BCCIની ઘરેલુ ODI ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ફેન્સ આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ઘણા વર્ષો પછી આ ટુર્નામેન્ટમાં રમશે.
પરિણામે તેમની આસપાસ ઘણી ચર્ચા છે. વિરાટ કોહલી વિશે વાત કરીએ તો તે 15 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં રમશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી કેવું પ્રદર્શન કર્યું છે.
વિજય હજારે ટ્રોફીમાં વિરાટનો રેકોર્ડ કેવો રહ્યો છે?
આગામી વિજય હજારે ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં વિરાટ કોહલીને સામેલ કરવામાં આવ્યો છે. તે પહેલી 2 મેચમાં રમે તેવી શક્યતા છે. વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તેને વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી 13 મેચ રમી છે અને 68.25 ની એવરેજથી 819 રન બનાવ્યા છે. આ ટુર્નામેન્ટમાં તેનો સ્ટ્રાઇક રેટ 106.08 રહ્યો છે.
આ દરમિયાન વિરાટ કોહલીએ 4 સદી અને 3 અડધી સદી ફટકારી છે. વિરાટ છેલ્લે 2009-10 માં આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળ્યો હતો. તે સિઝનમાં તેને 5 ઈનિંગમાં 229 રન બનાવ્યા હતા, જેમાં તેની એવરેજ 45.80 અને સ્ટ્રાઈક રેટ 102.23 હતી.
વિરાટે 2008-09માં 500 થી વધુ રન બનાવ્યા
2008-09માં વિજય હજારે ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ સફળ રહી. તેને તે સિઝનમાં 7 મેચમાં 534 રન બનાવ્યા, જેમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તે છેલ્લે 2010માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. સર્વિસીસ સામેની મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરતા તેને 8 બોલમાં 16 રન બનાવ્યા હતા.
રિષભ પંતની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી
વિજય હજારે ટ્રોફીના ગ્રુપ Dમાં દિલ્હીને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી ટીમની કેપ્ટનશીપ રિષભ પંતને સોંપવામાં આવી છે, જ્યારે આયુષ બદોનીને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં નીતિશ રાણા, હર્ષિત રાણા, ઈશાંત શર્મા, નવદીપ સૈની અને પ્રિયાંશ આર્ય જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી રિષભ પંતની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. દિલ્હીની ટીમ 24 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. તેમનો આગામી મેચ 26 ડિસેમ્બરે ગુજરાત સામે થશે.
આ પણ વાંચો: IPL 2026: દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન, અક્ષર પટેલને લાગશે મોટો ઝટકો!


