રાજકોટના માલિયાસણ પાસે હાઇવે પર વાહનોના ખડકલાં : કાયદામાં ૧૦ લાખનો
દેશમાં બનતા હિટ એન્ડ રનના બનાવને અટકાવવા માટે મોદી સરકારે સદનમાં હિટ એન્ડ રનનો નવો કાયદો મૂકયો છે. જે આગામી એપ્રિલ ૨૦૨૪થી અમલી બનવા જઇ રહ્યો છે. આ કાયદાની જોગવાઇમાં વાહન ચાલક અકસ્માત સર્જી નાસી જાય એ કિસ્સામાં તેની ધરપકડ કરી રૂ.૧૦ લાખનો દંડ તથા ૮ વર્ષની જેલ સજાની જોગવાઇ છે. જેનો ટ્રક ચાલકોએ ખુલીને વિરોધ કર્યો છે. આજે અચાનક કોઇ આગોતરી જાણ વિના ટ્રક ચાલકોએ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા-જુદા ધોરીમાર્ગો પર ચક્કાજામ કરી ટ્રાફિક જામ કરી દીધો હતો. આ કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
બીજી બાજુ રાજકોટ ગુડઝ ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુ ભગદેવએ ‘અગ્ર ગુજરાત’ને જણાવ્યા મુજબ આ આંદોલન એસોસીએશન દ્વારા કરવામાં આવ્યું નથી. ટ્રક ચાલકોએ સ્વયંભૂ કર્યુ છે. પરંતુ કાયદાની જોગવાઇ સામે ટ્રાન્સપોર્ટરોને પણ વિરોધ છે. અકસ્માતના કેસમાં ટ્રક ચાલક ભાગી જવા માંગતો નથી હતો. પરંતુ લોકોના ટોળા તરફથી જીવલેણ હુમલાના ભયના કારણે ભાગી જવુ પડે છે. આવા સંજોગોમાં જો તેમને જેલ સજા અને રૂ.૧૦ લાખ જેવો દંડ થાય તો દેશમાં નવા ટ્રક ડ્રાઇવરો મળશે જ નહી.
કેન્દ્ર સરકારને અમારી રજુઆત છે કે બંને પક્ષે ન્યાય મળે તે રીતે કાયદાનું પુન: વિશ્લેષણ થવુ જોઇએ. ટ્રક ડ્રાઇવર અકસ્માત કરવા ઇચ્છતો નથી હોતો. પરંતુ કોઇ સંજોગોમાં અકસ્માત થઇ જાય તો તે વાહન સાથે અથવા વાહન છોડીને નજીકના પોલીસ સ્ટેશન સુધી સીધો જ પહોંચી જાય અને પોલીસ તેને રક્ષણ આપે એટલો આ સુચિત કાયદામાં સુધારો થવો જોઇએ તેવી અમારી માંગણી છે.
દરમિયાનમાં આજે સવારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટ નજીકના માલીયાસણ પાસે ટ્રક ચાલકોએ અચાનક જ હાઇવે પર ટ્રક વાહનો મૂકી અને ચક્કાજામ કરી દીધો હતો