૨૦૨૬-૨૦૨૭ માટે રાજકોટના મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ 3૫૯૫.૭૦ કરોડનું સુચિત બજેટ કર્યુ રજૂ
પાણી-ડોર ટુ ડોર ગાર્બેજ વેરામાં ઝિંકાયો વધારો
કુલ નવો ૯૫ કરોડનો કરબોજ લાદવા બજેટમાં સુચવાયુ : પાણીવેરામાં ઘરદીઠ રૂ.૧૫૦૦માંથી રૂ.૨૪૦૦ જ્યારે કોમર્શિયલ નળજોડાણ માટે રૂ.3૨૦૦માંથી રૂ.૪૮૦૦ કરવાનું સુચન : ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં રેસીડેન્સીયલના રૂ.3૬૫માંથી રૂ.૮૦૦ જ્યારે બીન રહેણાંક એટલે કે કોમર્શિયલ એકમના રૂ.૧૪૬૦માંથી રૂ.3૨૦૦ કરવા બજેટમાં થઇ ભલામત
ફાયર, વ્યવસાય સહિતના અન્ય વેરામાં કોઇ વધારો ન સુચવાતા રાહત : નવા કોઇ મોટા પ્રોજેક્ટ ન મુકીને પેન્ડીંગ પ્રોજેક્ટ અને વિકસિત વિસ્તારોમાં રોડ-ડ્રેનજ-સફાઇ-લાઇટ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાકીય સુવિધા માટે વિશેષ નાણાકીય જોગવાઇ
ચૂંટણીનું વર્ષ હોય હવે શાસકો બજેટનો અભ્યાસ કરી થોડી ‘રંગ પુરણી’ કરી બજેટને ફૂલગુલાબી સ્વરૂપે રજૂ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના આગામી એક વર્ષના વિકાસની રૂપરેખા કંડારીને વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું રૂ.3૫૯૫.૭૦ કરોડના કદનું સુચિત બજેટ આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ બહાર પાડીને સ્ટેન્ડીંગ કમિટીને સોંપ્યુ હતુ. આ સુચિત બજેટમાં રાજકોટવાસીઓ ઉપર રૂ.૯૫ કરોડનો કરબોજ લાદવામા આવ્યો છે. જેમા પાણીવેરો અને ઘરે ઘરેથી ટીપરવાન મારફતે ઉઘરાવાતા કચરાની સેવાને વધુ મોંઘી કરી ઉકત બન્નેમાં વેરા વધારો ઝિંકવામા આવ્યો છે. પાણીવેરામાં ઘરદીઠ રૂ.૧૫૦૦માંથી રૂ.૨૪૦૦ જ્યારે કોમર્શિયલ નળજોડાણ માટે રૂ.3૨૦૦માંથી રૂ.૪૮૦૦ કરવાનું સુચવાયુ છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં રેસીડેન્સીયલના રૂ.3૬૫માંથી રૂ.૮૦૦ જ્યારે બીન રહેણાંક એટલે કે કોમર્શિયલ એકમના રૂ.૧૪૬૦માંથી રૂ.3૨૦૦ કરવાનું સુચવવામા આવ્યુ છે. અન્ય કોઇ વેરા વધારો કરવામા આવ્યો નથી. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ બજેટને વાસ્તવિક સ્વરૂપ આપવા પુર્ણ પ્રયાસ કર્યો છે. કોઇ નવા મોટા પ્રોજેક્ટનો ઉમેરો કરીને બજેટનું કદ વધારવા કરતા પાછલા વર્ષના બજેટમાં મુકાયેલા હોય તેવા કામને ઝડપભેર પુર્ણ કરવા માટે નાણાકીય જોગવાઇ પર વિશેષ ભાર મુક્યો છે. માળખાકીય સુવિધામાં વધારો કરવો, નવા સરકારી ફ્લેટ બનાવવા, વિકસિત વિસ્તારોમાં પાણી-ભૂગર્ભની લાઇન, રોડ નેટવર્ક, સફાઇ સહિત પ્રાથમિક સુવિધા માટે સવિશેષ આર્થિક જોગવાઇ કરવામા આવી હોવાનું બજેટમાં જોવા મળ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦માં રાજકોટ મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ થયું હતું. મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-૧ સહીત) રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧૨૭.૨૧ ચો.કિ.મી.થી વધીને કુલ ૧૬૧.૮૬ ચો.કિ.મી. થઇ ચૂકેલું છે. આ સ્થિતિમાં સ્વાભાવિકપણે જ મહાનગરપાલિકા પાસે રાજકોટવાસીઓની અપેક્ષાઓ ઘણી વધી હોય. આ નવા ભળેલા વિસ્તારોને નજર સમક્ષ રાખી રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર યોજના, સ્ટ્રીટલાઈટ, સફાઈ અને સ્વચ્છતા, સામાજિક સુખસુવિધાઓ અને સેવાઓ, ઉપરાંત સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ વિકસાવવાની ખુબ મોટી જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના શિરે છે.
