે, તે ગૌમાતાની રક્ષા કરતાં વધુ ભય, ધમકી અને નાણાંની લાલચની કહાની બની ગઈ છે. અબોલ જીવો માટે ઉભા થયા હોવાનો દાવો કરનાર કેટલાક ગૌરક્ષકો આજે ખુદ અબોલ જીવો માટે સૌથી મોટો ખતરો બની ગયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખાટકીવાડા અને કસાઈ સમાજના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે, ગૌરક્ષાના નામે એક આખી સેટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે, જ્યાં રૂપિયા આપો તો ધંધો ચાલે, અને રૂપિયા ન આપો તો ધમકી, હુમલો અને ખોટા કેસની ધમકીઓ મળે છે.
રાજકોટના ખાટકીવાડા વિસ્તારમાં વર્ષોથી ખાટકી અને કસાઈ સમાજ દ્વારા મટનનો વ્યવસાય કરવામાં આવે છે. ભૂતકાળમાં ગૌમાતાની કતલ થતી હોવાની માહિતી બાદ કેટલાક ગૌરક્ષકો દ્વારા પશુઓની હેરફેર અટકાવી, તેમને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ કારણે લોકોમાં ગૌરક્ષકો પ્રત્યે લાગણી અને વિશ્વાસ ઊભો થયો. પરંતુ સમય જતા આ જ ગૌરક્ષા હવે સોદાગરીનું સાધન બની ગઈ હોવાનો આરોપ ખુદ ભોગ બનનાર લોકો લગાવી રહ્યા છે.
ગઈકાલે “અગ્ર ગુજરાત” દ્વારા વાયરલ કરાયેલી એક ઓડિયો ક્લિપે સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. આ ઓડિયો ક્લિપમાં ગૌરક્ષક તરીકે ઓળખાતા ભાવિન પટેલ અને એક મટન શોપના સંચાલક વચ્ચેની વાતચીત સાંભળવા મળે છે, જેમાં ભાવિન પટેલ બેફામ ગાળો આપતો અને ખુલ્લેઆમ ધમકી આપતો સંભળાય છે. “તું ધંધો કરી લે અને ગાડી મંગાવી જો કેમ આવે છે?”, “GPS નહીં નાખે તો ગાડી નહીં ચાલે” અને “રૂપીયા નહીં આપે તો મારી નાખીશ” જેવી વાતો ગૌરક્ષાની ભાવનાને શરમમાં મૂકતી લાગે છે.
ઓડિયો ક્લિપમાં મટન શોપના સંચાલક સ્પષ્ટપણે કહે છે કે, “તમને બધું સેટિંગ ગોઠવવા માટે 13 લાખ રૂપિયા આપ્યા છે.” આ જ સમગ્ર કથાનો કાળો ચહેરો ઉજાગર કરે છે. જો આ રૂપિયા અબોલ જીવોની રક્ષા માટે છે, તો પછી માલ શા માટે પકડાય છે? અને જો માલ પકડાય છે, તો આ 13 લાખ ક્યાં ગયા? આ પ્રશ્નોના જવાબમાં ભાવિન પટેલ અન્ય લોકો પર દોષ ધોળતો જણાય છે, જે શંકાને વધુ ઘેરી બનાવે છે.
ભોગ બનનાર વેપારીઓનું કહેવું છે કે ભાવિન પટેલ અને તેની સાથે જોડાયેલી ટોળકી અવારનવાર કસાઈવાડામાં ઘૂસી આવે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “જો ધંધો કોઈ તકલીફ વગર ચાલુ રાખવો હોય, તો દર મહિને નક્કી થયેલી રકમ આપવી પડશે.જો રૂપિયા ન અપાય તો ગાડીઓ અટકાવવામાં આવે, માલ જપ્ત કરાવવામાં આવે, મારામારી કરવામાં આવે અને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવે છે. આ સ્થિતિ ગૌરક્ષા કરતાં વધુ હપ્તાખોરી અને ગુંડાગીરી જેવી લાગે છે.
