વિરાટ કોહલીનું IPL જીતવાનું સ્વપ્ન આખરે પૂરું થયું છે. આ જીત માટે તેને 18 વર્ષ રાહ જોવી પડી, પરંતુ તેની ટીમ RCBએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું અને પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી.
આ જીત માત્ર RCB માટે જ નહીં, પરંતુ વિરાટ કોહલીના તમામ ફેન્સ માટે ખુશી અને જીતનો જશ્ન મનાવવાની તક છે. પરંતુ વિરાટ કોહલીના ફેન્સ પણ થોડા નિરાશ થઈ શકે છે, કારણ કે હવે વિરાટ કોહલી ટૂંક સમય માટે ક્રિકેટના મેદાન પર રમતો જોવા મળશે નહીં. તેને ફરીથી બેટિંગ કરતા જોવા માટે ફેન્સને થોડી રાહ જોવી પડશે.
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ નહીં રમે વિરાટ કોહલી
આઈપીએલ પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં 20 જૂનથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ સિરીઝ માટે કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડ પણ પહોંચી ગયા છે અને પોતાનની તૈયારીઓ કરી રહ્યા છે.
પરંતુ વિરાટ કોહલી આ પ્રવાસ પર રમશે નહીં. આ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ વિરાટે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. તેનો અર્થ એ થયો કે જ્યાં સુધી આ ટેસ્ટ સિરીઝ ચાલુ રહેશે, ત્યાં સુધી વિરાટ કોહલી કોઈ પણ મેચમાં રમતો જોવા મળશે નહીં. તેના ફેન્સને તેના મેદાનમાં પરત ફરવા માટે થોડી રાહ જોવી પડશે.
ઓગસ્ટમાં પરત ફરશે વિરાટ કોહલી
જો તમે વિરાટ કોહલીને ફરીથી બેટિંગ કરતો જોવા માગો છો, તો તમારે ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે, જ્યાં ત્રણ વનડે મેચની સિરીઝ રમાશે. વિરાટ કોહલી ભલે ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હોય, પરંતુ વનડે ફોર્મેટમાં વિરાટ હજુ પણ રમવાનું ચાલુ રાખશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી વનડે મેચ 17 ઓગસ્ટે રમાશે. આ દિવસે વિરાટ કોહલી મેદાનમાં પાછો ફરશે.