- નાગદત્તનું તલવારથી માથું છેદવામાં આવે છે એ સમયે ગળાના બદલે તલવારના બે કટકા થઈ જાય છે
નાગદત્ત ઉજ્જૈયિની નગરીનો રહેવાવાળો હતો. એના પિતાનું નામ સાગરદત્ત હતું. નાગદત્ત નાની ઉંમરથી જ બાહોશ અને સાહસિક હતો, સાથે સાથે પ્રામાણિક અને કરુણાર્દ્ર હૃદયવાળો હતો. કોઈ પણ દુઃખી જીવ એના જોવામાં આવે ત્યારે એનું દિલ વેદનાથી ભરાઈ જતું. એનાં દુઃખ દર્દને દૂર કરવાનું પોતાનાથી શક્ય હોય તો એ કર્યે જ છૂટકો.
પિતાજી તરફથી પણ એને કોઈ પ્રતિબંધ ન રહેતો, કારણ કે સાગરદત્તને પોતાના પુત્ર માટે અનહદ લાગણી હતી. પોતાના દીકરા માટે લાગણી તો દરેક પિતાને હોય, પણ આમને સવિશેષ હતી.
એ જ નગરમાં બીજા એક શ્રેષ્ઠી સમુદ્રદત્ત પણ રહેતા હતા. એમનો વ્યાપાર ઘણો મોટો હતો. એક જ નગરમાં રહેતા હોવાના કારણે એકબીજાનો સારો પરિચય હતો.
સમુદ્રદત્તને પોતાના સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતાં. દીકરાનું નામ નાગસેન અને દીકરીનું નામ પ્રિયંગુશ્રી.
નાગસેન આમ તો સારો યુવક હતો, પણ એનો ગુસ્સો થોડો વધારે હતો. એને ન ગમતું કામ કોઈ કરે તો એ બર્દાસ્ત કરી શકતો નહીં.
પ્રિયંગુશ્રી શિષ્ટ, સૌમ્ય અને સદાચારી યુવતી હતી. શીલ અને સદાચાર એના પ્રાણ હતા. જ્યારે પણ સમય મળે ત્યારે શિષ્ટ વાંચન કરવાનું એ ચૂકતી નહીં. ઘરમાં બધાની સાથેનો એનો વ્યવહાર મધુર હતો. તો આસપાસના વર્તુળમાં પણ એની સુવાસ સારી હતી.
નાગદત્તના પિતા સાગરદત્તને પ્રિયંગુશ્રી પસંદ આવી હતી. એના પિતાએ નાગદત્ત માટે માંગું મૂક્યું.
સમુદ્રદત્તને પણ નાગદત્ત જમાઈ તરીકે યોગ્ય લાગ્યો. યોગ્ય માણસની સુવાસ તો ચારે દિશામાં ફેલાતી જ હોયને!
જ્યારે આની વાત આવી એ સમયે પ્રિયંગુશ્રીનો ભાઈ નાગસેન બહાર ગયો હતો. એની ગેરહાજરીમાં પ્રિયંગુશ્રી અને નાગદત્તની સગાઈ જાહેર થઈ ગઈ.
બે-ત્રણ દિવસમાં નાગસેન બહારગામથી આવ્યો. એના મિત્રએ એને સમાચાર આપ્યા, તારી બહેનની સગાઈ નાગદત્ત સાથે થઈ ગઈ છે.
હકીકતમાં નાગસેનની ઇચ્છા એના મિત્ર પદ્મસેન સાથે સગાઈ કરવાની હતી. એણે વિચારેલું બહારગામથી આવીને પિતાને વાત કરીશ, પણ એની પહેલાં તો વાત આગળ વધી ચૂકી હતી.
પદ્મસેને જ આ વાત નાગસેનને કરેલી હતી. નાગસેન ચિંતામાં પડ્યો હવે શું કરવું? નાગદત્ત અને નાગસેન પરસ્પર પરિચિત હતા, પણ એને પોતાના બનેવી તરીકે પદ્મસેન ગમતો અને મિત્રની સાથે સંબંધ બાંધવામાં એને રસ હતો પણ હવે શું થાય?
મનમાં વિચારો ઘણા આવે છે કે ગમે તેમ કરીને આ સંબંધ અટકાવવો છે. એટલું સબળ કારણ તો હોવું જોઈએને!
