શેરહોલ્ડરની સંપત્તિમાં વધારો થશે એવા દાવા સાથે વેદાંતા જૂથે કંપનીનું ડિમર્જર (વિભાજન) કરવાની જાહેરાત કરી છે. જૂથબ અબજોપતિ સ્થાપક અનિલ અગ્રવાલ દેવાના ડુંગર હેઠળ છે અને આગામી બે વર્ષમાં તેમણે લગભગ રૂ.45000 કરોડની રકમ પરત કરવાની છે. કુક છ અબજ ડોલર કે (રૂ 59600 કરોડનું દેવું છે જેણે ઘટાડવા માટે કંપનીઓની રોકડમાંથી ઊંચું ડિવીડન્ડ મેળવે રાખ્યું હવે તિજોરી ખાલી છે એટલે વિભાજીત કંપનીઓમાં નવા રોકાણકાર આવી શકે એવો પેંતરો એમણે રચ્યો છે.
કંપનીની હાલત દયનીય થઈ
છેલ્લા 10 વર્ષમાં વેદાંતા જુથે શેરહોલ્ડરને ફાયદો થશે એવી દલીલ કરી કંપનીઓનું જોડાણ કર્યું છે અને સતત ઊંચું ડિવીડન્ડ મેળવ્યું છે. હાલત એવી છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેવું ભરપાઈ કરવા માટે કંપનીએ રૂ.54454 કરોડનું ડિવીડન્ડ મેળવ્યું છે જેનો સૌથી મોટો લાભ અનિલ અગ્રવાલ અને તેની વિદેશ સ્થિત હોલ્ડીંગ કંપનીઓને મળ્યો છે. લંડન સ્થિત કંપની ઉપર કુલ 6 અબજ ડોલરનું દેવું છે તે અગામી વર્ષોમાં ચૂકવવાનું છે. તેની સામે તેની પાસે ત્રણ અબજ ડોલરનો નફો અને અન્ય રોકડ છે બીજા ત્રણ અબજ ડોલર ઘટે છે. અત્યારસુધી વેદાંંતામાં હિસ્સો બજારમાં વેચી કે જૂથની કંપનીઓમાં ઊંચું ડિવીડન્ડ મેળવી તેણે ભરપાઈ કર્યો છે. 2020માં જૂથની હિન્દુસ્તાન ઝીંક પાસે રૂ.39465 કરોડની અનામત હતી હવે રૂ.12097 કરોડ બચી છે એટલે આ વિકલ્પ પૂરો થઇ ગયો છે
ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડ થયું
ક્રેડીટ રેટિંગ એજન્સી મૂડીઝ અને એસએન્ડપીએ વેદાંંંતાની ભારતની કંપનીની મૂળ માલિક વેદાન્તા રિસોર્સ લીમીટેડનું ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. બન્ને ક્રેડીટ રેટિંગ એજન્સી માને છે કે ત્રણ અબજ ડોલરની રકમની પરત ચુકવણીનો ઉકેલ માલિકોને મળી રહ્યો નથી અને શક્ય છે કે ક્રેડીટ રેટિંગ હજુ ઘટાડવું પડી શકે એટલે તેને ‘વોચ’ ઉપર રાખવામાં આવ્યું છે. હાથ ઉપર રોકડનો અભાવ, નવા રોકાણકારમાં થઇ રહેલો વિલંબ અને સામે ત્રણ અબજ ડોલરની પરત ચૂકવણીનો ટાઈમ બોમ્બ હોવાથી અનિલ અગ્રવાલ હવે ‘ઓલ ઇન’ સાથેનો દાવ ખેલી રહ્યા છે.