હાંશ, બેડી ચોકડી-મોરબી રોડ પર બનશે બ્રિજ
શેફ્રોન વિલા અને ખોડલધામ વચ્ચે બ્રિજ માટે બજેટમાં જાહેર કરાયો ઇરાદો
રાજકોટ રિંગરોડ કોરીડોર પર બેડી ચોકડી પર ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે. ક્યારેક તો બબ્બે કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી જાય છે. તેને ધ્યાનમાં રાખીને બેડી ચોકડી-મોરબી રોડ પર બ્રિજ બનાવવા માટનો ઇરાદો બજેટમાં વ્યક્ત કરવામા આવ્યો છે. ખોડલધામ પાસે, શેફ્રોન વિલા વચ્ચે બ્રિજ બનાવવા માટે ફીઝીબિલીટી ચકાસવા માટે કમિશનર તુષાર સુમેરાએ બજેટમાં સુચન કર્યુ છે.
- અન્ય આ બિજના કામ છે પ્રગતિમાં
- વોર્ડ નં.૧૧ માં કટારીયા ચોકડી પાસે અન્ડરબ્રિજ તથા આઇકોનિક ફલાયઓવર બ્રિજ બનાવવાનું કામ. (રકમ રૂ. ૧૬૭.૨૪ કરોડ) : કાલાવડ રોડ કટારીયા ચોકડી પર થ્રી લેયર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં કાલાવડ રોડ પર આશરે ૭૪૪.૦૦ મી. લંબાઇમાં તથા ૨૩.૧૦ મી. પહોળાઇમાં સિક્સ લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેનાં સેન્ટ્રલ પોર્શનમાં ૧૬૦.૦૦ મી. ગાળામાં કેબલ સ્ટેઇડ બ્રિજ કરવામાં આવશે. આ કામ થવાથી આશરે ૨ લાખ લોકોને લાભ મળશે.
- વોર્ડ નં.-૯માં નવાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનાં ત્રણ બ્રીજને વાઇડનીંગ કરવાનું કામ રકમ રૂ. ૪૭.૧૩ કરોડ : નવાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનાં પરશુરામ ચોકડીથી કટારીયા ચોકડી સુધીનાં રસ્તા પર આવતાં ત્રણ બ્રીજ પૈકી બ્રીજ નં.-૨ આશરે ૩૫૮.૦૯૧ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં,બ્રીજ નં.- ૩ આશરે ૩૫૮.૦૯૧ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં, બ્રીજ નં.-૪આશરે ૨૯૪.૨૨૦ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં આર.સી.સી. હાઇલેવલ બ્રીજ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ત્રણેય બ્રીજ નવાં ૧૫૦ ફૂટ રિંગ રોડને (જામનગર હાઇ-વે થી કાલાવાડ રોડ) જોડતા મુખ્ય રસ્તા પરનો બ્રીજ નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ બ્રીજનું નિર્માણ પૂર્ણ થવાથી આશરે ૧ લાખ લોકોને તેનો ફાયદો થશે.
- વોર્ડ નં.૧ માં રૈયા રોડ પર સ્માર્ટ સીટીને જોડતા રસ્તા પર રકમ રૂ.૧૫.૧૯ કરોડનાં ખર્ચે ફોર લેન બ્રિજની કામગીરી વર્ષ ૨૦૨૬ – ૨૭ માં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે : આ કામે આશરે ૫૦ મીટર લંબાઇ તથા ૪૫ મીટર પહોળાઇમાં આર.સી.સી. હાઇલેવલ બ્રીજ તેમજ ૧૨૭ મીટર લંબાઇમાં બન્ને તરફે એપ્રોચ રોડ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ બ્રીજ સ્માર્ટ સીટીને જોડતાં મુખ્ય રસ્તા પરનો બ્રીજ નિર્માણ થશે. આ બ્રીજનું નિર્માણ થવાથી આશરે ૧ લાખ લોકોને તેનો ફાયદો થશે.
