શહેર-જિલ્લામાં બપોરે ગરમી અને રાતે ઠંડી વર્તાવા સાથે લઘુત્તમ તાપમાનનો પારો 12ડીગ્રી સેલ્સિયસ કે તેથી ઓછો રહેવા સાથે બર્ફિલા પવનના સૂસવાટાને પગલે મોટાભાગની વસતીને શરદી, સળેખમ, શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને ઉધરસનો વાવર કનડે છે. જેથી, ખાનગી ક્લિનિકો, ડિસ્પેન્સરીઓ, સરકારી હોસ્પિટલોમાં ફ્લૂ, ઇન્ફ્લ્યુએન્જા અને ઋતુજન્ય બીમારીના દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
શહેર-જિલ્લામાં ઠંડીના વાતાવરણમાં બ્રોન્કાઇટીસ-અસ્થમા, એલર્જી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી-સળેખમ, ઉધરસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ખુબજ વધારો નોંધાયો છે. ખાસ કરીને માસુમો અને વૃદ્ધોને ઋતુજન્ય સમસ્યા વધુ વકરે છે. જેના અંતર્ગત કારણોમાં માસુમો દૂધ પર નિર્ભર હોય છે પરંતુ તેઓને જરૂરી વિટામીન-સી ની ઉણપ હોય છે. જ્યારે, વૃદ્ધોની શારીરિક પ્રતિકાર શક્તિ ઘટવા સાથે અન્ય રોગ હોય છે. જેથી, તેઓના ફેફસા નબળા થતા અસ્થમા કનડે છે. જ્યારે, બીજીબાજુ શિયાળાની કાતિલ ઠંડીના વાતાવરણમાં હવા પાતળી હોવાથી પોલ્યુશન-ધૂમાડો આકાશમાં ઊંચે જવાને બદલે નીચે ફરતો રહે છે. આવી, પરિસ્થિતિમાં શ્વાસ સાથે એલર્જન્ટ ફેફસામાં ચેપ પેદા કરે છે. જેથી, ધમનીમાં સોજો આવી જતા શ્વાસ લેવામાં તકલીફ સર્જાય છે. શિયાળામાં શરીરની જરૂરી કાળજી રાખવામાં ન આવે તો કેટલાક કિસ્સામાં કૃત્રિમ ઓક્સિજન લેવાની મજબૂરી સર્જાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહિનાઓ પૂર્વે ચોમાસાની ઋતુમાં પણ પાણીજન્ય રોગોને કારણે શહેરીજનોને સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ હવે શિયાળાની ઋતુમાં શરદી,કફ અને પ્રદૂષણની સમસ્યા સામે આવી છે.
આહાર પરિવર્તન અનિવાર્ય
શિયાળામાં આહારનું યોગ્ય પરિવર્તન કરવું હિતાવહ છે. ઋતુજન્ય ફળફળાદિ, પાકુ પપૈયુ, ગાજરનો રસ, આંબા-હળદર, આદુ-સૂંઠ-મધનો ઉપયોગ કરવા સાથે કાળજીપૂર્વક ગરમ પાણીનો નાશ લેવાથી રાહત રહે છે. – ડો.ઉમેશ અગ્રવાલ
પોલ્યુશન, મિક્સ વેધર બીમારીનું ઘર
શહેરમાં ઠંડીના ચમકારા સાથે પોલ્યુશન વકર્યું છે. જે સાથે બપોરે ગરમી અને રાતે ઠંડીનો માહોલ સર્જાતો હોઇ બેવડી ઋતુમાં ફ્લૂ વકરતા 30 થી 40 ટકા વસતીને લાંબાગાળાની ખાંસીની પરેશાની હોવાનું તારણ છે. અલબત્ત, ખાંસી સાથે તાવ હોય તો નિષ્ણાત તબીબની સલાહ લેવી અનિવાર્ય છે. અન્યથા માત્ર ખાંસી હોય તો ઘરગથ્થુ ઉપાયથી થોડા દિવસોમાં મટી જાય છે. – ડો.ઉર્મિલ જંબુસરિયા
મ્યુટેશન વાઇરસનો સ્વભાવ
મ્યુટેશન વાઇરસનો સ્વભાવ હોઇ બદલાતો રહે છે. દર વર્ષે રોગના ચિન્હો પણ જુદા-જુદા હોય છે. આ વર્ષે ઉધરસ લાંબો સમય જારી રહે છે અલબત્ત ચિંતાને કોઇ કારણ નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે વાઇરસ કોઇને ઓળખતો નથી. – ડો.દિલીપ નિલક