તાજેતરમાં પંચનાથ મંદિર નજીક એક રિક્ષામાં ભેંસવંશના પાડાને કતલખાને લઈ જવાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગૌરક્ષક ગણાતા ભાવિન પટેલ અને જયેન્દ્ર ઉર્ફે જેકી અનિલભાઈ ચંદવાણીયાના કહેવાથી વોચ ગોઠવવામાં આવી હતી. રિક્ષા અટકાવતા મામલો મારામારી સુધી પહોંચ્યો. આ અથડામણમાં ગૌરક્ષક કિશન વિકલેશ શર્માને છરી વાગી અને ઈજા પહોંચી. આ ઘટના બાદ ચર્ચા શરૂ થઈ કે આ સમગ્ર મામલો પતાવવા માટે પણ 13 લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ભોગ બન્યા છે. અબોલ જીવો. જેમના નામે આ બધું થઈ રહ્યું છે, તે જ અબોલ જીવો જાણે મૌન ભાષામાં કહી રહ્યા હોય કે, અમારા નામે ધંધો, ધમકી અને લોહિયાળ રમત બંધ કરો… હવે તો અમને બક્ષો.ગૌમાતાની રક્ષા કરવાની વાતો એક તરફ અને ગૌમાતાના નામે લાખોની લેવડદેવડ બીજી તરફ, આ વિરોધાભાસ હવે ખુલ્લેઆમ સામે આવી ગયો છે.
અંતે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ભોગ બનનાર આસીફભાઈ અબ્બાસભાઈ બેલીમ (રહે. સદર ખાટકીવાડ, ઠક્કર બાપા છાત્રાલય સામે) દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 10 જાન્યુઆરીની રાત્રે યાજ્ઞિક રોડ પર સ્કેચર્સ શોરૂમની બાજુમાં બાપા સીતારામના ઓટા પાસે હાજર હોય ત્યારે ભાવિન પટેલનો ફોન આવ્યો હતો. ફોનમાં તેણે કહ્યું કે, તું ગાડીમા ઢોર ભરીને કેટલા ફેરા મારે છે તેની મને ખબર છે, અને એ પ્રમાણે તારી પાસેથી રૂપિયા લેવાશે. આસીફભાઈએ જવાબ આપ્યો કે, અમે રેગ્યુલર હપ્તા આપીએ છીએ છતાં હેરાન કરો છો, તો ભાવિન પટેલે GPS લગાવવાની માગણી કરી અને GPS નહીં નાખે કે વધુ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5) અને 351(3) મુજબ ભાવિન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની તપાસ PSI કે. કે. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ ખાટકી અને કસાઈ સમાજ એકસાથે ઉભો થયો છે. સમાજના લોકો કહે છે કે, તેઓ કાયદેસર ધંધો કરે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદો પોતાનું કામ કરે, પરંતુ ગૌરક્ષાના નામે તોડબાજી, ધમકી અને હિંસા હવે સહન નહીં થાય. આ પ્રકરણ ગૌરક્ષાની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે. સાચી ગૌરક્ષા ક્યાં છે? અને ગૌમાતાના નામે ચાલતો આ ધંધો ક્યાં સુધી જશે?
આજે રાજકોટમાંથી ઉઠતો આ અવાજ માત્ર એક સમાજનો નથી, પરંતુ સમગ્ર સમાજની અંતરાત્માને ઝંઝોડતો સવાલ છે. જો સમયસર આ બધું રોકવામાં નહીં આવે, તો આવતીકાલે અબોલ જીવો સાથે સાથે માનવતાની પણ કતલ થશે. અબોલ જીવો ફરી એક વાર ચીસ પાડે છે. “હવે તો અમને બક્ષો!”
લાયસન્સ માગનાર ગૌરક્ષક કોણ?
ગૌરક્ષાના નામે તાનાશાહી, ધમકી અને લાખોની લેવડદેવડ પર ઊભા થયા ગંભીર સવાલ
અબોલ જીવોની ગેરકાયદેસર હેરફેર કરતી ગાડીઓને ગૌરક્ષકો દ્વારા પકડવામાં આવતી હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આવી સ્થિતિમાં નિયમ મુજબ પશુઓની હેરફેર બાબતે કાર્યવાહી કરવાની જવાબદારી સીધી રીતે પોલીસ તંત્રની હોય છે અને ત્યારબાદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ આજે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે ગૌરક્ષાના નામે ચાલતી આખી વ્યવસ્થાને કટઘરામાં ઊભી કરી દીધી છે.