શા માટે પાણીવેરામાં વધારો કરાયો, કમિશનરે આપ્યુ આ કારણ
શહેરને પાણી પુરુ પાડવા માટે અલગ અલગ સ્ત્રોતોથી તથા નર્મદા યોજનાનુ પાણી જંગી ખર્ચથી મેળવવામાં આવે છે. ઘણી વખત અપુરતા વરસાદના સંજોગોમાં નિયમિત પાણી વિતરણ કરવુ પડકારરૂપ હોવા છતાં ગયા વર્ષે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરેલ છે. આ માટે અલગ અલગ જળાશયોથી પમ્પીંગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં આ સંબંધે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૨૫.૦૦ કરોડ તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૨૧૧.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે. વધતા આ ખર્ચને પહોંચી વળવા હાલમાં અડધા ઈંચના રહેણાંક કનેક્શન માટે વાર્ષિક રૂપિયા ૧૫૦૦ ના દરથી પાણી ચાર્જ વસુલવામાં આવે છે તથા બિનરહેણાંક માટે રૂ. ૩૦૦૦ ના દરથી પાણી ચાર્જ વસુલવામાં આવે છે જેમાં વધારો સૂચવીને રહેણાંક માટે વાર્ષિક રૂ. ૨૪૦૦ તથા બિન રહેણાંક માટે વાર્ષિક રૂ. ૪૮૦૦ પાણી ચાર્જ સૂચવવામાં આવ્યો હોવાનું મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ.
અન્ય પ્રકારના નળ કનેકશન માટે સુચવાયેલો વેરા વધારો
| નળ કનેક્શનની સાઈઝ
|
સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, જ્ઞાતિ ની વાડી /છાત્રાલય તેમજ સરકારી રહેણાંક ઉપયોગ માટે ઓછામાં ઓછો વાર્ષિક દર રૂ. | બીન-રહેણાંક, બાંધકામ માટેનો ઓછામાં ઓછો વાર્ષિક દર રૂ. | ||
| હાલના દર | સૂચવેલ દર | હાલના દર | સૂચવેલ દર | |
| ૩/૪” (૨૦ મીમી) | ૧૦,૮૦૦ | ૧૭,૨૮૦ | ૮૭,૦૦૦ | ૧,૩૯,૨૦૦ |
| ૧” (૨૫ મીમી) | ૧૮,૦૦૦ | ૨૮,૮૦૦ | ૧,૪૪,૦૦૦ | ૨,૩૦,૪૦૦ |
| ૧ ૧/૪” (૩૦ મીમી) | ૨૭,૦૦૦ | ૪૩,૨૦૦ | ૨,૧૬,૦૦૦ | ૩,૪૫,૬૦૦ |
| ૧ ૧/૨” (૪૦ મીમી) | ૪૫,૦૦૦ | ૭૨,૦૦૦ | ૩,૬૦,૦૦૦ | ૫,૭૬,૦૦૦ |
| ૨” (૫૦ મીમી) | ૭૨,૦૦૦ | ૧,૧૫,૨૦૦ | ૫,૭૬,૦૦૦ | ૯,૨૧,૬૦૦ |
| ૨ ૧/૨” (૬૫ મીમી) | ૧,૦૮,૦૦૦ | ૧,૭૨,૮૦૦ | ૮,૬૪,૦૦૦ | ૧૩,૮૨,૪૦૦ |
| ૩” (૮૦ મીમી) | ૧,૮૦,૦૦૦ | ૨,૮૮,૦૦૦ | ૧૪,૪૦,૦૦૦ | ૨૩,૦૪,૦૦૦ |
| ૪” (૧૦૦ મીમી) | ૨,૭૦,૦૦૦ | ૪,૩૨,૦૦૦ | ૨૧,૬૦,૦૦૦ | ૩૪,૫૬,૦૦૦ |
| ૬” (૧૫૦ મીમી) | ૪,૦૫,૦૦૦ | ૬,૪૮,૦૦૦ | ૩૨,૪૦,૦૦૦ | ૫૧,૮૪,૦૦૦ |
| ૮” (૨૦૦ મીમી) | ૫,૪૦,૦૦૦ | ૮,૬૪,૦૦૦ | ૪૩,૨૦,૦૦૦ | ૬૯,૧૨,૦૦૦ |
| ૧૨” (૩૦૦ મીમી) | ૮,૬૪,૦૦૦ | ૧૩,૮૨,૪૦૦ | ૫૯,૬૦,૦૦૦ | ૯ ૫,૩૬,૦૦૦ |
એ.ઓ.પી.વાળા રહેણાંક મકાન માટેનો વેરો
| નળ કનેક્શનની સાઈઝ | એ.ઓ.પી. વાળા રહેણાંક મકાન માટેનો લઘુત્તમ વાર્ષિક દર રૂ. | |
| હાલના દર | સૂચવેલ દર | |
| ૩/૪” (૨૦ મીમી) | ૬,૪૭૧ | ૧૦,૩૫૪ |
| ૧”(૨૫ મીમી) | ૧૦,૮૦૦ | ૧૭,૨૮૦ |
