ધુમ્મસ-ઠંડીને કારણે ગણ્યાગાંઠયા ખેડુતો જ શાકભાજી લાવ્યા-લેનારા પણ ન ફરકયા: વ્યાપક નુકસાનની ભીતિથી ભાવ પર અસર થવાની શકયતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વરસેલા માવઠાના વરસાદ-કરાથી ખેતીક્ષેત્રને વ્યાપક નુકશાન થયુ જ છે. પરંતુ માર્કેટયાર્ડમાં આગોતરી વ્યવસ્થાને કારણે નુકશાની અટકી હતી. કપાસ-મગફળી જેવી ચીજોમાં નિયંત્રણો ચાલુ રાખવામાં આવ્યા હતા. બીજી તરફ શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો જોવાયો હતો. સવારની હરરાજીમાં કાગડા ઉડયાનો માહોલ હતો.દરમિયાનમા ગઈકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાના કારણે ભાવમાં ભારે તેજી જોવા મળી હતી જેમાં ખાસ કરીને રીંગણા,મરચા તથા ફુલાવરના અગાઉ જે ભાવ બોલાતા હતા તેમાં રૂપિયા ૨૦ થી ૪૦ નો વધું ભાવ બોલાયો હતો.આમ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શાકમાર્કેટમાં તથા છુટક ફેરિયાઓ દ્વારા એક કિલોએ સીધો રૂપિયા ૧૦ થી ૨૦ નો ભાવ વધારો કરી દીધો હતો.
આ ઉપરાંત માર્કેટયાર્ડના સૂત્રોએ કહ્યું કે, માવઠાની આગાહીને કારણે અગાઉથી જ કેટલાંક નિયંત્રણો મુકી દેવાયા હતા. પ્લેટફોર્મ સિવાય ખુલ્લામાં માલ ઉતારવાની મનાઈ કરવામાં આવી હતી તેવીજ રીતે માલ ઢાંકીને જ રાખવાનું ફરજીયાત કરાયુ હતું. આવા સલામતી પગલાથી યાર્ડમાં પડેલા માલમાં કોઈ ખાસ નુકશાની ન હતી. હજુ એકાદ દિવસ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખીને સતાવાળાઓએ આજે પણ મગફળી સહિતની જણસીઓ પ્લેટફોર્મમાં જ રાખવા તથા અન્ય ઉતરાઈ નહીં કરવાની સુચના ચાલુ રાખી હતી.
કપાસની આવક બંધ જ રાખવામાં આવી હતી. અનેક કૃષિ જણસીઓની સીઝન હોવાથી આજે વરસાદી વાતાવરણ છતાં માલની નોંધપાત્ર આવક હતી અને સારા એવા વેપાર થયા હતા. અડદ, મગ, મઠ, મગફળી, લસણની સારી આવક હતી.
બીજી તરફ શાકભાજી યાર્ડમાં કાગડા ઉડયા હતા. જુના યાર્ડમાં સવારે અને બપોરે એમ બે વખત શાકભાજીની હરરાજી થતી હોય છે. પરંતુ કાતિલ પવન સાથે ઠંડીના માહોલ-ખરાબ વાતાવરણ ધુમ્મસને કારણે ગણ્યાગાંઠયા ખેડુતો જ શાકભાજી વેચવા આવ્યા હતા. આ જ રીતે ખરીદી કરવા આવનારા લોકોની સંખ્યા પણ ઘણી ઓછી જ માલુમ પડી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે કાતિલ પવન, ઠંડીના માહોલથી આ સ્થિતિ સર્જાઈ હતી. બપોરની હરરાજીમાં ખેડુતો-વેપારીઓની સંખ્યા મહત્વની બનશે. માવઠાથી શાકભાજીને નુકશાન નિશ્ચિત જ છે. પરંતુ કેટલી હદે થયુ છે અને ભાવ ઉપર કેવીક અસર થાય છે તેના પર મીટ રહેશે. શંકા એવી છે કે કમોસમી વરસાદનું પાણી ઘણુ ઠંડુ હતું. હવે તડકો નિકળે એટલે બચેલો પાક પણ બાકી જવાની ભીતિ રહે છે.
જીંજરા સાફ થઈ ગયાની શંકા છે. મેથી, કોથમરી સહિત અન્ય શાકભાજીને કેટલુ નુકશાન રહે છે અને ભાવ પર કેવીક અસર થાય છે તેના પર નજર રહેશે. ગુજરાતભરમાં સમાન સ્થિતિ હોવાથી હાલત પુર્વવત બનવામાં સમય લાગી જવાનું પણ મનાય છે.