મનુષ્ય સંસારનાં દુ:ખોથી ત્રસ્ત થઈ જાય છે. હારી જાય છે. હતાશ થઈ જાય છે અને જ્યારે મુશ્કેલીમાંથી છૂટવાનો કોઈ માર્ગ મળતો નથી ત્યારે આખરે આપણે જગતના તારણહાર, અનાથોના નાથને શરણે જઈએ છીએ અને તેને જ તમામ પરિતાપની ફરિયાદ કરીએ છીએ.
ઘણીવાર લાખ પ્રયત્ન કરવા છતાં ભગવાન સુધી આપણો પોકાર પહોંચતો નથી. પ્રભુ સુધી આપણી અરજી પહોંચાડવાનો બહુ સરળ અને ચમત્કારી માર્ગ પ્રાર્થના છે. પ્રાર્થનાથી અનેક ચમત્કારી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિમાર્ગમાં પ્રાર્થનાનું માહાત્મ્ય અનેરું છે.
પ્રાર્થના હૃદયના જેટલા ઊંડાણમાંથી ઊઠે છે, એટલો જ એનો પ્રભાવ વ્યાપક અને વિસ્તૃત હોય છે. મગર દ્વારા પકડાઈ જવાથી ગજ(હાથી)ની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ દોડી આવ્યા અને મગરનો વિચ્છેદ કરીને પોતાના ભક્ત ગજનું રક્ષણ કર્યું. દ્રૌપદીના આર્ત પોકારથી ભગવાન કૃષ્ણ ક્યાં રોકાઈ શક્યા હતા! ભક્ત પ્રહ્લાદની પ્રાર્થના જ હતી કે તેને તેઓ તમામ કષ્ટ-કઠણાઈઓથી બચાવતા રહ્યા. અસુર પરિવારમાં અને વાતાવરણમાં જન્મેલા, ઉછરેલા વિભીષણનો હાથ ભગવાન રામે પકડ્યો અને એ વિભીષણનો આર્ત પોકાર જ હતો. મહાભારતની યુદ્ધભૂમિમાં પક્ષીનાં બે ઈંડાં પડી ગયાં હતાં. પક્ષીએ પ્રભુને એટલી કરુણાથી પોકાર્યા કે તેમણે તેમનું રક્ષણ પણ કર્યું અને જ્યારે ચારે બાજુ મૃત્યુની વિભીષકા પોતાના ચરમ સ્થાને હતી તો ત્યાં જ બે બચ્ચાંએ જન્મ લીધો.
પ્રાર્થનાની કોઈ ભાષા નથી હોતી. તે મૌન, નિ:શબ્દ હોવા છતાં પણ ભગવાનના સિંહાસનને ડોલાવી દે છે, પણ ફક્ત શરત એ છે કે તેમાં ખરા હૃદયનો આર્તનાદ હોવો જોઈએ. મનનો ભાવ સંવેદનાને આધારે જ તેનો પ્રભાવ પાડે છે. આપણી ભાવના જેટલી તીવ્ર હશે. આપણી અંદર જેટલી કસક અને પીડા હસે, એટલી જ પ્રાર્થના ફળીભૂત થાય છે. જ્યારે કોઈ દુ:ખી વ્યક્તિ પીડાથી છટપટતી રહે છે, તો તેના માટે ભાવથી કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસપણે તેની પીડાના નિવારણમાં સહાયક થાય છે. પ્રાર્થના કોઈના પણ માટે કરી શકાય છે અને ક્યાંય પણ કરી શકાય છે. તેના માટે અંતર બાધક નથી. હજારો માઈલ દૂર રહેતી કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરી શકાય છે. આ જ કારણસર મહાત્મા ગાંધી પ્રાર્થનાને પ્રાત:કાળની ચાવી અને સંધ્યાનું તાળું કહેતા હતા. ભગવાનની કૃપા વિના શાંતિ મળતી નથી અને પ્રાર્થના વગર ભગવાનની કૃપા ઊતરતી નથી.
પ્રાર્થનાથી ઉત્પન્ન કંપ અને ઊર્જા પોતાના પરિકર અને પરિસરને પવિત્ર તથા દિવ્ય બનાવે છે. પ્રાર્થના કરનારાઓનો સઘન ભાવ આ વાતાવરણના સંપર્કમાં આવતાં જ મન પુલકિત થઈ ઊઠે છે અને હૃદય શાંત થઈ જાય છે. પ્રાર્થનાથી આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. પ્રાર્થનાથી આત્મા અને પરમાત્માનો સંબંધ બંધાય છે. ચેતનાનો પરમાત્મા ચેતના સાથે યોગ, સંયોગ એક દિવ્ય ઘટના છે અને આ ઘટના પ્રાર્થનાથી જ શક્ય બને છે. પરમાત્માની ચેતના પ્રારબ્ધનાં દ્વાર ખોલી દે છે. નસીબ આડે આવતાં વાદળાં પ્રાર્થનાની ઊર્જાથી જ હટી જાય છે. આથી પ્રાર્થનાથી ચમત્કારો થાય છે.
પ્રાર્થનાથી માત્ર લૌકિક નહીં અનેક અલૌકિક કાર્ય પણ સંપન્ન થાય છે. પ્રાર્થનાથી સાધક આધ્યાત્મિક સિદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. પ્રાર્થનામાં તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે, અંતર તૃપ્ત થાય છે. જોકે, પ્રાર્થનાને સફળ બનાવવાની શરત એટલી છે કે તે દિલના ઊંડાણમાંથી કરવામાં આવી હોય. આથી આપણે પણ આપણા જીવનમાં અલૌકિક પરિવર્તન ઈચ્છતા હોઈએ તો આપણે પવિત્ર ભાવથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં જ મોટું બળ છે. પ્રાર્થના આપણા માટે કે જેના માટે કરવામાં આવે છે તેના જીવનમાં અભીષ્ટ પરિવર્તન લાવી શકે છે. આથી પરમ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, રોજ પ્રાર્થના કરવી જોઈએ.