રાજકોટના રેસકોર્સમાં શનિવારથી શરૂ થતા લોકમેળામાં સરકારના એસ.ઓ.પી. મુજબના સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશન સાથે જ રાઇડસ ઉભી કરવાનો નિયમ હોવા છતાં રાઇડસના ખાનગી કોન્ટ્રાક્ટરને હજુ સુધી સતાવાર રીતે એલોટમેન્ટ લેટર(પરમીશન) ન મળતા કોન્ટ્રાક્ટરે હાઇકોર્ટના પગથિયા ચડ્યા છે. આજે ગુરુવારે બપોર પછી સુનાવણી થવાની હતી. પરંતુ તેમા મુદત પડતા હવે આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા આસપાસ સુનાવણી રાખવામા આવી છે. એ પૂર્વે જે મોટી રાઇડસના ફીટીંગ હજુ અધુરા છે એ તમામ રાઇડસના બાકીના કામ ગઇકાલથી જ બંધ કરાવી દેવાની ફરજ લોક મેળા સમિતીને પડી છે. કોર્ટના હુકમને અનુસરીશુ તેમ કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યુ હતુ.
બીજીબાજુ લોકમેળો શરૂ થવા આડે ચોવીસ કલાક જ બાકી છે ત્યા આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. શનિવારે બપોરે ૪ વાગ્યે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ઉદઘાટન રાખવામા આવ્યુ છે એ પૂર્વે જ રાઇડસ કોન્ટ્રક્ટરે અદાલતનો દરવાજો ખટખટાવતા હવે કોર્ટ સુનાવણીમાં શું કહે છે એ જોવાનું રહ્યુ. જો કોર્ટ એમ કહે કે વિશાળ જનહિત માટે સરકારના નવા એસ.ઓ.પી. મુજબ જ ફાઉન્ડેશન સાથે રાઇડસ ઉભી કરવાની રહેશે તો હાલમાં આવા કોઇ ફાઉન્ડેશન વગર માત્ર લાકડાના ડટ્ટા પર જ માચડો ઉભો થઇ ગયો છે તો તેનું શું થશે? તૈયાર થઇ ગયેલા ફજતફાડકાના ચકરડા ચાલશે કે પછી યથાસ્થિતિએ જ શોભાના ગાંઠિયાની જેમ બંધ પડ્યા રહેશે એ જોવાનું રહ્યુ. અહીં લોકમેળા સમિતિના અધ્યક્ષ કલેકટર પ્રભવ જોષીની હાલત પણ સાપે છંછૂદર ગળ્યા જેવી થઇ ગઇ છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઓપી અમલી બનાવવામાં આવી છે. જેમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન ઉપરાંત સોઇલ રીપોર્ટ-એનડીટી રીપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવેલ છે. જેની સામે વર્ષોથી રાઇડસ માટે આવતા ધંધાર્થીઓએ આ વખતે લોકમેળાનો બહિષ્કાર કરતા ખાનગી લોકમેળાના કોન્ટ્રાક્ટર દશરથસિંહ વાળાને ૧ કરોડ ૨૭ લાખમા રાઇડસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દશરથસિંહ વાળાએ એવો દાવો કર્યો છે કે, રાઇડ્સ માટે જમીનનો સોઇલ રીપોર્ટ જો પોઝીટીવ તો ફાઉન્ડેશનની આવશ્યકતા રહેતી નથી. આ અંગેનો સરકારની એસઓપી (ગાઇડ લાઇન)માં પણ ઉલ્લેખ કરાયો છે. તો બીજીબાજુ માર્ગ-મકાન વિભાગ દ્વારા આ મામલે તેઓને રાઇડ્સ માટે ફાઉન્ડેશનની વારંવાર ફરજ પાડવામાં આવતી હોય તેઓએ આ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે. જે અંગે ગઇકાલે ગુરુવારે બપોરના હાઇકોર્ટ દ્વારા અરજન્ટ સુનાવણી રાખવામા આવી હતી. પરંતુ તેમા મુદત પડતા બીજા દિવસે આજે શુક્રવારે બપોરે ફાઇનલ સુનાવણી રાખવામા આવી હતી. રાઇડ્સના સંચાલક દશરથસિંહ વાળાના પાર્ટનર વિરેન્દ્રસિંહ ગોહિલ આ સુનાવણી માટે ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે.
દરમિયાન એ પૂર્વે મામલો કોર્ટમાં જતાની સાથે જ કલેકટરે જે મોટી રાઇડસના ફીટીંગનુ઼ કામ જેટલુ બાકી છે એ તાત્કાલિક અસરથી જ બંધ રખાવી દીધુ છે. કલેકટર પ્રભવ જોષીએ કહ્યુ હતુ કે, હાઇકોટૃના હુકમને અનુસરીશુ.
શહેરના અન્ય ખાનગી મેળાના સંચાલકો પણ પક્ષકાર તરીકે જોડાયા
રેસકોર્સમાં સરકારી તંત્ર આયોજિત લોકમેળા ઉપરાંત અન્ય સાત જગ્યાએ લોકમેળો યોજાવાનો છે. જો કે તેને હજુ ફાયર એન.ઓ.સી. કે પરમીશન હજુ સુધી આપવામા આવી નથી. ત્યા પણ જમીનના સોઇલ ટેસ્ટ રીપોર્ટ, ફાઉન્ડેશનનો જ વિવાદ લાગુ પડે જ જેને લઇને કલેકટર કે પોલીસ તંત્ર આ સળગતો ઇશ્યુ હજુ સુધી હાથમાં લેવા માગતા નથી. ખાનગી લોકમેળામાં પણ રાઇડસના માચડા ખડકાઇ ચુક્યા છે. એમછતા પરમીશન ન મળતા સરકારી લોકમેળાના કોન્ટ્રાક્ટર સાથે હાઇકોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશનમાં પક્ષકાર તરીકે જોડાયા છે.
અમને પ્લોટ જ મોડો ફાળવ્યો, : દશરથસિંહ વાળા (કોન્ટ્રાકટર)
રાઇડ્સ સંચાલક દશરથસિંહ વાળાની દલિલ એવી છે કે, ધરોહર લોકમેળા માટે તેઓને રાઇડ્સ માટેના પ્લોટ ખુબ જ મોડો સોંપવામાં આવેલ છે. રાઇડ્સ માટે જો ફાઉન્ડેશન કરાવવું હોય તો આ પ્લોટનો કબ્જો વહીવટીતંત્રએ તેઓને 15 દિવસ પહેલા સોંપી આપવો જોઇએ. સરકારના એસ.ઓ.પી. મુજબ ચોક્કસ ઉંડાઇનો ખાડો ખોદવો, તેમા સિમેન્ટ-કોંક્રિટની ભરતી સાથે રાઇડસના પાયા નાખવા સહિતના કામ ટૂંકાગાળામાં થઇ જ ન શકે.