એ સમય સંબંધ તોડવાનો ન હતો, પણ સંબંધ જોડવાનો હતો. અત્યારના કોઈ હોત તો એ વિચારત હજુ તો સગાઈ જ થયેલી છેને! વિવાહબંધને તો નથી બંધાયાંને! એ સમયે પોતાના વચનની કિંમત માણસ સમજતો હતો. એટલે આ સંબંધમાં આપણે કંઈ પણ વિચાર કરી ન શકાય.
પ્રિયંગુશ્રી અને નાગદત્ત આ સંબંધથી રાજી હતાં. બંને જણાં કોઈ પ્રસંગમાં મળી ચૂકેલાં હતાં. એકબીજાને ઔપચારિક રીતે ઓળખતાં હતાં. બધું બરાબર, પણ નાગસેનને આ સંતોષ નથી. એને ગુસ્સો આવવા લાગ્યો. અરે, એટલું જ નહીં એનો ગુસ્સો આકાશમાં જાણે ઊડવા લાગ્યો, પણ એ કંઈ કરી શક્યો નહીં.
બહારથી દેખાવ તો સારો જ કરાતો હોય. અંદરમાં શું ચાલે છે એની સામેવાળાને ખબર પડવા ન દે. શઠ માણસોનું આ જ તો લક્ષણ હોય છે.
સમુદ્રદત્ત અને સાગરદત્તે મળીને દીકરા-દીકરીનાં લગ્ન ધામધૂમથી કરાવી દીધાં. બંને પ્રસન્નતાથી પોતાનું દાંપત્યજીવન આગળ વધારી રહ્યાં છે. નાગસેનના અણગમાની આ બેમાંથી કોઈને કંઈ ખબર નથી. એ તો સ્વાભાવિક રીતે જ વર્તી રહ્યાં છે. નાગસેન મળે તો પણ એમના વહેવારમાં કોઈ ફરક પડે નહીં.
નાગદત્તની ઉંમર નાની હોવા છતાં પૂરા નગરમાં એનું નામ હતું. નગરીના રાજા ધર્મપાલ હતા. એ પણ નાગદત્તને માન આપતા.
એક વાર નગરની બહાર કોઈ આચાર્ય ભગવંત પરિવાર સાથે પધાર્યા. એમનાં દર્શન કરવા મહારાજા ધર્મપાલ સહિત નગરજનો ગયેલા. પ્રવચન શ્રવણ કરીને પાછા આવી રહેલા. પૂજ્ય મુનિ ભગવંતે પ્રવચનમાં કોઈ મહાત્મા જંગલમાં સ્થિર ઊભા રહીને ધ્યાન કરવાની વાત કરેલી એ સાંભળીને નાગદત્તને પણ એવો ભાવ જાગ્યો – હું પણ આવી રીતે જંગલના એકાંતમાં ધ્યાન કરી શકું કે નહીં?
જંગલ-નિર્જન પ્રદેશ હોય, પક્ષીઓના નિર્દંભ શોરથી સર્જાયેલું નિર્દોષ સંગીત હોય તો ધ્યાન સમાધિમાં ઊંડા ઊતરવાનો આનંદ આવતો હોય છે.
નાગદત્ત ઘર તરફ જઈ રહેલો હતો ત્યારે પ્રકૃતિનું રમણીય સ્થાન એના જોવામાં આવ્યું. ધ્યાનની વાત એના મગજમાં રમતી જ હતી અને આ સ્થાન જોવામાં આવ્યું. નગરના તમામ નગરજનોને આગળ જવા દીધા અને પોતે એ સ્થાનમાં પહોંચી ગયો.
ઊભા ઊભા ધ્યાનમાં તલ્લીન થઈ ગયો છે. આંખો બંધ કરીને ઊભા રહીને ધ્યાન સમાધિમાં તલ્લીન થઈ ગયો છે. આસપાસના વાતાવરણથી સાવ બેખબર થઈ ગયો છે. કોણ આવે છે કે કોણ જાય છે એની કોઈ નોંધ એની પાસે એના મનમાં થતી નથી.
એ દરમિયાન એક ઘટના બીજી ઘટી. નાગસેન એ જ અરસામાં ત્યાં આવ્યો. એની નજર નાગદત્ત ઉપર પડી. એના પ્રત્યેના ગુસ્સાનો જોરદાર એટેક આવ્યો. આ માણસ મારી ઇચ્છા વિરુદ્ધ મારી બહેનને પરણ્યો. મારે મારા મિત્રને બનેવી બનાવવાનો હતો એના બદલે આ મારો બનેવી બની બેઠો. અત્યારે એનો બદલો લેવાનો સ્વર્ણિમ અવસર મારી સામે છે. જો અત્યારે એનો ઉપયોગ નહીં કરું તો ભવિષ્યમાં આવો સમય આવશે નહીં.
