પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ વિતરણ કરવા અધિકારીઓને આદેશ
લીકેજ થયેલી લાઇનોનો સર્વે કરી તાત્કાલીક રીપેર કરવાની કામગીરી કરવા સુચના
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં બેફામ બનેલા ટાઈફોઈડ રોગચાળાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવું. પાણીની પાઈપલાઈનમાં થતા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને પણ ઝાટક્યા હતા. આ ઝાટકણી કાઢી છે તે દર્શાવે છે કે હવે રાજ્ય સરકાર પણ સ્વીકારી રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી સંતોષકારક નથી.
આ પહેલાં ગાંધીનગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી નબળી કામગીરી સંદર્ભે જૂન 2025 માં ‘દિશા’ બેઠક દરમિયાન અમિત શાહે સ્પષ્ટપણે ડિસેમ્બર સુધીમાં સુધારા લાવવા આદેશ આપ્યો હતો. છતાં નક્કર આયોજનના અભાવે આજે પરિસ્થિતિ વધુ વણસી છે.પીવાના પાણીના સાથે દૂષિત ગટરના પાણી મિક્સ થતા પાણીમાં પ્રદૂષણ ફેલાયું હોવાની શક્યતા છે, જે ટાઈફોઈડના વધતા કેસો માટે જવાબદાર હોય શકે છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટનું પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે. લીકેજીસના રિપેરીંગ કામ હાથ ધરાયા છે. તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.


