બુદ્ધિને કેળવવાથી તે પ્રજ્ઞા નથી બની જતી. કદાચ જ્યારે આપણે સંપૂર્ણપણે બૌદ્ધિક અને લાગણીશીલ બનીને પૂર્ણપણે સુમેળ જાળવીને કામ કરીએ ત્યારે પ્રજ્ઞા (અંત:જ્ઞાન) ઉદ્ભવે છે. બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચે બહુ જ મોટો તફાવત છે. બુદ્ધિ તો માત્ર લાગણીથી અલગ અને સ્વતંત્રપણે સક્રિય થતો વિચાર છે. જ્યારે લાગણીથી અલગ એવી વિચારશક્તિને કોઈ ખાસ દિશામાં તાલીમ આપવામાં આવે ત્યારે એવું બને કે કોઈ પાસે બહુ જ અગાધ એવી બુદ્ધિ હોય, પરંતુ તેનામાં પ્રજ્ઞા (અંત:સ્ફુરણા) ન હોય, કારણ કે પ્રજ્ઞાના મૂળમાં જ અનુભવવાની ક્ષમતા છે એટલું જ નહીં સમજવાની પણ ક્ષમતા છે; પ્રજ્ઞામાં બંને ક્ષમતા સમાન પ્રમાણમાં રહેલી છે, ઉત્કટપણે સુમેળ સાથે રહેલી છે.
જો તમે ધંધામાં તમારી લાગણીને વચ્ચે લાવો તો તમે કહો છો કે ધંધો સારી રીતે થઈ શકે નહીં અથવા તેમાં પ્રામાણિક રહી શકાય નહીં. તેથી તમે તમારા મનને અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરો છો; એક વિભાગમાં તમે તમારું ધાર્મિક હિત રાખો છો, બીજામાં તમારી લાગણીઓ, ત્રીજામાં તમારું ધંધાકીય હિત રાખો છો કે જેને તમારા બૌદ્ધિક અને લાગણીશીલ જીવન સાથે કોઈ લેવાદેવા નથી. તમારું ધંધાકીય મન જીવન જીવવા માટે માત્ર ધન મેળવવા માટેના સાધન તરીકે જુએ છે. આમ, તમારા જીવનમાં આવું અવ્યવસ્થિત અસ્તિત્વ અને વિભાજન ચાલ્યા કરે છે. જો તમે ખરેખર તમારી પ્રજ્ઞાનો ઉપયોગ વ્યવસાય કે ધંધામાં કરો તો અને જો તમારી ભાવનાઓ અને તમારા વિચારો સુસંગતપણે કાર્ય કરતા હોય તો કદાચ તમારો ધંધો પડી ભાંગે એવું બને. અને જ્યારે તમને આ રીતે જીવવામાં રહેલી વ્યર્થતા, તેમાં રહેલી ક્રૂરતા અને તેમાં થતા શોષણનું ખરેખર ભાન થાય ત્યારે તમે કદાચ તેને પડી ભાંગવા દો તેવું બને.