મારી ભાવના દીક્ષા લેવાની થઈ છે. તમે જો દીક્ષા લેવાના હોવ તો હું પણ તમારી સાથે આવીશ. તમારા વગર હું અહીં રહીશ નહીં.’ એ સમયે પૃષ્ઠચંપા નામની એક નગરીના રાજા અને યુવરાજ વચ્ચે આવો સંવાદ થઈ રહ્યો હતો.
સાલ રાજા હતા અને એમના ભાઈ યુવરાજ હતા. બેય ભાઈ વચ્ચે અજબ પ્રેમ હતો. બેય ભાઈઓમાં રાજા કોને બનાવવો? એના માટે પણ બેય ભાઈઓને ઝઘડો ચાલે. સાલે મહાસાલને કહ્યું તમે રાજા બનો અને મહાસાલે સાલને કહ્યું તમે રાજા બનો.
છેવટે નિર્ણય તો જે થતો હોય એ જ થાય. મોટા ભાઈને રાજા બનાવ્યા અને નાના ભાઈને યુવરાજ. દરેક કામોમાં બેયનો પૂર્ણ સહયોગ હોય.
એકવાર ભગવાન મહાવીર પ્રભુ નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. એમના શિષ્ય પરિવાર સાથે આવેલા છે. ઉદ્યાનપાલકે આવીને સમાચાર આપ્યા. નગરજનોને લઈને સાલ-મહાસાલ પણ ભગવાનનાં દર્શન કરવા માટે રવાના થયા.
ઉદ્યાનમાં જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા અને ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાનની સામે બેઠા. ધર્મશ્રાવણની ઉત્કંઠાવાળા માણસોને જોઈને ભગવાને ધર્મનો બોધ આપવાનું ચાલુ કર્યું. સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળવા મળતી હોય ત્યારે માણસના કેવા સરસ ભાવો હોય. બધા માણસો ભગવાનની વાણી આદર અને રસપૂર્વક સાંભળી રહ્યા છે.
સંસાર દુઃખ મૂળવાળો છે અને એનું ફળ પણ દુઃખ છે. સંસાર ત્યાગ કરીને જે આત્માઓ શ્રામણ બને છે એમનો સંસારથી ઉદ્ધાર થાય છે. જે માણસ મોક્ષ સુધી પહોંચે છે એમને સંસારમાં પાછા આવવાની જરૂર પડતી નથી. સંસારમાં રહેવાવાળા આત્માઓના દુઃખનો કોઈ પાર નથી હોતો.
ભગવાનની વાત શ્રોતાઓના કાન દ્વારા સીધી આત્માના ઊંડાણમાં ઊતરી ગઈ. ઘણા બધા માણસોને વ્રત-નિયમ લેવાના ભાવ જાગ્યા. રાજા સાલને પણ ભાવ જાગ્યો. આ સંસારમાં છે શું? બધા સંબંધો સ્વાર્થના છે. આવતા ભવમાં આપણી સાથે આ રાજ્ય આવવાનું છે? કોણ કોની સાથે જાય છે?
આપણી વિચારધારા આલંબનના આશ્રયે આગળ વધતી હોય છે. જેમ વેલને આગળ વધવા કોઈ સહારાની જરૂર પડે એમ આપણા વિચારોને પણ કોઈ મજબૂત સાધન જરૂરી હોય છે. એ સાધન જો પ્રશસ્ત હોય તો આપણા વિચારો ઊર્ધ્વગામી હોય અને નિમ્નકક્ષાના સાધનને પકડેલું હોય તો આપણા વિચારો ભોગવિલાસ આધારિત ચાલતા હોય.
સાલે ભગવાનની દેશના સાંભળી પછી એના વિચારોની દિશા તો એવી જ હોયને! એમણે મહાસાલને બોલાવ્યો. કહ્યું, ભાઈ! ભગવાનની વાણી સાંભળ્યા પછી હવે આ સંસારમાં ચિત્ત ચોંટતું નથી. આટલું મોટું રાજ્ય પણ મનને આનંદનો અનુભવ થવા દેતું નથી. હવે તો સંજોગ ભાવ એટલો જાગ્યો છે કે આજે જ દીક્ષા લઉં. એટલે હવે આ રાજ્ય તું સંભાળી લે અને હું પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરું. હવે મારાથી સંસારમાં વધારે રહી શકાય એમ નથી.
