- અંડર-19 વર્લ્ડકપ 2024ની સેમિફાઈનલમાં ભારતની જીત
- કેપ્ટન ઉદયએ શાનદાર ફિફટી ફટકારીને અપાવી જીત
- કેપ્ટનશિપમાં ધોની અને બેટિંગમાં વિરાટ કોહલીની ઝલક
અંડર-19 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું . સાઉથ આફ્રિકા સામેની રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતનો બે વિકેટે વિજય થયો હતો. ભારત માટે આ મેચમાં કેપ્ટન ઉદય સહારન જીતનો હીરો રહ્યો હતો. આ મેચમાં તેણે શાનદાર કેપ્ટનશિપની સાથે બેટિંગમાં ટીમ માટે 81 રનની મેચ વિનિંગ ફિફટી ફટકારી હતી. ઉદયના આ શાનદાર પ્રદર્શનને જોઈને ચાહકો તેને ભારતના આગામી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી કહી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કોણ છે ઉદય સહારન
કોણ છે ઉદય સહારન?
રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા ઉદય સહારનને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તેના પિતા સંજીવ સહારન પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. સંજીવ હાલમાં બીસીસીઆઈના ગ્રેડ વન કોચ પણ છે. ઉદયને નાનપણથી જ ક્રિકેટ સાથે જોડાયેલો હતો. 12 વર્ષની ઉંમરે ઉદયે પંજાબ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. કોરોના દરમિયાન ઉદયે કલાકો સુધી તેની ગેમ પર કામ કર્યું હતું. ઉદય ભટિંડા તરફથી પંજાબની ટીમ માટે રમે છે.
કેપ્ટનશિપમાં ધોની અને બેટિંગમાં વિરાટ કોહલીની ઝલક
ઉદય સહારને અત્યાર સુધી અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર નેતૃત્વ કર્યું છે. તેની કપ્તાનીમાં ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું છે. નેતૃત્વની બાબતમાં ઉદય ભારતના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેટલો જ શાનદાર લાગે છે. જ્યારે બેટિંગમાં ટીમને મેનેજ કરવાની અને તેને જીત તરફ લઈ જવાની વાત આવે છે, ત્યારે તેનામાં વિરાટ કોહલીનો સ્પર્શ જોવા મળે છે. સેમિ-ફાઇનલ મેચમાં પણ ચેઝ દરમિયાન ઉદયની બેટિંગમાં આ ઝલક દેખાતી હતી. આ મેચમાં તેણે 124 બોલમાં 6 ફોરની મદદથી 81 રનની ઇનિંગ રમી હતી.