વાયરલ ઓડિયો ક્લિપમાં ગૌરક્ષક તરીકે ઓળખાતો સોદાગર ભાવિન પટેલ એવી રીતે વાતચીત કરતો સંભળાય છે જાણે તે કોઈ આઈપીએસ અથવા આઈએએસ અધિકારી હોય. ઓડિયોમાં ભાવિન પટેલ ખાટકી અને કસાઈ સમાજના લોકોને ખુલ્લેઆમ લાયસન્સ અને પરવાના બાબતે પ્રશ્નો કરી રહ્યો છે. તારી પાસે પરવાનો છે?, લાયસન્સ બતાવ, જેવા શબ્દો સાથે તે વેપારીઓને ધમકાવી રહ્યો હોવું સ્પષ્ટ સંભળાય છે. આ ઓડિયો સાંભળ્યા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, ગૌરક્ષક ગણાતો ભાવિન પટેલ કયા કાયદા હેઠળ અને કઈ કાયદાકીય મંજૂરીથી આવા અધિકાર જતાવી રહ્યો છે?
કાયદા મુજબ અબોલ જીવોની ગેરકાયદેસર હેરફેર પકડવાની, તપાસ કરવાની અને કાર્યવાહી કરવાની સત્તા માત્ર પોલીસ અને અધિકૃત સરકારી વિભાગોને જ હોય છે. કોઈ પણ ખાનગી વ્યક્તિ કે સંસ્થા પોતાને કાયદાનો રક્ષક માનીને લાયસન્સ માગી શકે નહીં કે ધમકીઓ આપી શકે નહીં. ત્યારે પ્રશ્ન એ છે કે, ગૌરક્ષકના નામે ઓળખાતો ભાવિન પટેલ કઈ સરકારની મંજૂરી હેઠળ અથવા કયા સરકારી વિભાગના આદેશથી આવી તાનાશાહી આચરી રહ્યો છે?
ઓડિયો ક્લિપમાં માત્ર ધમકી જ નહીં પરંતુ લાખો રૂપિયાના વહીવટની વાતો પણ સ્પષ્ટ રીતે સંભળાય છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો ગૌરક્ષાના નામે એક આખું ‘આતંકનું સામ્રાજ્ય’ ઉભું કરવામાં આવ્યું હોવાની આશંકા નકારી શકાતી નથી. અબોલ જીવોની રક્ષા કરવાની આડમાં વેપારીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે અને રૂપિયા ન આપે તો લાયસન્સ, પરવાના અને કાયદાની ધમકી આપવામાં આવે. આ સ્થિતિ લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ચેતવણી સમાન છે.
આ સમગ્ર મામલે હવે સૌથી વધુ જરૂરી છે નિષ્પક્ષ અને કડક પોલીસ તપાસ. ગૌરક્ષક તરીકે ઓળખાતા ભાવિન પટેલ પાસે કાયદેસર કોઈ સત્તા છે કે નહીં, લાયસન્સ માગવાનો અધિકાર તેને કોણે આપ્યો, અને લાખોની લેવડદેવડના આક્ષેપો પાછળ સાચી હકીકત શું છે. તે તમામ બાબતોની તપાસ થવી અનિવાર્ય બની છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ગૌરક્ષાના નામે થતી ગેરકાયદેસર તાનાશાહી સમાજમાં વધુ ભય અને અરાજકતા ફેલાવી શકે છે.
અબોલ જીવોની રક્ષા માટે કાયદો છે, વ્યવસ્થા છે અને પોલીસ તંત્ર છે. પરંતુ ગૌરક્ષાના નામે કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર બનીને ધમકીઓ આપે અને લાખોનો વહીવટ કરે તે બાબતને રોકવા માટે હવે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
‘મ્યુનિસિપલ કમિશનરને પણ ગાળો!’
ગૌરક્ષાના નામે સોદાગીરી કરતો ભાવિન પટેલ IAS–IPSથી પણ ઉપર હોવાનો દાવો કરે છે?