ના, મારે એને મારવો તો નથી જ, પણ એવું કરું કે આખી જિંદગી આપણને યાદ કરે. એને પણ ખબર પડે કે આપણે કોને પરણ્યા? ક્યાં પરણ્યા?
નાગસેનના ગળામાં એક હીરાનો હાર હતો. એની કિંમત પણ ઊંચી હતી. એણે પોતાના ગળામાંથી કાઢીને નાગદત્તના ગળામાં નાંખી દીધો અને ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો. ત્યાંથી એ સીધો નગરમાં ગયો. એણે કોટવાલને ફરિયાદ કરી મારો હીરાનો હાર કોઈ ઉપાડી ગયું છે, ગમે ત્યાંથી લાવી આપો.
એમણે પૂછ્યું પણ ખરું કે ક્યાંથી ખોવાયો? કોના ઉપર શક છે? કેવો હતો? એની ડિઝાઈન વગેરે બતાવી. સામાન્ય દિગ્દર્શન કરાવી દીધું ક્યાં મળી શકે?
એ બધા ત્યાં જ પહોંચી ગયા જ્યાં નાગદત્ત ધ્યાન સાધનામાં રત હતો. હાર તો બહાર જ દેખાતો હતો. મુદ્દામાલ સાથે જ્યારે માણસ મળી જાય પછી એના માટે વધારે ચિંતા કે વિચારણા કરવાની ક્યાં જરૂર હોય છે?
કોટવાલની ટીમે એના હાથમાં હાથકડી નાંખી દીધી. તમારે રાજા ધર્મપાલની પાસે આવવું પડશે. સિપાહીઓની સાથે વાણી-વ્યાપાર કરવાનો કોઈ અર્થ નથી. રાજા ધર્મપાલને એનો પરિચય હતો. એ પોતે પણ વિચારી રહ્યો છે કે આ હાર મારા ગળામાં આવ્યો કેવી રીતે? મેં તો ક્યાંયથી કોઈનો હાર લેવાની કોશિશ તો શું પણ વિચાર પણ કર્યો નથી તો મારા ગળામાં આવ્યો ક્યાંથી? અને મારા ગળામાંથી મળ્યો છે એ પણ હકીકત છે. ધર્મપાલ રાજા પાસે એને લઈ જવામાં આવ્યો છે. રાજા નાગદત્તને જોઈને ચમક્યો. અરે, આ ધાર્મિક માણસને શા માટે લાવવો પડ્યો હશે?
એટલામાં સિપાહી બોલ્યો, આ માણસે નાગસેનનો હાર ચોર્યો છે, એટલા માટે આપની પાસે લાવવામાં આવ્યો છે. રાજા વિચારમાં પડ્યો. આવો ધાર્મિક માણસ આવું કાર્ય કરે ખરો? પણ મુદ્દામાલ સાથે જ્યારે ચોર પકડાયો હોય ત્યારે બીજા વિચારને અવકાશ રહેતો નથી.
નિયમ પ્રમાણે એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. નાગદત્ત વિચારે છે આ કોઈ ઉપસર્ગ આવ્યો છે. મૃત્યુદંડની સજા મળી એમાં મને કોઈ અફસોસ નથી, પણ ધર્મની નાલેશી થાય એની ચિંતા છે. પરમાત્માનું નામસ્મરણ કરે છે. જ્યારે વધસ્થાન પર એને લઈ જવામાં આવ્યો તલવારથી માથું છેદવામાં આવે છે એ સમયે ગળાના બદલે તલવારના બે કટકા થઈ જાય છે. બીજી તલવાર લીધી તો એના પણ બે કટકા થઈ ગયા. આ દૃશ્ય જોનારાની આંખમાં આંસુ આવી ગયાં. બધાએ નાગદત્તનો જયજયકાર કર્યો. નાગસેનને પૂછ્યું સાચું બોલ શું ઘટના બનેલી છે? એણે કબૂલ કર્યું મેં જ દ્વેષભાવના કારણે એના ગળામાં હાર નાંખ્યો હતો, પણ સાચી વાત પ્રગટ થઈ. એ ચોર નથી, પણ ચોરીના આરોપનું મારું કાવતરું હતું. એ સાચો પુરવાર થાય છે. હવે આજથી એના પ્રત્યેનો દ્વેષભાવ દૂર કરીને સદ્ભાવના વ્યક્ત કરું છું. નિર્દોષ માણસને પરેશાન કરવામાં સરવાળે આપણે જ હેરાન થવાનો વારો આવે છે.