વેદાંંતા ઉપરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે
મૂડી અને નાણાની લેવડ-દેવડમાં વિશ્વાસ સૌથી મહત્વનું પરીબળ છે. વેદાંંંતા ઉપરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. ટૂંકી મુદ્દની જરૂરીયાત માટે વેદાન્તાને ભારતની બોન્ડ માર્કેટમાંથી ગત સપ્તાહે રૂ.2500 કરોડ 18 મહિનાની મુદ્દત માટે ઉભા કર્યા હતા. ત્રણ મહીને વ્યાજ ચુકવવાની શરત સાથેના આ બોન્ડ માટે વેદાન્તાએ 12 ટકા વ્યાજ ચુકવવું પડશે. સામાન્ય માણસને હોમ લોન 8 થી 9 ટકામાં મળી રહી છે ત્યારે દેશના ૨૧માં સૌથી ધનિકને ઊંચા વ્યાજે રકમ મળી રહી છે. આ દર્શાવે છે કે વેદાન્તાની હાલત નાજુક છે.
કુલ છ કંપનીઓના વિભાજનની જાહેરાત કરી
ગત શુકવારે વેદાંંંતાએ પોતાના એલ્યુમિનીયમ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, સ્ટીલ અને બેઝ મેટલ્સ એમ પાંચ બિઝનેસ ઉપરાંત ઝીંક અને સેમીકન્ડકટરના ભવિષ્યના પ્રોજેક્ટ માટે કુલ છ કંપનીઓના વિભાજનની જાહેરાત કરી હતી. આ જાહેરાત થકી જૂથ વધારે સરળ કોર્પોરેટ સ્ટ્રક્ચર અને શેરહોલ્ડર માટે વધારે સંપત્તિ ઉભી કરવાનો ઉદ્દેશ ધરાવે છે. લગભગ 15 મહિનામાં વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થશે એવો અગ્રવાલનો દાવો છે. જોકે, આ વિભાજનથી દેવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવશે નહી એવું બ્રોકરેજ હાઉસનું માનવું છે. 2024-25 સુધીમાં વેદાન્તાનું મૂળ માલિક વેદાન્તા રીસોર્સે 4.2 અબજ ડોલરનું ચુકવણું કરવાનું છે. આ વિભાજનથી એ ચિંતાઓનો કોઈ અંત જણાવતો નથી એમ નોમુરા રિસર્ચે એક રિપોર્ટમાં જણાવ્યું હતું. કોટક ઇન્સ્ટીટયુશનલ ઇક્વિટી માને છે કે દેવાનો ડુંગર મોટો છે અને સામે રોકડનો પ્રવાહ ઓછો છે એટલે વેદાન્તા લીમીટેડના શેરમાં રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ. કોટક વધુમાં જણાવે છે કે માર્ચ 2025 સુધીમાં રૂ.18000 કરોડના દેવાની ભરપાઈ માટે કંપનીને નાણા જોઈએ છે અને એ સંજોગોમાં કંપનીએ તાકીદે નાણા ઉભા કરવા માટે જૂથની કંપનીઓમાં હિસ્સો વેચવો પડશે.
વેદાંતા પાસે ક્રુડ ઓઈલ, કોપર, ઝીંક, એલ્યુમિનીયમ એવા કોમોડિટીઝના બિઝનેસ છે
વેદાંંંતા પાસે ક્રુડ ઓઈલ, કોપર, ઝીંક, એલ્યુમિનીયમ એવા કોમોડિટીઝના બિઝનેસ છે. વૈશ્વિક અર્થતંત્ર મંદ પડી રહ્યું છે એટલે કોમોડિટીઝના ભાવ ઘટવાની શક્યતા છે. બીજી તરફ, કંપનીએ ગુજરાતમાં સેમીકન્ડકટર પ્રોજેક્ટ માટે એક વર્ષ પહેલા રૂ.1.54 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ઘોંચમાં છે. ટેકનોલોજી ભાગીદાર ફોકસકોમે આ યોજનામાં ભાગ નહી લેવાની જાહેરાત કરી છે અને સરકારે હજુ મૂડીરોકાણમાં રાહત અને સબસિડી આપતી યોજનામાં વેદાન્તાની અરજી મંજૂર કરી નથી. એક તરફ, દેવું ઘટવા સામે જ પ્રશ્ન છે ત્યારે સેમીકન્ડકટર પ્રોજેક્ટ માટે જંગી રોકાણના નાણા ક્યાંથી ઉભા કરવામાં આવશે એ અંગે વેદાન્તા જૂથ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ પ્રોજેક્ટમાં ટેકનોલોજી, ભાગીદાર અને મૂડી ત્રણેય ચીજોની અત્યારે અનિલ અગ્રવાલને શોધ છે.
