ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ।
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ॥ (15/6)॥
તે પરમ પદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, તે જ મારું પરમધામ છે. જીવ પણ મારો અંશ હોવાથી મારાથી અભિન્ન છે તે મારા ધામને નિત્ય પ્રાપ્ત છે. પરમાત્મા તત્ત્વ ચેતન છે અને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ જડ-પ્રાકૃત છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નેત્ર, મન અને વાણીને પ્રકાશિત કરે છે. એ ત્રણે પણ જડ છે એટલા માટે નેત્રોથી એ પરમાત્મા તત્ત્વને જોઇ શકાતું નથી, મનથી તેનું ચિંતન થઇ શકતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી. ચેતન જીવાત્મા પણ પરમાત્માનો અંશ હોવાથી સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તેથી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થો તેને પ્રકાશિત કરી શકતા નથી. તે જ્યાં સુધી પોતાના અંશી પરમાત્માને ક્ષેત્રિય બ્રહ્મનિષ્ઠ તત્ત્વદર્શી સંતના શરણમાં જઇ પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી તેનું આવાગમન ચાલુ રહે છે.
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન ।
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥ (15/7) ॥
આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે, પોતાની માની લે છે. જેમની સાથે જીવની તાત્ત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યમાત્રનું નામ લોક છે. આત્મા પરમાત્માનો અંશ છે, પરંતુ પ્રકૃતિનાં કાર્ય શરીર ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરે સાથે પોતાની એકતા માનીને તે જીવ થઇ ગયો છે.
શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી, ઇચ્છાનુસાર તેમાં પરિવર્તન કરી શકતા નથી, પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી, તેઓની સાથે હંમેશાં રહી શકતા નથી, તેઓને પોતાની સાથે લઇ જઇ શકતા નથી છતાં, પણ તેઓને પોતાના માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ છે! ભગવાનમાં ફક્ત મન-બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી એ શ્રેષ્ઠ છે. આમ કરવાથી મન-બુદ્ધિ આપોઆપ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઇ જાય છે.
જીવ ઈશ્વરનો અંશ છે. અંશનો અર્થ કપાયેલો ટુકડો નહિ જેમ કે સમુદ્રનો અંશ તેનું બિંદુ નહિ. આવો અંશ-અંશીભાવ સમજવાનો નહિ. સમુદ્રમાંથી બિંદુ અલગ કરી શકાય છે, કારણ કે સમુદ્ર સાવયવ છે. બ્રહ્મમાંથી જીવને અલગ ન કરી શકાય, કારણ કે બંને નિરવયવ છે. બ્રહ્મ વ્યાપક છે. વ્યાપકનો ટુકડો ન કરી શકાય, કારણ કે જ્યાં બ્રહ્મ ન હોય ત્યાં ટુકડો મૂકી શકાય તેવું તો છે નહિ, તેથી અંશનો અર્થ સામર્થ્યઅંશ સમજવાનો છે. જીવ અને ઈશ્વર બંને સચ્ચિદાનંદ છે એટલે કે બંને સત્, ચિત્ અને આનંદરૂપ છે. બંનેની સનાતન સત્તા હોવાથી સત છે. બંને જ્ઞાનરૂપ હોવાથી ચિત્ છે. બંને આનંદરૂપ હોવાથી આનંદ છે. આ રીતે બંને સચ્ચિદાનંદરૂપ છે, પણ બંનેમાં સામર્થ્યભેદ છે. જીવ સચ્ચિદાનંદ છે. જ્યારે ઈશ્વર સચ્ચિદાનંદ આનંદઘન છે. આ ઘન શબ્દને સમજવા જેવો છે. જળનું બિંદુ પણ જળ છે અને સમુદ્ર પણ જળ છે, પણ બિંદુ ઘન નથી. તેની ક્ષમતા ઓછી છે. સમુદ્રમાં સ્ટીમરો તરી શકે છે બિંદુમાં નહિ. સમુદ્રમાં હજારો મગરમચ્છો ફરી શકે છે, બિંદુમાં નહિ. આવી રીતે જીવનું સામર્થ્ય અલ્પ હોવાથી તે અલ્પ શક્તિમાન છે. ઈશ્વરનું સામર્થ્ય અમાપ હોવાથી તે સર્વશક્તિમાન છે, પણ છે બંને સચ્ચિદાનંદ, તેથી અંશ-અંશીભાવ બતાવ્યો છે.