SC, ST, OBC સમર્થનના પરિપત્રનો દેશ વ્યાપી વિરોધ વંટોળ ઉઠયો
UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ, મોટાભાગના રાજયોના લોકો ઉતર્યા રસ્તા પર નવી ગાઇડ લાઇન સમાનતાને બદલે ભેદભાવ અને નફરતને બળ પુરૂ પાડનારી હોવાની રાવ, સર્વણ છાત્રોને પણ સુરક્ષા પૂરી પાડવા માંગ
રાજકોટ સહિત સમગ્ર ભારતમાં સર્વણ સમાજ સહિતના વિવિધ ઉચ્ચ જ્ઞાતિના સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય નિર્ણય લેવા સરકારને રજૂઆત
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા 1લી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યાં છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઇડ લાઇન તાત્કાલીક પરત ખેંચવા માંગ કરી છે.
બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની સુધારેલી માર્ગદર્શિકાને લઈને કચવાટ છે. સામાન્ય જાતિના લોકોના મતે આ નિષ્પક્ષ માર્ગદર્શિકા નથી. તે સમાનતાને બદલે ભેદભાવ તથા નફરતને બળ પુરું પાડી શકે છે. વિરોધકર્તાઓએ જણાવ્યું કે, ભેદભાવ સામેની કાર્યવાહી નિષ્પક્ષ હોય તે જરૂરી છે, ભલે પીડિત અથવા આરોપીની જાતિ ગમે તે હોય. ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ ઉત્પીડનનો ભોગ બનતા હોય છે જેથી તેમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માગ દેખાવકારોએ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં દલીલ કરાઈ છે કે, નિયમ 3(સી) નો વર્તમાન સ્વરૂપમાં લાગુ કરવાથી રોકવા નિર્દેશ આપવામાં આવે. અરજીમાં એવો દાવો કરાયો છે કે જાતિ આધારિત ભેદભાવના કેસમાં ફક્ત એસસી, એસટી તથા ઓબીસીને અવકાશ રહે છે.
કોઇપણ સાથે ભેદભાવ નહી થાય : શિક્ષણમંત્રી
યુજીસીની સુધારેલી માર્ગદર્શિકામાં જાતિગત ભેદભાવનો અર્થ ફક્ત એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધના ભેદભાવને ગણાવ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પર્ધાને આશ્વાસન આપતા જણાવ્યું કે, નિયમોનો દુરૂપયોગ નહીં થાય તથા કોઈપણ સાથે ભેદભાવ થશે નહીં. ભેદભાવના નામે કોઈ પણ આ નિયમોનો દુરૂપયોગ કરી શકશે નહીં. યુજીસી, કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારી રહેશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા. જે અંતર્ગત કોલેજ-યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા. જેમાં સમિતિ ખાસ રીતે SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે. આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને 2019માં ડોક્ટરનું ભણતી દલિત વિદ્યાર્થિની પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી. બંનેએ કોલેજમાં જાતીય ઉત્પીડનથી કંટાળીને આ પગલું ભર્યું હતું, ત્યારે કોલેજમાં થતાં જાતીય ભેદભાવ રોકવા માટે UGCએ નવા નિયમો બનાવ્યા છે.
‘ખોટી ફરિયાદ કરનાર સામે કોઈ કાર્યવાહીનો ઉલ્લેખ નથી’ : સંગઠનો
અમારો વિરોધ એ નથી કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં ન આવે. અમારી વાત એવી છે કે, ખરેખર કોઈ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીનો ઉલ્લેખ નથી. એ આ કાયદાના અમલીકરણ માટેની કમિટી બનાવવામાં આવી છે તેમાં પણ સવર્ણોને લેવા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને OCB વર્ગને આ કમિટીમાં રાખવામાં આવ્યા છે. બધા જ જાણે છે કે, OBC એટલે કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ જ નથી તો તમે તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કઈ રીતે કરો.
ચૂંટણીમાં મતથી જવાબ આપીશું’
JNU જેવી યુનિવર્સિટીમાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો ઉપરાંત તિલક, તરાજુ અને તલવાર ઇસકો મારો જૂતે ચાર આ પ્રકારના નારા લગાવી શકાતા હોય તો તે કોઈ રાજકીય પક્ષોને દેખાતું નથી. સવર્ણોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદો અમલમાં નહીં લાવે તેવો પૂરો વિશ્વાસ છે અને તેમ છતાં પણ જો આ કાયદો અમલમાં આવ્યો તો અમે રસ્તા પર નહીં ઉતરીએ પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતથી તેનો જવાબ આપીશું.