વેદાંંતા જૂથનું ચગડોળ
2006: વેદાંંતાએ સેસા ગોવામાં 51 ટકા હિસ્સો ખરીદયો
2010: સેસા ગોવાએ કેઈર્ન ઇન્ડિયામાં 20 ટકા હિસ્સો ખરીદયો
2011: વેદાંતાએ કેઈર્નમાં વધારે 38.5 ટકા હિસ્સો ખરીદયો
2012-13: સ્ટરલાઈટ અને સેસા ગોવાનું મર્જર થયું. કેઈર્ન અને એલ્યુમિનીયમનો બિઝનેસ પણ તેમાં જોડવામાં આવ્યો
2015: કેઈર્ન અને વેદાંતા જૂથનું મર્જર
2018: માલિક કંપની વેદાંતા રિસોર્સ લંડન સ્ટોક એક્સચેન્જ ઉપરથી ડીલીસ્ટ થઇ
2020: વેદાંતાને ભારતમાં ડીલીસ્ટ કરવાનો નિર્યણ અને પછી નિષ્ફળ જતા તે પરત ખેંચાયો
2021: વેદાંતા જૂથના વિભાજન અંગે બોર્ડનો નિર્યણ
2023: વિભાજનનો નિર્યણ પરત ખેચવાની જાહેરાત
સપ્ટેમ્બર 2023: ફરી એક વખત વિભાજની જાહેરાત
મર્જરના દાવાઓનું ડિમર્જર પુનરાવર્તન
સેસા ગોવા સમયે 2012માં વેદાંતા જુથે એવો દાવો કર્યો હતો કે આ પગલાંથી કોર્પોરેટ સ્ટ્રક્ચર સરળ બનશે, શેરહોલ્ડરને ફાયદો થશે, મૂડીરોકાણ માટે જૂથને ફાયદો થશે, કંપનીના નાણાકીય સંચાલન કાર્યક્ષમ બનશે. ફરી સપ્ટેમ્બર 2023માં વિભાજન સાથે આ દાવાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.
ડિવીડન્ડ ચૂકવી કંપનીની તિજોરી સાફ કરી
વેદાંતા જૂથની અત્યારની લીસ્ટેડ કંપનીઓમાં છેલ્લા 10 વર્ષમાં રૂ.85000 કરોડનું ડિવીડન્ડ શેરહોલ્ડરને ચુકવ્યું છે. પરંતુ, વેદાંતામાં 68 ટકા, હિન્દુસ્તાન ઝીંકમાં 64 ટકા હોલ્ડીંગ લંડન સ્થિત વેદાન્તા રિસોર્સ અને પ્રમોટર અનિલ અગ્રવાલનો હોવાથી તેનો સૌથી મોટો ફાયદો એમણે પોતે મેળવ્યો છે. બીજું, મૂળ સરકારી માલિકીની પણ પછી ડીસઇન્વેસ્ટમેન્ટમાં ખરીદેલી હિન્દુસ્તાન ઝીંક જૂથ માટે દુઝતી ગાય છે. આ કંપનીમાંથી સતત ઊંચું ડિવીડન્ડ મેળવી હવે તેના રિઝર્વ ચાર વર્ષમાં સાફ થઇ ગયા છે. વેદાન્તા જૂથે 10 વર્ષમાં જે કુલ ડિવીડન્ડ ચુકવ્યું તેનું 64 (કે રૂ.54454 કરોડ) ટકા માત્ર છેલ્લા 18 મહિનામાં ચુકવ્યું છે અને તેનો મોટો હિસ્સો પ્રમોટર જૂથની કંપનીનું દેવું પરત કરવામાં કે વ્યાજ ભરવામાં વપરાયું છે.