- VIP રોડ ખાતે રહેતા 77 વર્ષીય કિશન દીધેનું ડીહાઇડ્રેશન અને લુ લાગ્યા બાદ મોત
- વાઘોડિયાના 39 વર્ષીય જગદીશ પટેલનું ગભરામણ બાદ મોત
- માંજલપુર ના 62 વર્ષીય કરશન પરમારનું વોમિટિંગ બાદ હાર્ટ એટેક આવતા મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે સાથે સાથે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે,વડોદરામાં છેલ્લા 5 દિવસમાં 19 લોકોએ ગરમીને લઈ જીવ ગુમાવ્યા છે,તો છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકોના મોત થયા છે.તો બીજી તરફ સુરતમાં પણ એક જ દિવસમાં ગરમીના કારણે 10 લોકોના મોત થયા હતા.
વાઘોડિયામાં એકનું મોત
વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે પટેલ ફળિયામાં રહેતો ૩૯ વર્ષનો જગદીશ રામજીભાઇ પટેલ છૂટક મજૂરી કામ કરતો હતો.વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તાની નજીક ફૂટપાથ પર તે પડી રહેતો હતો. ગઇકાલે રાતે તે વાઘોડિયા રોડની વંદના સ્કૂલમાં સૂઇ ગયો હતો. આજે સવારે સ્કૂલમાં સફાઇ કામ માટે આવેલા કર્મચારીએ તેને હલાવતા તેણે કોઇ રિસ્પોન્સ આપ્યો ન હતો. જેથી, તેને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તેને સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માંજલપુરમાં પણ મોત
માંજલપુર મુદ્રા હાઇટસમાં રહેતા ૬૨ વર્ષના તેજબહાદુર જયરામસિંહ સીંગ આજે સવારે સવા અગિયાર વાગ્યે જમીન પર પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.જ્યારે અન્ય એક કિસ્સામાં ન્યુ વી.આઇ.પી.રોડની શેષ નારાયણ સોસાયટીમાં રહેતા ૭૭ વર્ષના કિશનરાવ મારૃતિરાવ દિઘેને ૬મહિનાથી બી.પી.ની દવા ચાલતી હતી. આજે સવારે સાડા સાત વાગ્યે તેઓની તબિયત બગડતા ઘરેથી સારવાર માટે લાવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો ન હતો.
એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ ગરમીના આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી,ગાંધીનગર 45.7 ડિગ્રી,ભુજ 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે.


