- શહેર જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
- વડોદરામાં છેલ્લા એક સપ્તાહમાં 30 લોકોના ગરમીથી મોત
- હાર્ટએટેક, ડિહાઇડ્રેશન અને બેભાન થવાથી નિપજયા મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે મોતના આંકડામાં પણ વધારો થયો છે,વડોદરામાં ગઈકાલે 9 લોકોના ગરમીના કારણે મોત થયા છે,તો અત્યાર સુધી ગરમીને લઈ 30 લોકોના મોત થઈ ચૂકયા છે.તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેન્દ્ર ભાણાભાઈનું મોત તો બીજી તરફ વીજ કંપનીના લાઈનમેનનું ઘરે ચક્કર આવતા પડી જતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
વડોદરામાં 30 લોકોના મોત
વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. 23 વર્ષના રોનાલડ થોમસ રોય, 65 વર્ષના દિલીપભાઈ કાકરે, 75 વર્ષના નવીનભાઈ વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણા, 47 વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં પણ હીટસ્ટ્રોકના કેસ વધ્યા
અસારવા સિવિલ હોસ્પિટલમાં જ ખાસ ઉભા કરાયેલા હીટ સ્ટ્રોક દર્દીઓ માટેના વિશેષ વોર્ડમાં બે દિવસમાં ૪૩ દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા. આ પૈકીના એક ૫૫ વર્ષીય આધેડ અને એક ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બન્ને દર્દીઓ ૧૦૪-૧૦૫ ફેરનહીટ તાવ સાથે અહીં દાખલ કરાયા હતા. આ સિવાય ૪૧ દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે. આ પૈકી દસેક દર્દીઓની હાલત હજુ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની તેમજ ખાનગીહોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ દર્દીઓને હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનને લીધે દાખલ કરવામાં આવ્યા છે.
વૃદ્ધોને સૌથી વધુ અસર
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.


