જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. પાકિસ્તાન તરફ તમામ દેશો રોષ દર્શાવી રહ્યા છે. સાંસદ બોબ બ્લેકમેને તાજેતરમાં તેમના સંસદમાં એક ભાષણ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં કાર્યરત આતંકવાદી શિબિરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ નિવેદનમાં તેમણે ખાસ કરીને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન દ્વારા આશ્રય આપવામાં આવતો હોવા તરફ ઈશારો કર્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને ભારતની કાર્યવાહી “ઓપરેશન સિંદૂર” ને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે પગલાં લેવાનો આ યોગ્ય સમય છે.
હાઉસ ઓફ કોમન્સમાં બોલતા, બ્લેકમેને કહ્યું: “અમે પાકિસ્તાનને શાંતિ મંત્રણા દરમિયાન પણ આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે પગલાં લેવા વિનંતી કરી રહ્યા છીએ.” તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના ભાષણનો વીડિયો પણ શેર કર્યો, જેમાં તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો.
બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ આ હુમલાને “ભયાનક” ગણાવીને વખોડી કાઢ્યો હતો અને ખાતરી આપી હતી કે બ્રિટિશ સરકાર આતંકવાદ સામે ભારત અને પાકિસ્તાન બંને સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું, “અમારી પ્રાથમિકતા આતંકવાદના ખતરાનો સામનો કરવાની છે, અને અમે આ અંગે ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરીશું.” બ્લેકમેને અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતને ટેકો આપવાની વાત પણ કરી હતી


