શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. પંદરમા અધ્યાયના શ્લોક-11નું ચિંતન કરીએ, જેમાં પરમાત્મા તત્ત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે? અને જેઓ યત્ન કરવા છતાં પણ પરમાત્મા તત્ત્વને જાણતા નથી તેઓનામાં શું ખામી હોય છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે –
યતન્તો યોગિનશ્વૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ ।
યતન્તો અપિ અકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ॥
યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત પરમાત્મા તત્ત્વનો અનુભવ કરે છે, પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં આ તત્ત્વનો અનુભવ કરી શકતા નથી.
ભક્તિયોગ દ્વારા 5રમાત્માને પ્રાપ્ત પુરુષનું નામ `યોગી’ છે. વાસ્તવમાં કોઇ 5ણ મનુષ્યનો 5રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી, થઇ શકતો નથી અને સંભવ પણ નથી. આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી. આવો ભક્ત 5રમાનંદના અક્ષય-અનંત ભંડાર પ્રભુ-5રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે, તેથી સદાય તે સંતુષ્ટ રહે છે. સંસારી મનુષ્યને જે સંતોષ થાય છે તેની ખાતરી થતાં અસંતોષ ઉત્પન્ન થાય છે, તેથી તે હંમેશાં સંતુષ્ટ રહી શકતો નથી.
પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી. માનવું એ કલ્પના હોય છે, અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે, વાસ્તવિકતા હોય છે. આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહીં, પરંતુ માનીને ચાલે છે. જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે, `જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ’ જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થયા વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દૃઢતા થતી નથી. સિયારામ મય બસ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની તેમને `જાની’ના બદલે `માની’ નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.
આત્મનિ અવસ્થિતમ્ પદમાં ભગવાને પોતાને તમામ પ્રાણીઓના આત્મામાં સ્થિત સર્વવ્યાપી બતાવ્યા છે. આનો અનુભવ કરવા ચાર વાતો દૃઢતાપૂર્વક માની લેવી જોઇએઃ પરમાત્મા અહીં છે, પરમાત્મા અત્યારે છે, પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના છે. પરમાત્મા સર્વવ્યાપી હોવાથી અહીં પણ છે. સર્વ સમયે ત્રણે કાળમાં હોવાથી અત્યારે પણ છે. સર્વમાં હોવાથી પોતાનામાં પણ છે. આ દૃષ્ટિએ પરમાત્મા અહીં હોવાથી તેમને પ્રાપ્ત કરવા માટે બીજી જગ્યાએ જવાની આવશ્યકતા નથી. અત્યારે હોવાથી એમની પ્રાપ્તિ માટે ભવિષ્યની પ્રતીક્ષા કરવાની આવશ્યકતા નથી. પોતાનામાં અંદર-બહાર ઓતપ્રોત હોવાથી એમને અન્યત્ર ખોળવાની આવશ્યકતા નથી અને પોતાના હોવાથી એમના સિવાય કોઇને પણ પોતાના માનવાની આવશ્યકતા નથી. જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી, તેમના માટે સંસારની વ્યક્તિ, પદાર્થો વગેરેનું મહત્ત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાના માનીને તેમનાથી સુખભોગની આશા રાખે છે તે પુરુષોને અકૃતાત્માનઃ કહેવામાં આવે છે. સત-અસતના જ્ઞાન(વિવેક)ને મહત્ત્વ ન આપવાના કારણે એવા પુરુષોને અચેતસઃ કહે છે. આવા પુરુષો પરમાત્મા તત્ત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. પરમાત્મા જડ પદાર્થોની સહાયથી નહીં, પરંતુ જડતાનો ત્યાગ કરવાથી (સંબંધ વિચ્છેદ) પ્રાપ્ત થાય છે. – વિનોદ માછી `નિરંકારી’