હિન્દુ સંસ્કૃતિમાં દેવોની જેમ જ દેવીઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતભરમાં અને આસપાસના દેશોમાં શક્તિપીઠ જોવા મળે છે. આ શક્તિપીઠમાં દેવીઓની આરાધના કરવામાં આવે છે.
ભારતભરના શ્રદ્ધાળુઓ વાર-તહેવારે અને ખાસ કરીને નવરાત્રી પર્વમાં આ દેવી મંદિરોમાં જઇને પૂરા ભક્તિભાવથી અને વિધિસર પૂજા કરતા જોવા મળે છે. આ શક્તિપીઠ પૈકી બિહારના રોહતાસ જિલ્લામાં આવેલી કૈમુરની ટેકરીઓની તળેટીમાં તુતલા ભવાની માતાનું મંદિર આવેલું છે, જેનો ઉલ્લેખ પ્રાચીન શક્તિસ્થળોમાં પણ જોવા મળે છે. અલબત્ત, આ શક્તિસ્થળ કે શક્તિપીઠનું વર્ણન માર્કંડેય પુરાણમાં વિશેષ જોવા મળે છે. ભારતનાં પ્રાચીન પુરાણોમાં તુતલા ભવાની દેવીને શોણાક્ષી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર વિશે એવી દંતકથા પણ પ્રચિલત છે કે, જ્યારે પણ નવરાત્રી પર્વ આવે છે ત્યારે નવરાત્રીની આઠમે અહીં દેવી સાક્ષાત્ નૃત્ય કરવા આવે છે. નવરાત્રી પર્વમાં અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓનું ટોળું દેવી દર્શન કરવા ઊમટી પડે છે.
માર્કંડેય પુરાણમાં શોણાક્ષી દેવીનું વર્ણન અને શિલાલેખ
ઉપર જણાવ્યા મુજબ ઐતિહાસિક પુરાતત્ત્વિક વિષયોને સંપૂર્ણ બારીકાઇથી જાણનાર ડો. શ્યામસુંદર તિવારીએ જણાવ્યું હતું કે, માર્કંડેય પુરાણમાં સોન નદીના કિનારે શોણાક્ષી દેવીનું વિશેષ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ મંદિર માટે આશ્ચર્યની વાત એ છે કે, જગદ્ધાત્રી દુર્ગા(તુતલા ભવાની)ના અભિષેક પ્રસંગે, ખારવાર રાજા પ્રતાપ ધવલદેવે 19 એપ્રિલ, 1158, શનિવારના રોજ, વિક્રમ સંવત 1214ના જ્યેષ્ઠ મહિનાના અંધારા પખવાડિયાના ચોથા દિવસે પોતાનો પહેલો શિલાલેખ બનાવ્યો. તે સમયે ખારવાર રાજાનો પરિવાર હાજર હતો.
પ્રસ્તુત શિલાલેખની ભાષા સંસ્કૃત અને લિપિ પ્રારંભિક નાગરી છે. ડો. શ્યામ તિવારીના જણાવ્યા પ્રમાણે અહીં જે શારદા લિપિમાં શિલાલેખ જોવા મળે છે તે આઠમી સદીનો છે, જે વાચંવામાં આવેલ નથી. અહીં જે નદી વહે છે તેનું નામ `કછુઅર’ છે. પ્રસ્તુત મંદિરમાં દેવીની પ્રતિમા ગઢવાલ કાલીન મૂર્તિકળાનો અદ્ભુત નમૂનો છે, જે મૂળ દેવી અષ્ટભુજી છે. આ પ્રતિમા દૈત્ય મહિષના ગળામાંથી નીકળે છે, જેને દેવી પોતાના બંને હાથથી પકડીને ત્રિશૂળથી મારી રહ્યાં છે.
