- પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ છે ત્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે
- ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ અમેરિકાએ નિવેદન આપ્યું
- અમેરિકાએ કહ્યું કે, તેની માટે ભારત-પાકિસ્તાન બંને મહત્ત્વના છે
પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ છે અને આવામાં ભારત-પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે આતંકના માહોલમાં વાતચીત નહીં થઈ શકે. પરંતુ હવે ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે તે ભારત-પાકિસ્તાન વચ્ચેની સીધી વાતચીતનું સમર્થન કરે છે. વાતચીતની ગતિ અને રૂપરેખા બંને દેશોએ જ નક્કી કરવી જોઈએ.
અમેરિકા ટેકો આપે છે
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેની સાથે પોતાના મહત્ત્વના સંબંધોને અમેરિકાએ મહત્ત્વ આપ્યું હતું. તેમને કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન સાથે સીધી વાતચીત કરવાનું સમર્થન કરીએ છીએ.
આતંકવાદ પર અમેરિકાનું વલણ શું છે?
અન્ય એક પ્રશ્નના જવાબમાં મિલરે કહ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાના ખતરાનો સામનો કરવામાં અમેરિકા અને પાકિસ્તાનના સમાન હિતો છે. “અમે પાકિસ્તાન સાથે સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય આતંકવાદ વિરોધી સંવાદ દ્વારા સંકળાયેલા છીએ, જેમાં આતંકવાદ વિરોધી ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે,” તેમણે કહ્યું. મિલરે કહ્યું, “અમે પાકિસ્તાની નેતાઓ સાથે આતંકવાદ વિરોધી કામગીરી પર નિયમિતપણે વાતચીત કરી રહ્યા છીએ અને અમારા વાર્ષિક આતંકવાદ વિરોધી સંવાદ અને અન્ય દ્વિપક્ષીય પરામર્શ દ્વારા પ્રાદેશિક સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા કરવાનું ચાલુ રાખીશું.”
કેવા છે ભારત-પાક સંબંધો?
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ છે. ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા બાદ પાકિસ્તાને 2019માં ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કર્યા હતા.


