તમે ઘણી વખત એવું વિચાર્યું હશે કે જો અમારા જીવનમાં કડવા અનુભવો થયા હોય તો તે અમારા ભૂતકાળનાં કાર્યોને કારણે છે. ભવિષ્યની કડવાશ ટાળવા માટે અમારે આજે કેવા પ્રકારનાં કાર્યો કરવાં જોઈએ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે કોઈ પણ અનુભવની કડવાશ જે બની ગયું છે તેમાં નથી હોતી. કોઈ પણ અનુભવની કડવાશ તમે તેને કેવી રીતે લીધું છે તેના સંદર્ભમાં હોય છે. એક વ્યક્તિ માટે જે ખૂબ કડવી વસ્તુ હોય તે બીજી વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ હોય શકે છે. એક વાર, એક વ્યથિત વ્યક્તિએ કબર પર પડીને તેની ઉપર માથું કૂટતા દુઃખથી ચીસો પાડી. `ઓહ! કેટલું નિરર્થક છે મારું જીવન! મારું આ હાડપિંજર જેવું શરીર કેટલું નકામું છે, કારણ કે તમે જતા રહ્યા છો. જો તમે જીવ્યા હોત તો! જો ભાગ્ય એટલું ક્રૂર ન હોત કે તમને આ દુનિયામાંથી લઈ લે! તો બધું કેટલું અલગ હોત!’ નજીકમાં એક પાદરીએ તેને સાંભળ્યો અને કહ્યું, `મને લાગે છે કે માટીના આ ઢગલાની નીચે પડેલી આ વ્યક્તિ તમારા માટે ખૂબ મહત્ત્વની હતી.’ `મહત્ત્વની?’ `હા, ખૂબ જ,’ તે માણસે ચીસ પાડી અને વધુ જોરથી રડ્યો, `તે મારી પત્નીનો પહેલો પતિ હતો!’ જે થઈ રહ્યું છે તેમાં કડવાશ નથી. તે તમે તેનો અનુભવ કેવી રીતે કરો છો, તમે તેને કેવી રીતે લઈ રહ્યા છો તેમાં છે. તેવી જ રીતે ભૂતકાળની પ્રવૃત્તિ અથવા કર્મ જે કંઇ છે તે પણ કોઈ કાર્યના સંદર્ભમાં નથી, પરંતુ જે ઈરાદા સાથે તે કરવામાં આવે તેના સંદર્ભમાં છે.
જાગરૂકતાનો અર્થ એ છે કે, ત્યાં કોઈ ઈરાદો નથી. જ્યાં ઈરાદો ન હોય ત્યાં કોઈ કર્મ નથી. તમે બસ તે જ કરી રહ્યા છો જે જરૂરી છે. ઊભી થયેલી દરેક પરિસ્થિતિમાં, તમારી જાગરૂકતા મુજબ, તમારી ક્ષમતા મુજબ, તમને જે જરૂરી લાગે, તમે બસ તે જ કરો છો. તમે કર્મ ફક્ત ઈરાદાથી જ બાંધો છો; તે સારું કર્મ છે કે ખરાબ, તેનાથી કોઈ ફર્ક નથી પડતો. તમારા ઈરાદાની પ્રબળતા કર્મનું નિર્માણ કરે છે.
લોકો મને વારંવાર એનો એ પ્રશ્ન પૂછે છે, `તમારું મિશન શું છે?’ જ્યારે હું તેમને કહું છું, `મારું કોઈ મિશન નથી, હું બસ એમ જ આંટા મારું છું,’ ત્યારે તેઓ વિચારે છે કે હું બેફામ છું. તેઓ સમજતા નથી કે આજે હું દુનિયામાં જીવવા વિશે કરી શકું તેમાંનું સૌથી ગહન નિવેદન છે, કારણ કે ત્યાં કોઈ ચોક્કસ ઈરાદો નથી – માત્ર જે જરૂરી છે તે કરવું, બસ. આમાં, કોઈ કર્મ નથી. તમે ગમે તેમાંથી પસાર થાઓ, તેમાં કોઈ કર્મ નથી. તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તે બસ જેમ જરૂરી છે તેમ જ થઈ રહ્યું છે. તો કર્મ એ ફક્ત તમારી પોતાની કંઇક કરવાની જરૂરિયાતના સંદર્ભમાં છે. જ્યારે તમારે કંઇક કરવાની જરૂર નથી અને જે જરૂરી છે તે જ તમે કરો છો, ત્યારે ત્યાં કર્મનું કોઈ જોડાણ નથી. તે સારું કે ખરાબ નથી.