લાગણી કઈ રીતે ઉદ્ભવે છે? સાવ સહેલી વાત છે. તે ઉત્તેજના દ્વારા કે જ્ઞાનતંતુ દ્વારા ઉદ્ભવે છે. તમે મારા શરીરમાં ટાંકણી ખોસો છો અને હું ઊછળી પડું છું; તમે મારી ખુશામત કરો છો અને હું ખુશ થાઉં છું; તમે મારું અપમાન કરો છો અને મને તે નથી ગમતું. આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા લાગણી અસ્તિત્વમાં આવે છે અને આપણે મોટા ભાગે આનંદની લાગણી દ્વારા પ્રેરાઈને કામ કરીએ છીએ; આ વાત સ્પષ્ટ છે સજ્જનો. તમને હિંદુ તરીકે ઓળખાવું ગમે છે. પછી તમે કોઈ જૂથના સભ્ય હો છો, કોઈ સમુદાય કે કોઈ પરંપરાના સભ્ય હો, ભલે તે પરંપરા ગમે તેટલી જૂની હોય; તમને તે વાત ગમે છે. ગીતા સાથે, ઉપનિષદો સાથે અને અઢળક જૂની પરંપરાઓ સાથે ઓળખાવું તમને ગમે છે. આપણી લાગણીઓ ઉત્તેજન દ્વારા અસ્તિત્વમાં આવે છે. આસપાસની પરિસ્થિતિ દ્વારા અસ્તિત્વમાં આવે છે વગેરે. આ સારી રીતે સ્પષ્ટ છે.
જીવનમાં લાગણીની શી ભૂમિકા છે? શું લાગણી જીવન છે? તમને સમજાય છે? શું મોજશોખ પ્રેમ છે? શું ઇચ્છા પ્રેમ છે? જો લાગણી પ્રેમ હોય તો અહીં કાંઈક એવું છે કે જે દર વખત બદલાતું રહે છે ખરું? શું તમે તે બધું નથી જાણતા? તો, આપણે એ લાગણીને, એ ભાવનાને, ઉત્સાહને, સારા હોવાની લાગણીને અને એ બધાને સ્પષ્ટપણે સમજવું પડે છે, તેને વાસ્તવિક સ્નેહ અને કરુણા સાથે કાંઈ લેવાદેવા નથી. બધી ભાવનાઓને અને લાગણીઓને વિચાર સાથે સંબંધ છે અને તેથી તે આપણને સુખ અને દુ:ખ ભણી દોરી જાય છે. પ્રેમને પીડા કે દુ:ખ નથી હોતાં, કારણ કે તે સુખ અને ઇચ્છાનું પરિણામ નથી.
પ્રજ્ઞાની અનુભૂતિ
તમારે સહુથી પહેલાં એ શોધી કાઢવું જોઈએ કે શા માટે તમે અમુક રીતે જ વિચારો છો અને શા માટે તમે અમુક ચોક્કસ પ્રકારે જ અનુભવો છો. તેને બદલવાનો પ્રયત્ન ન કરો, તમારા વિચારોને અને લાગણીઓનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન ન કરો; પરંતુ એ બાબત પ્રત્યે સભાન બનો કે શા માટે તમે એક ખાસ ઘરેડમાં જ વિચારો છો અને કયા હેતુ માટે કાર્ય કરો છો? અલબત્ત, તમે વિશ્લેષણ દ્વારા કાંઈક શોધી કાઢો એમ બને, પરંતુ તે વાસ્તવિક હકીકત નહીં હોય; એ ત્યારે જ વાસ્તવિક હોઈ શકે છે જ્યારે તમે તમારા વિચારની અને લાગણીની સક્રિયતાની ક્ષણે ઉત્કટપણે સભાન હો ત્યારે તમે તેની અસાધારણ સૂક્ષ્મતાને અને તેની સુંદર નાજુકતાને અને સંવેદનશીલતાને જોઈ શકશો. જ્યાં સુધી તમારા મનમાં `હોવું જોઈએ’ અને `ન જ હોવું જોઈએ’ હોય, ત્યાં સુધી તમે આ વિવશતામાં ક્યારેય વિચાર અને લાગણીની એ ઝડપી આવનજાવનને શોધી નહીં શકો. અને મને ખાતરી છે કે `જોઈએ જ’ અને `ન જ જોઈએ’ ધરાવતા વાતાવરણમાં તમારો ઉછેર થયો છે એટલે તમે તમારા વિચાર અને ભાવનાનો નાશ કર્યો છે.