શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે વ્યાજખોરોની સતત ઉઘરાણી, ધમકી અને ગાળો આપી ત્રાસ આપવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકનું કહેવું છે કે તેણે લીધેલું મુદ્દલ તથા વ્યાજ પૂર્ણરૂપે ચૂકવી દીધું હોવા છતા પણ આરોપીઓ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પઠાણી વ્યાજની ઉઘરાણી કરતા રહ્યા હતા.
સારવાર માટે લીધેલું ધિરાણ બન્યુ ત્રાસનું કારણ
ફરિયાદ મુજબ, આજવા રોડ પર શ્રીહરિ ટાઉનશીપ પાસેના અંબિકા દર્શન કોમ્પ્લેક્ષમાં રહેતા દિપક શીવાજીરાવ વાઘે જણાવ્યું કે તેઓ આમોદર ન્યુ વાઘોડીયા રોડ પર આવેલી વન સ્ટોપ સલનમાં કારીગર તરીકે કામ કરે છે. વર્ષ 2019માં તેમના પુત્રને ટાઈફોઈડ થતાં સારવાર ખર્ચ માટે તેમને રૂપિયા 3 લાખની તાત્કાલિક જરૂર હતી.
તેમણે અનેકગણું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત કરી દીધી
આર્થિક સંકટને કારણે તેમણે પફેક્ટ કટ શોપના માલિક પ્રફુલ સંભાજી પાટીલ, રોમા પાટીલ અને આકાશ પાટીલ પાસેથી 3 લાખ રુપિયાની રકમ વ્યાજે લીધી હતી. દિપક વાઘના કહેવા મુજબ, ત્યારથી અત્યાર સુધી તેમણે અનેકગણું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત કરી દીધી છે.
યુવકનો આક્ષેપ
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ વર્ષ 2019થી આજદિન સુધી તેમની મજબુરીનો ફાયદો ઉઠાવી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું. વ્યાજ પૂર્ણ ચૂકવી દીધું હોવા છતાં પણ તેઓ વારંવાર વધુ રકમની ઉઘરાણી કરતાં રહેતા હતા. દિપકે આક્ષેપ કર્યો કે પ્રફુલ પાટીલ, આકાશ પાટીલ અને રોમા પાટીલ દ્વારા ફોન તથા રૂબરૂ બંને રીતે તેમને તેમજ તેમની પત્નીને ગાળો આપવામાં આવતી હતી. યુવકે એવો પણ આરોપ કર્યો કે આરોપીઓએ ધમકી આપી હતી કે રૂપીયા નહીં આપે તો તારા હાથ–પગ તોડી નાખીશું અને કોઈપણ જગ્યાએ નોકરી નહીં કરવા દઈએ.
પોલીસે ગુનો નોંધ્યો
ધમકીઓથી ત્રાસી દિપક વાઘે મકરપુરા પોલીસ સ્ટેશને ત્રણેય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો— Vadodara : ગુનો આચર્યા બાદ વર્ષોથી ફરાર થઇ ગયેલા 40 આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાંથી ઝડપી લેવાયા


