કરુણાસભર બનવું એ શું છે? કૃપા કરી એ તમે તમારી જાતે જ શોધી કાઢો. તેને અનુભવો, જે મન દુભાયું છે, જેને દુભાવી શકાય છે શું તે ક્યારેય માફ કરી શકે? જે મન દુભાઈ શકે તેવું હોય તે શું ક્યારેય માફ કરી શકે? અને શું આવું મન કે જે દુભાતું હોય, જે સદ્ગુણ કેળવતું હોય, જે ઉદારતા વિશે સભાન હોય, શું તેવું મન કરુણાસભર હોઈ શકે? કરુણા, પ્રેમની જેમ, એવું કંઈક છે કે જે મનની બાબત નથી.
જ્યારે મન કરુણાસભર હોય, જ્યારે તે પ્રેમપૂર્ણ હોય ત્યારે તેને પોતાની એની જાણ નથી હોતી, પરંતુ જે ક્ષણે તમે સભાનપણે માફ કરો, ત્યારે એનું મન પોતાના હૃદયમાં પોતાનું કેન્દ્ર મજબૂત બનાવે છે. એમ જે મન સભાનપણે માફ કરે છે તે ક્યારેય ખરેખર માફ કરી શકે નહીં, તેને ક્ષમા એટલે શું તેની ખબર જ નથી. તે ફરીવાર દુભાય નહીં, દુ:ખી થાય નહીં તે માટે માફ કરે છે. તેથી મન ખરેખર શા માટે યાદ રાખે છે, શા માટે તે સ્મૃતિમાં સંગ્રહ કરે છે તે શોધી કાઢવું બહુ જ મહત્ત્વનું છે, કારણ કે મન અનંતકાળથી પોતાને વધારે મોટું દેખાડવાનો ઉપાય શોધે છે, મોટું થવા માંગે છે, કંઈક બનવા માંગે છે. જ્યારે મન કંઈક ન બનવા ઈચ્છતું હોય, કંઈ જ ન બનવા માંગતું હોય, બિલકુલ કંઈ જ નહીં ત્યારે એ અવસ્થામાં ત્યાં કરુણા હોય છે, એ અવસ્થામાં ન તો માફી હોય છે કે ન તો વ્યથિત થવાની સ્થિતિ; પરંતુ તે સમજવા માટે આપણે `અહં’ના સભાનતાપૂર્વકના વિકાસને સમજવો જ જોઈએ.
આમ, જ્યાં સુધી કોઈ ખાસ અસરને, કોઈ ખાસ સદ્ગુણને સભાનતાથી કેળવવાની વાત હોય છે, ત્યાં સુધી ત્યાં પ્રેમ ન હોઈ શકે, કરુણા ન હોઈ શકે, કારણ કે પ્રેમ અને કરુણા સભાન પ્રત્યેનું પરિણામ નથી.
જ્યાં પીડાની શક્યતા હોય ત્યાં પ્રેમ ન હોય
પ્રશ્નકર્તા એ જાણવા માંગે છે કે તે જેને પ્રેમ કરે છે તેને પોતાનું વર્તન દૂભવે તેવું છે. આ વાત તે પોતે જાણે છે, તો હવે તેણે મુક્તપણે, સ્વયંનું દમન કર્યા વગર કેવી રીતે વર્તવું? તમે જાણો છો કે પ્રેમ કરવો એટલે મુક્ત થવું. તેમાં બંને પક્ષ મુક્ત હોય છે. જ્યાં પીડાની શક્યતા હોય, જ્યાં પ્રેમમાં દુ:ખી થવાની શક્યતા હોય, ત્યાં પ્રેમ ન હોય. તે પ્રેમ નથી, એ કેવળ માલિકીનું, પ્રાપ્ત કરવાનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરતા હો તો જ્યારે તમે તમને સાચું લાગતું હોય તેવું કંઈ કરો ત્યારે બીજા પક્ષને તમે વ્યથિત કરો એવી કોઈ શક્યતા જ નથી રહેતી. જ્યારે તે વ્યક્તિ પાસે તમે તમારી મરજી મુજબ કંઈ કરાવવા ઈચ્છતા હોવ કે તે વ્યક્તિ પોતે પોતાની મરજી મુજબનું કંઈ તમારી પાસે કરાવવા માગતી હોય ત્યારે જ ત્યાં પીડા શક્ય બને. એટલે કે કોઈ તમારો કબજો ધરાવે તે તમને ગમતું હોય ત્યારે જ તે શક્ય બને. તમે તેમાં સલામતી અનુભવો, સુરક્ષિતતા અનુભવો અથવા રાહત અનુભવો ત્યારે બને. ભલે તમે જાણતા હો કે રાહત ક્ષણિક-ક્ષણભંગુર છે, છતાં તમે એવી રાહત મળે તે ઈચ્છો છો.