- ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી
- પરંપરાગત રીતે કરવામાં આવ્યું રાવણદહન
- સુરતમાં અનોખું રાવણદહન કરવામાં આવ્યું
નવરાત્રીના નવ નોરતા પૂર્ણ થયા બાદ આજે નવરાત્રીની પૂર્ણાહુતિ સમાન દશેરાનો તહેવાર છે. દશેરા એટલે કે દશમી રાત્રિ. અસત્યની સત્ય ઉપર વિજયની રાત્રિ, ધર્મની અધર્મ પર વિજયની રાત્રિ. રામની રાવણ અને અંબેમાની મહિષાસુર પર વિજયની રાત્રિ.
અનિષ્ટ પર ઈષ્ટના આ વિજયને વધાવતા તહેવાર દશેરા એટલે કે વિજયાદશમીની આજે દેશભરમાં ઠેર ઠેર ભાવભક્તિ અને ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા મોટા શહેરો તેમજ અનેક નાના શહેરો અને ગામડાઓમાં પણ ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરંપરાગત રીતે શોભાયાત્રા કાઢી શસ્ત્રોની પૂજા કરી હતી. બારડોલીમાં પણ શસ્ત્રપૂજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું,
સુરતમાં પોલીસ દ્વારા રાવણદહનનો એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સના દૂષણને અટકાવતા હોય અને ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવતા હોય એવા સ્લોગન્સ સાથે એક 18 ફૂટનું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું જેનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસે ડ્રગ્સના રાવણનું દશેરા પહેલા પણ દહન કર્યું છે અને હંમેશા ડ્રગ્સને ઝડપી આવું કામ ગુજરાત પોલીસ કરતી રહેશે. હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ગર્ભિત ચીમકી આપતા કહ્યું હતું કે અહીં જે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.
આ ઉપરાંત કોડીનાર, વડોદરા જેવા સ્થળોએ પણ રાવણદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દેશની વાત કરીએ તો દિલ્હીમાં રામલીલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ખુદ પીએમ મોદી પોતે સામેલ થયા હતા. આ સિવાય પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતે લાલ કિલ્લા ખાતેના રાવણદહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત દેશના વિવિધ ભાગો જેવા કે જમ્મુ અને કાશ્મીરમાં તેમજ પંજાબમાં પણ પરંપરાગત રીતે રાવણદહન કરી ધૂમધામથી દશેરાના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી હતી.