| ૧ ૧/૪” (૩૦ મીમી) | ૧૬,૨૦૦ | ૨૫,૯૨૦ |
| ૧ ૧/૨” (૪૦ મીમી) | ૨૭,૦૦૦ | ૪૩,૨૦૦ |
| ૨” (૫૦ મીમી) | ૪૩,૨૦૦ | ૬૯,૧૨૦ |
| ૨ ૧/૨” (૬૫ મીમી) | ૬૪,૮૦૦ | ૧,૦૩,૬૮૦ |
| ૩” (૮૦ મીમી) | ૧,૦૮,૦૦૦ | ૧,૭૨,૮૦૦ |
| ૪” (૧૦૦ મીમી) | ૧,૬૨,૦૦૦ | ૨,૫૯,૨૦૦ |
| ૬”(૧૫૦ મીમી) | ૨,૪૩,૦૦૦ | ૩,૮૮,૮૦૦ |
| ૮” (૨૦૦ મીમી) | ૩,૮૪,૦૦૦ | ૬,૧૪,૪૦૦ |
| ૧૨” (૩૦૦ મીમી) | ૮,૬૪,૦૦૦ | ૧૩,૮૨,૪૦૦ |
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ખર્ચ ૧૦૮ કરોડમાંથી વધીને ૧3૬ કરોડ થતા વધારો ઝિંકાયો
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની સેવામાં વિસ્તરણ, પ્રક્રિયા અને નિકાલ માટે સુવિધાઓનું આધુનિકીકરણ, કચરો એકત્ર કરવાના વાહનોની સંખ્યા વધારવી, જાગૃતિ અભિયાન અને સમુદાય ભાગીદારી વધારવાના પ્રયાસને તેજ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં આ સંબંધે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૦૮.૦૦ કરોડ તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજીત ખર્ચ રકમ રૂ. ૧૩૬.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે. પરિણામે ડોર ટુ ડોર ગાર્બેજ સેવામાં વેરા વધારો ઝિંકવામા આવ્યો હોવાનું મ્યુનિ.કમિશનરે કહ્યુ હતુ. આ વેરા વધારાથી મનપાને અંદાજિત રકમ રૂ. ૪૬.૦૦ કરોડ રૂપિયા જેટલી વધારાની આવક થવાનો અંદાજ છે.
સળંગ ત્રણ વર્ષ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેનારને વેરામાં વિશેષ ૧ ટકા વળતર
ચાલુ વર્ષે આ સ્કીમ હેઠળ ૩,૪૬,૩૩૯ મિલકત ધારકોએ લાભ લીધેલ છે. દર વર્ષે નિયમિત આ સ્કીમનો લાભ લેતા રાજકોટ મહાનગરપાલિકાના વફાદાર કરદાતાઓને વિશેષ લાભ મળે તે માટે આ યોજનામાં વિશેષ ફેરફાર કરવામાં આવેલ છે તથા દર વર્ષની આ વર્ષ માટે પણ જે કરદાતાઓએ સળંગ ત્રણ વર્ષ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લીધેલ હોય તેમને ૧% ટકા વિશેષ વળતર આપવામાં આવેલ છે તથા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પણ આ લાભ યથાવત રાખવા આવ્યો છે.
વ્યવસાય વેરાની આવકમાં ગાબડુ, જો કે કોઇ વધારો કરાયો નથી
વર્ષ ૨૦૨૦થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની કામગીરી મિલકત વેરા સાથે લિન્ક કરવામાં આવેલ છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ વસૂલાત રકમ રૂ. ૩૨.૦૬ કરોડ થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ વસૂલાત રકમ રૂ. ૪૦.૦૦ કરોડ થવાનો અંદાજ છે. જે પૈકી આજદિન સુધી રકમ રૂ. ૨૬.૦૦ કરોડની વસૂલાત થયેલ છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રકમ રૂ. ૪૪.૦૦ કરોડ આવકનો અંદાજ છે.


