- રિટાયર્ડ IAS મીણાના અધ્યક્ષપદે ચાર મહેસૂલી અધિકારીઓની કમિટીનો રિપોર્ટ
- જમીનમાલિકને ‘ખેડૂત’નું સ્ટેટ્સ નહીં મળે : મીણા કમિટીનું તારણ
- વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદાઓમાં સુધારા આવશે
ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ‘ખેડૂત’ હોવુ અનિવાર્ય છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. જેના નિવારણ માટે ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે.
સ્વતંત્રતાના 75 વર્ષ પછી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ખેતી એ જ એક માત્ર મુખ્ય ઉદ્યોગ કે પછી આજીવિકાનું સાધન રહ્યો નથી. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ચોથી ઓક્ટોબર 2023ના રોજ રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાયર્ડ IAS એમ.બી.પરમાર, રિટાયર્ડ સંયુક્ત સચિવ સી.એસ.ઉપાધ્યાય અને જમીન સુધારણા પ્રભાગના સચિવ પી.સ્વરૂપની અત્યાર સુધીમાં અસંખ્ય વખત બેઠકો મળી ચૂકી છે. આ કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ રિપોર્ટ અંગે ‘સંદેશ’ને પ્રાપ્ત વિગતો મુજબ TP, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલમ- 63 AA અને કલમ 65- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે. સંભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને ‘ખેડૂત’નું સ્ટેટ્સ મળવાનું નહી ! આવા તારણ ઉપર મીણા કમિટી પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે.
ખેડૂત ખરાઈ માટે છેક 1950-51થી પુરાવા નહીં મંગાય, 3 દાયકામાં પૂરું!
પ્રાંતથી લઈને રેવન્યુ ટ્રિબ્યુનલ સુધી પડતી હાલાકીનો અંત આવશે
રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્થળાતંર અને આર્થિક પ્રવૃતિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન ખરીદીને તબક્કે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું પ્રમાણ વધ્યુ છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્ટેટ્સ મેળવનાર વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદ્દેશથી ચાલતી આ વ્યવસ્થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને 1950-51થી પુરાવા માંગવામાં આવે છે. એટલે કે અરજદારના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્ધ થઈ તેની ચકાસણી થાય છે. મહેસૂલ વિભાગમાં iORA તંત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા 1,900થી 2,100 જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્યક્ષપદે રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી છેક વર્ષ 1950-51થી પુરાવા માંગવા કે તેની ચકાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા 1990 કે 95 આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને કારણે અરજદારોને ખેડૂત ખરાઈમાં પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્યુ ટ્રિબ્યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.


