ટ્રાફિક વ્યવસ્થા જાળવતા TRB જવાનના વેતનમાં દસકા બાદ કરાયો રૂ.૧૫૦નો વધારો
હવે રૂ.3૦૦ના બદલે રૂ.૪૫૦ ચૂકવાશે : સરકારના નિર્ણયથી રાજયના ૧૦ હજાર જવાનને ફાયદો મળશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતના અલગ અલગ શહેરોમાં ટ્રાફિક વ્યુવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા TRB (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોના માનદ વેતનમાં 9 વર્ષના લાંબા ગાળા બાદ દૈનિક રૂ. 150નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને દૈનિક રૂ. 300ના બદલે રૂ. 450ના વેતનની ચૂકવણી કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ટીઆરબીમાં ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે.
ટ્રાફિક પોલીસ સાથે તાપ, ટાઢ વચ્ચે ફરજ બજાવતા રાજ્યના ટ્રાફિક બ્રિગેડના 10,000 જેટલા જવાનોના વેતનમાં 9 વર્ષના લાંબા ગાળા બાદ વધારો કરાયો છે. 2018થી દૈનિક રૂ. 300ના વેતનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને હવે દૈનિક રૂ. 450 મળશે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે, જે આજથી અમલી બનશે.આ નિર્ણયથી 10,000થી વધુ TRB પરિવારોને સીધો લાભ મળશે.
રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગના વર્ષ 2018ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ.300 ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ.450 કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 10,000 થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.


