અમે પૂરતો સમય આપ્યો છે અને હજુ એ લોકો પાસે સમય છે : કલેકટર
રાજકોટના જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલીશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાનિકોની વ્હારે કોંગ્રેસ સભા ગજવી ચૂક્યું છે. અહીં રહેતા 15000 જેટલા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જેટલી પણ જમીન છે તે ખાલી કરાવવા માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. રાજકોટના જંગલેશ્વરમાં દબાણકર્તાઓને લીગલી સાંભળવામાં આવેલા છે. દરેક દબાણકર્તાઓને ત્રણ વખત સાંભળવામાં આવેલા છે અને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ ડિમોલિશન માટે 202ની નોટિસ આપવામાં આવી છે.
જંગલેશ્વરના 1358 મિલકત ધારકોને દબાણ હટાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેથી હવે વધારાનો સમય આપવાની કોઈ વાત રહેતી નથી. અમારા મુજબ વહીવટી તંત્ર દ્વારા લીગલ પ્રક્રિયા કરવામાં આવી છે. દરેક દબાણ કરનારાઓને વાંધા અરજી રજૂ કરવા અને પુરાવાઓ રજૂ કરવા માટે તક આપવામાં આવતી હોય છે તેની લીગલ પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સમયમાં હવે ડિમોલિશનની તારીખ નક્કી કરવામાં આવશે.
રેવન્યુ ડાયરીમાં ઓટોમેટીક દબાણની નોંધ થશે
કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે નોટિસો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં કઈ ગૌચરની અને સરકારી ખરાબાની જગ્યા પર દબાણ છે તે ઓટોમેટીક આઇડેન્ટીફાઈ થશે અને ત્યારબાદ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
વૈકલ્પીક વ્યવસ્થાની માંગ ફગાવાઇ
નોંધનીય છે કે, રાજકોટના જંગલેશ્વરમાં આજી રિવરફ્રન્ટ અને આજી રી-ડેવલોપમેન્ટ માટે જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની જગ્યા પર ખડકાયેલી 1358 મિલકતો પરથી દબાણ દૂર કરવા માટે કલમ 61 મુજબ ત્રણ વખત નોટિસ આપી હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જે બાદ હવે કલમ 202 મુજબ આખરી નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમના દ્વારા વહીવટી તંત્ર સમક્ષ દબાણ દૂર કરવા માટે થોડો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે સરકારી આવાસ ફાળવવા પણ માંગણી કરાઈ છે. જોકે વહીવટી તંત્ર હવે ડિમોલીશન માટે મક્કમ છે.