તમને ભગવાનની વાત સાચી લાગે છે એ જ રીતે મને પણ સાચી લાગે છે. તમે ભગવાનના માર્ગે આગળ વધવા ચાહો છો એ જ રીતે મારે પણ આપની સાથે જ આવવું છે. આપણે બેય સાથે સંયમનો સ્વીકાર કરીશું તો આ રાજ્ય કોણ સંભાળશે? એટલે કંઈક વિચાર તો કરો. બધાનાં પોતપોતાનાં ભાગ્ય હોય છે. એ રીતે ચાલ્યા જ કરતું હોય છે. આપણે બધાની ચિંતા કરવાવાળા કોણ? એવું નહીં. આપણે બેય સંયમ જીવનનો સ્વીકાર કરીએ તો રાજ્ય ઉપર વ્યવસ્થિત રાજાની સ્થાપના તો કરવી જોઈએ. આપણે કોઈ પુત્ર નથી એટલે આપણે આપણા નજીકના કોઈ યોગ્ય અધિકારીનો વિચાર કરવો જોઈએ.
એમની એક બહેન કાંપિલ્યપુરના રાજા પિઠર સાથે પરણાવેલી, એ બહેનનું નામ યશોમતી અને એના દીકરાનું નામ હતું ગાંગલી.
બેયનો ભાણેજ હતો. મામાને ભાણેજ આમેય વહાલો હોય. એમણે બહેન અને ભાણેજને બોલાવ્યાં અને સમજાવીને રાજા તરીકે ગાંગલીનો અભિષેક કરી દીધો અને બંને ભાઈઓએ ભગવાનની પાસે દીક્ષા લઈ લીધી. ભગવાનની પાસે દીક્ષા લીધા પછી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવવા માટે સ્થવિર મુનિઓને સોંપ્યા. એમની પાસે રહીને ભણવાનું, કારણ કે શિક્ષણ આપવાનું કામ ભગવાન ન કરે, કારણ કે શિક્ષણ આપવાવાળી વ્યક્તિ દોષ જોવાવાળી હોવી જોઈએ, કેમ કે ભૂલો શોધી શકાય તો દૂર કરી શકાય, પણ જો તમે ભૂલો જ ન જુઓ તો એને સુધારી કેવી રીતે શકાય?
ભગવાન તો વીતરાગી હોય એટલે એમનાથી કોઈને કશું કહેવાય નહીં, એટલે સ્થવિર સાધુ મહાત્મા એમને શિક્ષા આપે આવી એક પ્રણાલિકા હોય છે. એવા સ્થવિર સાધુ મહાત્માઓની પાસે અભ્યાસ કરીને પોતાની આરાધના આદિમાં સ્થિર બન્યા છે. ઘણાં બધાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને બહુશ્રુત પણ બન્યા છે. વિનય, વિવેક, આચાર, વિચારમાં બંને મુનિઓ અજોડ બન્યા છે. આત્માર્થી મુનિઓમાં જે હોવાં જોઈએ એવાં બધાં લક્ષણો ઉભય મુનિઓમાં દેખાતાં હતાં.
એક વખત ભગવાન મહાવીરે એમના પટ્ટશિષ્યને ગૌતમ સ્વામીજીને આદેશ કર્યો. તમારે પૃષ્ઠચંપામાં જવાનું અને ત્યાંના રાજા ગાંગલીને ધર્મનો બોધ આપીને એમને લઈને આવવાના, પણ સાંભળો સાથે સાલ અને મહાસાલ મુનિને પણ સાથે લઈને જવાના.
ભગવાનની આજ્ઞા થાય પછી બીજો કોઈ તો વિચાર જ કરવાનો ન હોય અને એમાં પણ આ તો ગૌતમ સ્વામીજી હતા. વિનય-વિવેકના ભંડાર. એ તો બીજો કોઈ વિચાર પણ ન કરે. ભગવાનની આજ્ઞા પ્રમાણે બીજા જ દિવસે પૃષ્ઠચંપા તરફ વિહાર ચાલુ કર્યો. સાલ-મહાસાલ પણ સાથે જ છે. વિહાર કરતાં કરતાં આગળ વધી રહ્યા છે.
