બ્રિટનમાં કામ કરવાનું કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે સારા સમાચાર છે. યુકે સરકારે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ યોજના હેઠળ ભારતીય નાગરિકો બ્રિટન જઈને બે વર્ષ સુધી અભ્યાસ અને કામ કરી શકે છે.
બ્રિટનમાં કામ કરવા અથવા અભ્યાસ કરવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો બ્રિટિશ સરકારની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
બ્રિટિશ સરકાર દ્વારા કુલ 3000 વિઝા જાહેર કરવામાં આવશે. અરજી કરનારા લોકોની પસંદગી બેલેટ દ્વારા કરવામાં આવી હતી. આ બેલેટ 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 02:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અહીં સારી વાત એ છે કે બેલેટનો ભાગ બનવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી, એટલે કે અરજી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. અરજદારોની પસંદગી સંબંધિત અધિકારીઓ દ્વારા રેન્ડમ રીતે કરવામાં આવશે. યુથ મોબિલિટી સ્કીમ વિઝા ધરાવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ માટે કઈ શરતો છે?
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ યુકેમાં રોજગાર અને અભ્યાસ માટે ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જ અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે. યુકેમાં ખર્ચ પૂર્ણ કરવા માટે અરજદારો પાસે £2,530 (આશરે રૂ. 2.70 લાખ) બચત હોવી આવશ્યક છે. અરજદારને 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક ન હોવું જોઈએ, જેના માટે તેની જવાબદારી હોય. જો તમે આ બધી શરતો પૂર્ણ કરો છો, તો તમે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ માટે અરજી કરી શકો છો.
અરજી કરતી વખતે કઈ માહિતી આપવાની જરૂર છે?
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ અરજી કરતી વખતે, અરજદારોએ નામ, જન્મ તારીખ, પાસપોર્ટ વિગતો અને તેમનો સ્કેન કરેલો ફોટોગ્રાફ સબમિટ કરવો જરૂરી છે. આ સિવાય તેમને પોતાનો ફોન નંબર અને ઈમેઈલ સરનામું પણ આપવું પડશે.
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા કેવી છે?
જેમની પસંદગી બે અઠવાડિયામાં બેલેટ દ્વારા કરવામાં આવશે તેમને ઇમેઈલ દ્વારા તેની જાણ કરવામાં આવશે. પસંદગી પછી તેઓએ વિઝા માટે અરજી કરવાની રહેશે. પસંદગી વિશે માહિતી મળ્યાના 90 દિવસની અંદર, તમારે વિઝા માટે અરજી કરવી પડશે અને બધી જરૂરી ફી ચૂકવવી પડશે. તેમને પોતાના બાયોમેટ્રિક્સ પણ આપવાના રહેશે. યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોએ યુકેમાં બે વર્ષ ગાળ્યા પછી ભારત પાછા ફરવું પડશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


