તાજેતરમાં મહેસાણા જિલ્લામાં એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. આ મામલે શિક્ષકને ફરજ પરથી બરતરફ કરાયા હતાં. ત્યારે આવો જ એક મામલો વડોદરા જિલ્લામાં સામે આવ્યો છે. વડોદરાના વણછરા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદ્યાર્થીઓને માર મારતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.
પ્રાથમિક શાળાની શિક્ષિકાના વર્તન સામે ગંભીર આક્ષેપો
વડોદરાના વણછરા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાના વર્તન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને યોગ્ય શિક્ષણ નહીં આપવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગામ લોકોની અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં આવતા આજે ગ્રામજનોએ ભેગા થઈને પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી.
શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં તાળાબંધી
આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને આ અંગે અનેક રજૂઆતો કરાઈ હતી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યની રજૂઆતને પણ ધ્યાને લેવાઈ નહોતી. જેથી પ્રાથમિક શાળાની શિક્ષિકા મનાલીબેન જોષીના વિરોધમાં આજે ગ્રામજનો દ્વારા શાળાને તાળુ મારી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: સેન્ટ માર્ક સ્કૂલની મનમાની યથાવત, DEOની નોટિસ છતાં સ્વેટર મુદ્દે દબાણ