ફ્રાંસીસ બુકાનન યાત્રીએ પણ આ વિશેષ મંદિરની નોંધ લીધી છે
વિશ્વયાત્રી ફ્રાંસિક બુકાનને પોતે કરેલી યાત્રાઓમાં આ મંદિર વિશેની નોંધ લીધી હતી. તેની યાત્રાયાદીમાં 14 ડિસેમ્બર, 1812માં તુતલા ભવાની ધામ તેણે દર્શન કર્યાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તુતલા ભવાની મંદિર વિશે જણાવ્યું હતું કે, આ દેવી સ્થળ ખૂબ જ પ્રાચીન જણાઇ રહ્યું છે, અહીં મુખ્ય બે દેવીઓની પ્રતિમા છે, જેમાંથી એક પ્રતિમા થોડી નવી જ્યારે અેક પ્રતિમા ખૂબ જ જૂની પુરાણી હોય એવુું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ જૂની પુરાણી પ્રતિમા ખંડિત પણ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, તે સમયે નાયક પ્રતાપ ધવલે દેવીની બીજી પ્રતિમાની ખૂબ જ ધામધૂમથી અને વિધિસર પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને એક શિલાલેખ પણ બનાવ્યો હતો. નાયક પ્રતાપ ધવલદેવના શિલાલેખને હેનરી કોલબ્રુકે 1824માં પહેલીવાર વાંચ્યો હતો! અર્થાત્ આ શિલાલેખ અને મંદિરની નોંધ તે સમયે પણ વિશ્વભરમાં લેવામાં આવી હતી.
મંદિરમાં ઊજવાતા મુખ્ય તહેવારો
તુતલા ભવાની મંદિરમાં ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. નવરાત્રિમાં અહીં યજ્ઞ પણ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશાલ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિ સિવાય અહીં શ્રાવણ માસમાં પણ મેળો ભરાય છે. શ્રાવણ માસમાં ભારતભરના શ્રદ્ધાળુઓ તુતલા ભવાની માતાના દર્શનાર્થે અહીં પૂરા ભક્તિભાવથી આવે છે. આ મંદિરમાં શ્રાવણી પૂનમનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે મંદિરની આસપાસના લોકો માતા તુતલા ભવાનીની પૂજા કરે છે અને ત્યારબાદ પોતાના કુળદેવતાની પૂજા પણ કરે છે. આ મંદિરમાં અન્ય હિન્દુ તહેવારોમાં પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જોકે, અહીં તુતલેશ્વરી મહોત્સવનું અનેરું માહાત્મ્ય છે. ભવાની મંદિરમાં તુતલેશ્વરી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવ દર વર્ષે માઘ સુદ નવમીના રોજ ઊજવવામાં આવે છે. જોકે, તે પહેલાં તે દર વર્ષે 27 મેના રોજ ઊજવવામાં આવતો હતો, પરંતુ હવામાન અને ધાર્મિક પરંપરાઓને કારણે, તારીખ બદલીને માઘ સુદ નવમી કરવામાં આવી છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે તુતલા ભવાની મંદિર વિમાન માર્ગેથી આવવા માંગતા હોવ તો નજીકના એરપોર્ટમાં પટના, ગયા અને વારાણસી અેરપોર્ટ છે. અહીં આવ્યા બાદ તમને સરકારી કે ખાનગી વાહનો મળી શકે છે. અહીંથી તમે તુતલા ભવાની મંદિર પહોંચી શકો છો. જો તમે ટ્રેન મારફતે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન સાસારામ (SSM) છે. અહીંથી પણ તમને સરકારી કે ખાનગી વાહનો મળી જાય છે, જે તમને મંદિર સુધી સરળતાથી પહોંચાડે છે. મંદિર NH2 પર આવેલ છે જેથી પટના, આરા, નવી દિલ્હી, કોલકાતા, રાંચી ઉપરાંત આસપાસનાં નાનાં-મોટાં શહેરોની પણ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. આ બધી જગ્યાએથી તમને મંદિર આવવા માટેનાં ખાનગી વાહનો કે સરકારી વાહનો સરળતાથી મળી જાય છે.


