- રાજસીતાપુરમાં રહેતા બે ભાઈઓ લખતરના ભાથરિયા ગયા હતા
- તારંગાધામ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકને ઈજા
- સદ્દભાગ્યે કારના ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર હાઈવે ઉપર બે અને ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર એક એમ માર્ગ અકસ્માતના કુલ ત્રણ બનાવ બન્યા છે. ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામે રહેતા રણજીતભાઈ વાલજીભાઈ પારધી મજુરી કામ કરે છે. તા.5મીએ સવારે તેઓ તેમના મોટાભાઈ સવજીભાઈ બીજલભાઈ પારધી બન્ને બાઈક લઈને લખતર તાલુકાના ભાથરીયા ગામે લૌકિક ક્રીયા માટે ગયા હતા. જયાંથી બપોરના સમયે સુરેન્દ્રનગર તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે ઝમર ગામ પાસે પાછળથી આવતી એક કારના ચાલકે બાઈકને અડફેટે લીધુ હતુ. આ અકસ્માતમાં રણજીતભાઈ ઉલળીને કારના બોનેટ પર પડી રોડ પર પટકાયા હતા. જયારે સવજીભાઈ બાઈક સાથે ધસડાયા હતા. જેમાં બન્નેને સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે રણજીતભાઈ પારધીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી આર.એચ.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા મયુદ્દીનભાઈ રસુલભાઈ રાણપરીયા ઈકો કાર ચલાવે છે. તા. 3 ફેબ્રુઆરીની રાત્રે તેઓ ધ્રાંગધ્રાથી હળવદ તરફ ઈકો કાર લઈને જતા હતા. ત્યારે ચુલી પાસે તારંગાધામ પાસે રોડ પર ડીવાઈડર પાસે એક ટાટા કંપનીનો ટ્રકનો ડ્રાઈવર કચ્છનો આમદ ઉસ્માનભાઈ ઉડીયાણ પોતાની ટ્રક ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર, આડશ મુકયા વગર બંધ હાલતમાં હતો. તેની પાછળ ઈકો કાર અથડાતા મયુદ્દીનભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદની વી.એસ.હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે મયુદ્દીનભાઈના પિતા રસુલભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે. જયારે લખતરથી વિરમગામ તરફ જઈ રહેલી કારના ચાલકે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કડુ પાસે રોડ પરના ડીવાઈડર ઉપર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતા આસપાસના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. અને કારના ચાલકને બહાર કાઢયો હતો. સદ્દભાગ્યે કારના ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.