ગૌતમ સ્વામીજી વગેરે બધા મહાત્માઓ પૃષ્ઠચંપામાં પહોંચ્યા. રાજા ગાંગલીને સમાચાર મળ્યા. પૂજ્ય ગુરુભગવંતો આપણા નગરના ઉદ્યાનમાં પધાર્યા છે. અરે! આપણા રાજા અને યુવરાજ મુનિઓ પણ એમની સાથે જ પધાર્યા છે.
રાજા ખુશ થઈ ગયા. એમણે તો નગરમાં ઉદ્ઘોષણા કરાવી દીધી, આપણા નગર પૂર્વ મહારાજા જે કેટલાક સમય પૂર્વે સંયમિત બનેલા છે એ આપણા નગરમાં પધારી રહ્યા છે. આપણે એમનું ભવ્ય સ્વાગત કરવા જવાનું છે.
હજારો માણસો એમના સ્વાગતમાં આવેલા છે. ભવ્ય શોભાયાત્રા આખા નગરમાં ફરી અને નગરમાં વચ્ચોવચ સરસ મજાનો મોટો ચોક હતો. એ ચોકમાં આખું સરઘસ સભાના રૂપમાં ગોઠવાઈ ગયું. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. ગૌતમ સ્વામીજી પણ બિરાજમાન છે. બધાએ એમને વંદન કર્યાં.
ગૌતમ સ્વામીજીએ ઉપદેશ આપ્યો. અસાર સંસારમાંથી સાર શોધે એ જ સમજદાર. આ સંસારમાં રહેવાવાળા કોઈ આત્મા સુખી થઈ શકે જ નહીં, કારણ કે જ્યાં આપણી નજર પડે, ત્યાં આપણને દુઃખી માણસ દેખાય. દુઃખનો એક પ્રકાર નથી. કોઈને એક પ્રકારનું સુખ હોય તો બીજાને ચાર જાતનાં દુઃખ હોય. જે પણ આપણને સુખ દેખાતું હોય એ પણ આપણી પાસે રહેશે જ એવી કોઈ ગેરેંટી નથી તો શા માટે આપણે આ સંસારને પકડી રાખવાની કોશિશ કરવી જોઈએ? આવા આ સંસારનો ત્યાગ કરીને સુખ તરફ આગળ વધવા માણસે પ્રયત્ન કરવો જોઈએ.
આ તો ગૌતમ સ્વામીજી હતા. અનંત લબ્ધિઓનો ભંડાર હતા. ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. એ તો બરાબર પણ પ્રભુના મુખારવિંદમાંથી એમનું નામ દિવસમાં કેટલીયવાર બોલાતું હશે. ગૌતમ સ્વામીજીની અમૃતવાણીએ અસર કરી. બેઠેલાઓમાં લગભગ માણસોએ કોઈ ને કોઈ નિયમો લીધા.
ગાંગલી રાજાએ પણ નિયમ તો લીધો, પણ ચેન ન પડ્યું. મને આવા કોઈ નિયમથી સંતોષ થવાનો નથી, પણ મારે તો સંયમ જ લેવો છે. મામા સાલ અને મહાસાલ મુનિઓએ મને રાજા બનાવ્યો, પણ મને લાગે છે એમના જેવા મહારાજા મારે બનવું છે. ઘેર જઈને પોતાના દીકરાને રાજ્ય ઉપર સ્થાપન કરીને ગૌતમ સ્વામીજી પાસે આવ્યો. વિનંતી કરી મને પણ સંયમ આપો.
ગૌતમ સ્વામીજીએ દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી બધાને સમજાવે છે દીક્ષા એ એક પડાવ છે. તમારે આગળ વધવાનું છે, અહીં અટકવાનું નથી. આપણું લક્ષ્ય આપણા કષાયોને શાંત કરવાના અને કેવલજ્ઞાન મેળવીને મોક્ષમાં આપણી યાત્રાને સમેટવાની છે.
મહાત્માઓ પણ આ વાતને બરાબર સમજેલા છે. એમણે પોતાના કષાયોને શાંત કરી દીધા છે. ચિત્તના અવસાયોને એકદમ શુદ્ધ બનાવવા તરફ આગળ વધે છે અને એક દિવસની મધ્ય રાત્રિએ આ બધા મહાત્માઓ કેવલજ્ઞાની બને છે.