વામન જયંતી
વામન અવતાર ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર છે. ભગવાન શ્રીહરિની લીલા અનંત છે અને તેમાંથી જ એક વામન અવતાર છે. શ્રીમદ્ભગવદ્ પુરાણમાં એક કથા છે. તે પ્રમાણે દેવ અને દૈત્યોના યુદ્ધમાં દૈત્ય પરાજિત થવા લાગ્યા. દૈત્યો અને બલિ જ્યારે ઈન્દ્રના વજ્રથી મૃત્યુ પામતા ત્યારે દૈત્યગુરુ શુક્રાચાર્ય પોતાની મૃત સંજીવની વિદ્યાથી બલિ અને અન્ય દૈત્યોને જીવિત તથા સ્વસ્થ કરી દેતા. રાજા બલિ માટે શુક્રાચાર્યજી એક મહાન યજ્ઞનું આયોજન કરે છે તથા અગ્નિ પાસેથી દિવ્ય રથ, બાણ, અભેદ્ય કવચ મેળવે છે. તેનાથી અસુરોની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને અસુરસેના અમરાવતી પર આક્રમણ કરવા લાગે છે.
ઈન્દ્ર રાજા બલિની ઈચ્છા સારી રીતે જાણતા હતા કે સો યજ્ઞ પૂરા કરીને તે સ્વર્ગને મેળવવા માટે સક્ષમ બની જશે, તેથી ઈન્દ્ર ભગવાન વિષ્ણુના શરણમાં જાય છે. ભગવાન વિષ્ણુ તેમની મદદ કરવાનું આશ્વાસન આપે છે અને ભગવાન વિષ્ણુ માતા અદિતિના ગર્ભમાંથી ઉત્પન્ન થવાનું વચન આપે છે.
દૈત્યરાજ બલિ દ્વારા દેવોના પરાભવ પછી કશ્યઋષિના કહેવાથી અદિતિ પયોવ્રતનું અનુષ્ઠાન કરે છે, જે પુત્રપ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વ્રતના પ્રભાવે ભાદરવા સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુ માતા અદિતિના ગર્ભથી પ્રગટ થઈને વામન અવતાર ધારણ કરે છે. તેઓ બ્રહ્મચારી બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. મહર્ષિ કશ્યપ બીજા ઋષિઓ સાથે વામનજીનો ઉપનયન સંસ્કાર કરે છે. વામન બટુકને મહર્ષિ પુલહ યજ્ઞોપવિત, અગત્સ્ય મૃગચર્મ, મરીચિ પલાશ દંડ, આંગિરસ વસ્ત્ર, સૂર્ય છત્ર, ભૃગુ ખડાઉ, બૃહસ્પતિ જનેઉ તથા કમંડળ, અદિતિ કોપીન, સરસ્વતીજી રુદ્રાક્ષની માળા તથા કુબેર ભિક્ષાપાત્ર આપે છે.
ત્યારબાદ ભગવાન વામન પિતાની આજ્ઞા લઈને દૈત્યરાજ બલિ પાસે જાય છે. તે સમયે રાજા બલિ નર્મદાના ઉત્તર તટ પર છેલ્લો યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન વામન બલિ પાસે ભિક્ષા માગવા પહોંચી જાય છે. બ્રાહ્મણ બનેલા ભગવાન વિષ્ણુ ભિક્ષામાં ત્રણ પગલાં ભૂમિ માગે છે. રાજા બલિ દૈત્યગુરુ શુક્રાચાર્યની ના કહેવા છતાં પણ પોતાના વચન પર અડગ રહેતાં ત્રણ પગલાં ભૂમિનું દાન આપવાનું સ્વીકારે છે.
વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગમાં સ્વર્ગાદિ ઊર્ધ્વ લોકો તથા બીજા પગમાં પૃથ્વી માપી લે છે. હવે ત્રીજું પગલું રાખવા માટે કોઈ સ્થાન બચ્યું નહોતું. બલિ સામે સંકટ પેદા થયું. એવામાં બલિ પોતાનું વચન પૂરું કરવા માટે ભગવાનની સામે પોતાનું માથું ધરીને કહે છે કે, `ત્રીજો પગ તમે મારા માથા પર મૂકો.’ વામન ભગવાને આવું જ કર્યું અને બલિના માથા પર પગ મૂકીને પાતાળમાં મોકલી દીધો. તેઓ બલિને પાતાળમાં રહેવાનો આદેશ આપે છે અને બલિ સહર્ષ તેનો સ્વીકાર કરે છે. બલિના વચનપાલનથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને દૈત્યરાજ બલિને વરદાન માંગવા કહે છે. તેના બદલામાં બલિ રાત-દિવસ ભગવાનને પોતાની સામે રહેવાનું વચન માગે છે. શ્રી વિષ્ણુ પોતાનું વચન પાળવા માટે પાતાળલોકમાં રાજા બલિના દ્વારપાળ બનવાનું સ્વીકારે છે.
આ રીતે પૂજન કરો
વામન દ્વાદશીના દિવસે પ્રાત:કાળે ભક્તોએ શ્રીહરિનું સ્મરણ કરવું અને વિધિવિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન વામનનું પંચોપચારે અથવા ષોડશોપચારે પૂજન કર્યા પછી ચોખા, દહીં વગેરે વસ્તુઓનું દાન કરવું ઉત્તમ મનાય છે. સંધ્યા સમયે વ્રતીએ ભગવાન વામનની પૂજા કરવી અને વ્રતકથા સાંભળવી, ત્યારબાદ પરિવારના લોકોએ સાથે પ્રસાદ ગ્રહણ કરવો. શક્ય હોય તો જાગરણ કરવું. આ વ્રત કરવાથી ભગવાન વામન પ્રસન્ન થઈને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. – સુખદેવ આચાર્ય


