૧૧૦ કિ.મી.ની ઝડપે દોડતી આ ટ્રેન અમદાવાદથી ભુજ પાંચ કલાકમાં પહોંચશે
ભૂજ અને અમદાવાદને જોડતી ફાસ્ટ ટ્રેન વંદે ભારત શરૂ કરતા પહેલા રેલવે તંત્ર દ્વારા તેની ટ્રાયલ રન લેવામાં આવી હતી. નજીકના ભવિષ્યમાં જ આ ટ્રેન શરૂ થતાં ભૂજ-અમદાવાદ વચ્ચેનું અંતર પાંચ કલાકમાં કપાશે. આ ટ્રેન ૧૧૦ કિ.મી.ની ઝડપે દોડશે. સામાન્ય ટ્રેન ૮૦ કિ.મી.ની સરેરાશ ઝડપે દોડતી હોય છે. આથી મુસાફરોના સમયનો બચાવ થશે.
આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમદાવાદથી ભુજનું અંતર પાંચ કલાકમાં કાપી મેટ્રો ટ્રેન ત્રણ યુનિટના કુલ ૧૨ એસી કોચ સાથે બપોરે ૧૨.૫૯ કલાકે ભુજ આવી હતી. સફળ ટ્રાયલમાં પાંચ કલાકમાં પહોંચેલી વંદે ભારત આગામી તહેવારોથી નિયમીતપણે દોડે અને સાડા ત્રણ કલાકમાં ભુજ-અમદાવાદની સફર પૂર્ણ કરે તેવું આયોજન હોવાનું રેલવે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છમાંથી વંદે ભારત ટ્રેન નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય અને તેને વંદે ભારત મેટ્રો નામ અપાય તેવી સંભાવના છે.
એકતરફ ભુજ-નલિયા બ્રોડ ગ્રેજ ટ્રેન હજુ કયારે શરૂ થશે તેની રાહ જોવામાં આવી રહી છે તે વચ્ચે આજે ભુજ- અમદાવાદ વંદે ભારત ટ્રેન ભુજ આવી પહોંચી હતી. પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ- ભુજ વંદે ભારત ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ સંપન્ન થઈ હતી. રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, ત્રણ યુનિટના ૧૨ એસી કોચ સાથેની વંદે ભારત ટ્રેન આજે બપોરે ભુજ ખાતે બપોરે ૧૨.૫૯ કલાકે પહોંચી હતી અને પરત બપોરે જ ૧૩.૪૦ કલાકે અમદાવાદ રવાના થઈ હતી. ૧૧૦ની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનને ભુજ પહોંચતા પાંચ કલાકનો સમય લાગ્યો હતો. અમદાવાદથી રવાના થયા બાદ વંદે મેટ્રો ટ્રેન વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને સ્ટોપ થઈ હતી. ભુજ રેલવે અધિકારી કે.કે. શર્માએ જણાવેલ કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જેનું સંપૂર્ણ સંચાલન રેલ એન્જિનમાંથી થાય છે. કચ્છને હાઈસ્પીડ ટ્રેન મળવાથી ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે. ટ્રાયલનો રિપોર્ટ મુંબઈ મોકલાયો છે આ રિપોર્ટ બાદ આગામી સમયમાં ટ્રેનને કયારથી દોડાવવી તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.