- કેલંતન રાજ્યએ 2021માં કર્યો હતો શરિયા કાયદાનો વિસ્તાર
- કાયદા વિસ્તારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
- સુપ્રીમ કોર્ટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા આક્રોશ
મલેશિયાની સર્વોચ્ચ અદાલતે કેલંતન રાજ્યમાં શરિયા કાનૂનના વિસ્તાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી મલેશિયાના ઉદારવાદી અને રૂઢિચુસ્ત મુસ્લિમો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શરિયા કાયદાના વિસ્તરણ પરના પ્રતિબંધથી ગુસ્સે થયેલા, કટ્ટરવાદીઓએ અરજદારોને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને તેમને ‘ઈસ્લામની પવિત્રતા’ સામે ખતરો ગણાવી રહ્યા છે.
વાસ્તવમાં, ગત શુક્રવારે મલેશિયાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે ગુનાહિત કૃત્યો પહેલેથી જ સંઘીય સત્તા હેઠળ આવે છે. એવામાં, કેલંતન રાજ્ય સરકાર ગુનાહિત કૃત્યોનો સમાવેશ કરવા માટે શરિયા કાયદાનો વિસ્તાર કરી શકે નહીં. ટીકાકારોની દલીલ છે કે આ નિર્ણયથી દેશના શરિયા કાયદાને અસર થઈ શકે છે. શરિયા કાયદો ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે. શરિયા કાયદામાં ગુનાઓને ત્રણ શ્રેણીઓ ‘હુદુદ’, ‘કિસસ’ અને ‘તઝીર’માં વહેંચવામાં આવ્યા છે.
કેલંતન રાજ્યએ 2021માં કર્યો હતો શરિયા કાયદાનો વિસ્તાર
મલેશિયન સંસ્કૃતિ પર આંતરાદિવસે વધતા વિવાદો વચ્ચે કેલંતન સ્ટેટ એસેમ્બલીએ 2021 માં રાજ્યના શરિયા કાયદામાં સુધારો કરવા માટે એક બિલ પસાર કર્યું. આ વિધેયક હેઠળ, શરિયા કાયદાનો વિસ્તાર કરીને ગુનાહિત કૃત્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધિત શરિયા કાયદા બાદ, શરિયા ક્રિમિનલ કોડ હેઠળ રાજ્ય સરકારને સોડોમી, ધાર્મિક પ્રવૃત્તિઓને અપવિત્ર કરવા, દુષ્ટતા અથવા બદનામી જેવા ગુનાઓ માટે પગલાં લેવા અને સજા કરવાનો અધિકાર મળ્યો.
રાજ્ય સરકાર ન બનાવી શકે આ કાયદો: સુપ્રીમ કોર્ટ
વર્ષ 2022માં, નિક એલીન નિક અબ્દુલ રશીદ અને તેમની પુત્રી તેંગકૂ યાસ્મીન નતાશાએ રાજ્ય સરકાર દ્વારા શરિયા કાયદામાં કરાયેલા સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર સંઘીય સત્તા હેઠળ આવતો કાયદો બનાવી શકે નહીં. શુક્રવારે સુપ્રીમ કોર્ટની નવ સભ્યોની ખંડપીઠે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે રાજ્ય પાસે કાયદો બનાવવાની સત્તા નથી. ફેડરલ બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો બનાવવાની સત્તા સંસદના અધિકારક્ષેત્રમાં રહેલી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેન્ગુક મૈમુન તુઆન મેટે નિક એલીન અને યાસ્મીનની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે કેલંતન રાજ્યની ધારાસભાએ સંઘીય અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે કેલંતન શરિયા કોડની 18માંથી 16 કાયદાકીય જોગવાઈઓને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકાર બાકીના બે કાયદા લાગુ કરી શકે છે.
અરજદાર પર કટ્ટરવાદીઓનો આક્રોશ
શરિયા કાયદાના વિસ્તરણ પર પ્રતિબંધથી નારાજ કટ્ટરવાદી તેંગકુ યાસ્મીન નતાશા અને તેની માતાને ‘ઈસ્લામની પવિત્રતા’ માટે ખતરો ગણાવી રહી છે. નતાશાએ કટ્ટરવાદીઓ પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે અમને મલેશિયામાં ઇસ્લામ અને ઇસ્લામની પવિત્રતા માટે ખતરો ગણાવવામાં આવી રહ્યા છે. અમારા વિરોધીઓ દ્વારા અમારા પર ચલાવવામાં આવી રહેલા પ્રચાર અને આરોપોમાં કોઈ દમ નથી.


