- પાટણ, બનાસકાંઠા, મહેસાણાના તળાવો ભરાશે
- સાબરકાંઠા જિલ્લાના તળાવો પણ ભરાશે
- 13 પાઇપલાઇનો મારફતે પાણી આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.
નર્મદાનું પાણી પહોંચાડવા સરકારનું આગોતરું આયોજન
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે.
હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.