ચાહે રાજકારણ હોય કે કલામંચ : તમારી જરૂરિયાત પુરી થાય તે પહેલાં જ તમારે એકિઝટ લઇ લેવી જોઇએ
આખી રમત સ્વીકાર અને અસ્વીકારની છે. બે માણસ,સંસ્થા,રાજકારણ, કંપની કે પેઢી.દરેક જગ્યાએ એક જ નિયમ લાગુ પડે છે. રંગમંચનો. કલાકારોને જે ઓડિયન્સ તાલી ન આપે ત્યાં કલાકારે,સાજીંદાએ વહેલી તકે ખેલ સમેટી લેવો જોઇએ. જીવનમાં એક તબકકો એવો આવે જયારે તમારે કોઇ તમને વિદાય આપે એ પહેલાં જ એકિઝટ લઇ લેવી જોઇએ. કારણ કે કોઇ તમારી એકિઝટ કરે એ પહેલાં તમારું આત્મસન્માન લઇને તમારે વિદાય લઇ લેવી જોઇએ.
વર્તમાન રાજકારણના આ સંદર્ભમાં પણ આ બાબત સાચી છે. ભાજપ અને કોંગ્રેસે જુના સાંસદોને વિદાય આપી નવા ઉમેદવારોને ટિકિટ આપી. ભાજપના આંકડા હાથવગા છે. ભાજપે ર૦૧૯માં ૧૬૧ સાંસદોની ટિકીટ કાપી હતી. આ વખતે ૧૦૦થી વધુ સાંસદોની ટિકિટ કાપી છે. જેમની ટિકિટ કપાઇ તેમના નામની એક દિવસની અખબાર અને મિડિયામાં સનસનાટી થઇ. નવાને સ્થાન મળ્યુ તેમને પણ હાલ તો લોટરી લાગ્યાનો આનંદ થયો. પરંતુ જેમની ટિકિટ કપાણી એ ૧૦૦ વર્તમાન સાંસદોની હર એક કહાની હશે. જે ધારાસભ્યોની અધવચ્ચે ટિકિટ કપાઇ. જે મંત્રીઓને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા તેમની પણ એક કહાની હશે. જનારમાંથી ભાગ્યે જ કોઇને એવું લાગ્યુ હશે કે હું યોગ્ય જ રીતે વિદાય થયો. પોતાની જાતને જસ્ટીફાઇ કરવી દુનિયાનું સૌથી મૂશ્કેલ કામ છે. રાજકારણમાં તો આ ખેલ છે. કયારેક ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં પણ એવું છે. કોઇ નકામા કારણે કોઇ કલાકાર કે ફિલ્મ ચાલી જાય છે. કોઇ મહેનત કરી ઇમાનદારીથી અભિનય કરીને પણ પીટાઇ જાય છે. સમાજ માટે મેસેજ ધરાવતી સ્ટારકાસ્ટ ફિલ્મ પીટાઇ જાય છે. બીજી બાજુ વાહિયાત મસાલા ફિલ્મ ખાસ્સો ધંધો કરી જાય છે. લોકોનો ટેસ્ટ જજ નથી થતો. માર્કેટ જજ નથી થતું. પાકકા બિઝનેશમેન ફાવી જાય છે. ખરા કલાકાર રિજેકટ થાય છે.
દેશમાં હાલ રાજકીય ક્ષેત્ર ખુબ ઇન છે. ખાસ કરીને ભાજપ. ભાજપનું ટર્નએરાઉન્ડ થાય છે. ભૂતકાળમાં નહેરુની કોંગ્રેસ,બાદમાં ઇન્દીરા કોંગ્રેસ. ઇન્દીરા કોંગ્રેસ થઇ ત્યારે મોરારજી દેસાઇ સહિતના નેતાઓની હાલત બગડી ગઇ હતી. ઇન્દીરા ગાંધીની પ્રચંડ તાકાત અને ઇચ્છા શકિત સામે જે તે સમયે તેમના સિનિયરની અવગણના એવી રીતે થઇ હતી કે તેમને પક્ષ છોડવો પડયો.આજે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એરા ચાલે છે. ભાજપ સતત પરિવર્તનશીલ અને બદલાતો રહયો છે. ભાજપમાં નવા નેતા જ નહિ નવી વિચારધારા આવી રહી છે. આ ખુબ તેજ બદલાવમાં તમામ ભાજપી ટકી શકે તેમ નથી. જુના ભાજપી અને જુની વિચારધારાને હવે તુટી ગયેલી ટર્ફ વિકેટ ઉપર જબ્બર લક્ષ્યાંક સિધ્ધ્ કરવાના પડકારો છે. જેમાં તમામ ખેલાડીઓ સફળ ન થાય. જે જીતે એ જ સિકંદર. દક્ષિણ ભારતમાં હાલ નવા સિતારાઓ ઉગી રહયા છે. જે ભાજપનું ભવિષ્ય છે. મોદી-શાહની જોડી જે પરિવર્તનના મોડ ઉપર ચાલી રહયા છે તેને કદાચ પક્ષના કાર્યકરો પણ સમજી શકયા નથી. પરંતુ નેતાઓ આગળ નિકળી જાય અને પક્ષ પાછળ રહી જાય તો પણ સમશ્યા છે. ભાજપમાં હાલ રિજેકશન રેશિયો વધ્યો છે નેતાઓને રિજેકટ કરવાની ખરી મોસમ ચૂંટણી સમયે જ આવે છે. આવા સંજોગોમાં કોલાહલ પણ ચૂંટણી સમયે થાય.ક્ષત્રિય અસ્મિતા આંદોલન પણ ક્ષત્રિય નેતાઓની સતામાં ભાગીદારી ઘટતી ચાલી છે તેનો જ એક પ્રત્યાઘાત ગણી શકાય. અન્ય નાની જ્ઞાતિઓને તો હવે તેમની જ્ઞાતિમાંથી કોઇ સાંસદ બને એવી કલ્પના જ કરવાની નથી. આ તો સંખ્યાનું રાજકારણ છે. તમે ખુબ વસતિ ધરાવતાં મતદાર ધરાવતાં વર્ગમાંથી આવતા હો તો જ, સાંસદ તરીકે ટિકિટ મેળવવાનો અધિકાર ધરાવો છો. તમે એસ.જયશંકર જેવા તેજસ્વી હો તો અપવાદરૂપે તમારો ચાન્સ રાજયસભામાંથી લાગે. બાકી ભાજપમાંથી હાલ ચીટકી રહેલાં નેતાઓનો ભાર ઘટી રહયો છે. એવું જ સમાજના દરેક ક્ષેત્રમાં ચાલે છે. જેમની વિદાય થાય છે તેમની એક ફરિયાદ જોવા મળે છે. જે સંસ્થા કે સમાજ માટે, પક્ષ માટે તેમણે જાત ઘસી નાંખી તેમને સારી વિદાય પણ ન મળી. ના પણ સૌજન્યથી વિશ્વાસમાં લઇને પાડવામાં નથી આવી. જાહેરમાં બેઇજજતી કરીને ના પાડવામાં આવી છે.
મરિઝ સાહેબ કહે છે ને કે,
હું કયાં કહુ છું કે આપની હા હોવી જોઇએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
એવી વ્યથા તમારા દિલમાં રહે છે. એથી જયાં અને જયારે કલાકારોને તાલી મળવાની બંધ થાય ત્યારે ત્યાંથી ખેલ સંકેલી લેવો જોઇએ. ખરો સાજીંદો એ છે કે કદરદાન પાસે જ કલા પીરસીવી જોઇએ.