ગૌરક્ષાના નામે ગૌરક્ષક બનીને સોદાગીરી કરવાના ગંભીર આક્ષેપો વચ્ચે ભાવિન પટેલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વેપારી સાથેની વાતચીત દરમિયાન માત્ર નાણાંના વહીવટની ચર્ચા જ નહીં, પરંતુ લાયસન્સ અને પરવાના બાબતે જે ભાષા વપરાઈ છે, તે સાંભળીને કાયદો અને લોકશાહી બંને શરમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
વાયરલ ઓડિયો ક્લિપમાં ગૌરક્ષક તરીકે ઓળખાતો ભાવિન પટેલ પોતે જાણે કોઈ સંવિધાનિક સત્તાધિકારી હોય તેમ વેપારી પાસે લાયસન્સ અંગે સવાલો કરે છે. એટલું જ નહીં, વાતચીત દરમિયાન તે મ્યુનિસિપલ કમિશનરને લઈને પણ બેફામ અને અશ્લીલ ગાળો ભાંડે છે. તેનું કોઈ કાંઈ ઉખેડી નહીં શકે જેવા બિભસ્ત શબ્દો બોલીને તે સરકારી તંત્ર પ્રત્યે ખુલ્લેઆમ અવમાનના વ્યક્ત કરતો સંભળાય છે.
આ ઓડિયો સામે આવ્યા બાદ સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થયો છે કે, શું ભાવિન પટેલ પોતાને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કરતાં પણ ઉપર માને છે? મ્યુનિસિપલ કમિશનર જેવો સંવિધાનિક પદ પરનો અધિકારી પણ જો તેની નજરે કંઈ ન ઉખેડી શકે, તો આ વ્યક્તિને આવી હિંમત ક્યાંથી આવી? અને કોના આશીર્વાદે તે ગૌરક્ષાના નામે આવી તાનાશાહી આચરી રહ્યો છે?
કાયદા મુજબ વેપારીઓ પાસેથી લાયસન્સ માગવાનો અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત સરકારી વિભાગોને જ હોય છે. કોઈ ખાનગી વ્યક્તિ કે ગૌરક્ષક તરીકે ઓળખાતી વ્યક્તિ વેપારીઓને લાયસન્સ બાબતે ધમકાવી શકે નહીં. છતાં આ ઓડિયો ક્લિપમાં ભાવિન પટેલ ખુલ્લેઆમ લાયસન્સ, પરવાના અને કાયદાની વાતો કરીને વેપારીઓને દબાણમાં લેતો હોવાનું સ્પષ્ટ થાય છે.
આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ગૌરક્ષાના નામે થતી સોદાગીરી પૂરતો સીમિત નથી, પરંતુ તે સરકારી તંત્રની પ્રતિષ્ઠા અને કાયદાના શાસન પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો કોઈ વ્યક્તિ મ્યુનિસિપલ કમિશનર સામે પણ આવી ભાષા વાપરી શકે છે, તો સામાન્ય વેપારી અને નાગરિકોની સ્થિતિ શું હશે તે વિચારવું પણ ભયજનક છે. હવે જરૂર છે કે આ વાયરલ ઓડિયો ક્લિપના આધારે તટસ્થ અને કડક તપાસ કરવામાં આવે. ભાવિન પટેલને લાયસન્સ બાબતે બોલવાનો અધિકાર કોણે આપ્યો, મ્યુનિસિપલ કમિશનર વિશે અપમાનજનક ભાષા વાપરવાની પાછળ તેની માનસિકતા શું છે અને નાણાંના વહીવટની ચર્ચા કયા સંદર્ભમાં થઈ.? તે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે.
ગૌરક્ષાના નામે જો કોઈ વ્યક્તિ પોતાને કાયદાથી ઉપર માને અને સંવિધાનિક પદાધિકારીઓને પણ ગાળો આપવા લાગે, તો તે માત્ર એક ઓડિયો ક્લિપનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાને ચેતવણી આપતો ગંભીર સંકેત છે. હવે જોવાનું એ છે કે કાયદો પોતાની જગ્યા પર ઊભો રહેશે કે પછી ગૌરક્ષાના નામે ચાલતી આ તાનાશાહી વધુ મજબૂત બનશે.


