જ્ઞાની પુરુષોમાં પણ દોષ હોય છે.
સંસારમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. કોઈ ને કોઈ દોષ, કોઈ ને કોઈ ખામી તો સર્વમાં રહેલી હોય છે. જ્ઞાની-વિદ્વાન અને મહાત્માઓ પણ આ નિયમથી બાકાત નથી, પરંતુ જો એમનામાં માત્ર સામાન્ય જ દોષ હોય તો આપણે એની સામે આંખમીંચામણાં કરવાં જોઈએ.
નાસ્તિ રત્નમખંડિતમ્ રત્ન ક્યારેય અખંડિત નથી હોતું.
કોઈ રત્ન ક્યારેય અખંડિત નથી હોતું. મણિમાંયે મલિનતા હોય છે. દોષવિહીન રત્ન કે મણિ મળવાનું લગભગ અસંભવિત છે. એ જ રીતે શ્રેષ્ઠ, સજ્જન કે મહાત્મા પુરુષમાં કોઈ અલ્પ દોષ કે મલિનતા જણાય તો એને વધુ મહત્ત્વ ન આપવું જોઈએ.
સતાં મતં નાતિક્રામેત સજ્જનોના સિદ્ધાંતનું ક્યારેય અતિક્રમણ ન કરવું જોઈએ.
સજ્જનોનું જીવન અનુભવોની ખાણ સમાન હોય છે. આથી એ લોકો જે નિયમો ઘડે છે, જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે, એની પાછળ જનસામાન્યનું હિત છુપાયેલું હોય છે. આથી, નિયમો, સિદ્ધાંતોનું સૌએ અનુસરણ કરવું જોઈએ અને એનો અનાદર કે એનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.