સરકાનું ધ્યાન ખેચવા અપાયું હડતાલનું એલાન
મંગળવારે ૮ લાખ બેંક કર્મચારીઓની હડતાલ : રાજકોટના 1500 કર્મીઓ જોડાશે
પાંચ દિવસનું અઠવાડિયું, દર શનિ અનજે રવિવાર રજાની માંગણી
દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા. 27 જાન્યુઆરીને મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપ્યું છે. જેમાં વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. જેમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાશે. બેંક હડતાળને કારણે ગ્રાહકોને પડનાર સભવિંત મુશ્કેલી અંગે યુનિયન દ્વારા દિલગીરી વ્યકત કરવામાં આવી હતી.
બેંક કર્મચારીઓનું હડતાળનું એલાન ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાળનું એલાન આપવાની ફરજ પડી છે.
‘શનિ-રવિ બેંકોમાં રજાથી ગ્રાહક સેવાને અસર પડશે નહિ’ તેમણે વધુમા જણાવ્યું હતુ કે, અઠવાડીયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો, એલ.આઈ.સી, રિઝર્વ બેંક, શેર બજાર, ફોરેક્સ માર્કેટમાં હાલ 5 દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવ્યા છે. દર શનિ-રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ. કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો છે.


