- આજે પરિવાર સાથે વતન માણસાની મુલાકાતે
- ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમયાંતરે મનોરંજન પ્રવાસનું આયોજન થશે
- આ પ્રકારે થયેલા પ્રથમ પ્રયોગમાં તેમણે બાળકો સાથે સંવાદ કર્યો
ગૃહમંત્રી અમિત શાહ શનિવારની બપોરે સરખેજ- ગાંધીનગર હાઈવે પર ગોતા નજીક આવેલા ફન બ્લાસ્ટમાં આંગણવાડીના બાળકો માટેના મનોરંજન પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ માટે ગુજરાતમાં આ પ્રકારે થયેલા પ્રથમ પ્રયોગમાં તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. ગાંધીનગર લોકસભામાં આંગણવાડીના બાળકો માટે સમયાંતર આ પ્રકારે મનોરંજન પ્રવાસનું આયોજન થશે.
અમિત શાહે પોતાના સંસદિય ક્ષેત્રમાં ”રમશે બાળક ખિલશે બાળક”ના અભિગમથી અભિયાન શરૂ કર્યુ છે. જેમાં બિન વપરાશી રમકડાં એકત્ર કરીને આંગણવાડી અને ઘર વપરાશમાં રમવા ભૂલકાઓને અપાય છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય, તેમના ચહેરા પર સ્મિત રેલાવી શકાય એ માનવીય સંવેદના સાથેના અભિયાન માટે તેમણે અગાઉ અપીલ કરી હતી. જે અનુસંધાને મહિનાના બીજા અને ચોથા શનિવારે મનોરંજન પ્રવાસનું આયોજન થશે. રવિવારે અમિત શાહ પરીવાર સાથે વતન માણસામાં નવરાત્રિ પ્રસંગે બહુચરાજી માતાજીના મંદિરે જશે.