- તમામ શાળા, કોલેજો ITI, આંગણવાડીઓને બંધ રાખવા આદેશ
- જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્રનો નિર્ણય
- જિલ્લા વિકાસ અધિકારીએ X પર આપી માહિતી
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીએ X પર આપી માહિતી
જિલ્લા વિકાસ અધિકારીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ અંગે લોકોની જાણકારી આપી છે અને વિદ્યાર્થીઓની સલામતી માટે આ મોટો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વલસાડ શહેરમાં ઓરંગા નદીના પાણી ઘુસ્યા છે અને ભાગડાખુર્દ ગામ તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ભાગડાખુર્દ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. વલસાડના બંદર રોડસ તરીયાવાડ, કાશમીર નગર વિસ્તારમાં નદીના પાણી ઘુસી ગયા છે.
ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી 6 મીટર પર વહેતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ,કશ્મીર નગર,કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.
NDRFની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી
વલસાડ જિલ્લા કલેક્ટર સહિતની ટીમ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની છે, સાથે નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લઈ રહી છે. વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ હતી
ભારે વરસાદને પગલે ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ હતી અને ભેંસોનો માલિક નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો, ત્યારે તમામ ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. તમામ ભેંસોને નદીની બહાર કાઢી ભેંસનું પૂછડું પકડી માલિક પણ પાણીમાં તરીને બહાર આવ્યો હતો, પોતાના પશુઓ પ્રત્યે પ્રેમ દાખવનાર સાહસિક માલિક પોતાની ભેંસોના જીવ બચાવ્યા. નદી કિનારે ચરતી ભેંસો ઓરંગા નદીના ધસમસ્તા પ્રવાહમાં ઉતરી જતા આ ઘટના બની હતી.


