- ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો
- ઇઝરાયલે 50 વર્ષ પહેલા યુદ્ધના મેદાને અનેક દેશોને હંફાવી નાખ્યા
- ઇઝરાયલ-પેલેસ્ટાઇનનો વિવાદ 100 વર્ષથી વધારે જૂનો
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન યુદ્ધના મેદાને ઉતર્યા છે અને બંને આરપાર મૂડમાં છે. પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે પાંચ હજાર રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા બાદ ઇઝરાયલી દળોએ કહ્યું છે કે તેઓ ગાઝા પટ્ટીમાં હુમલા કરી રહ્યા છે કેમ કે હમાસના આતંકીઓએ ઇઝરાયલ સામે યુદ્ધ છેડી દીધું છે. આ જાહેરાત બાદ જેરુસાલેમમાં સાયરનો રણકી રહી છે. સૈન્યનું કહેવું છે કે આતંકીઓએ ઇઝરાયલના ઘણા ક્ષેત્રોમાં ઘૂસણખોરી પણ કરી છે. તેને ધ્યાનમાં રાખીને ઇઝરાયલે પોતાના નાગરિકોને ઘરમાં જ રહેવા સલાહ આપી છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને દેશો વચ્ચે ખૂબ આક્રમક અંદાજમાં યુદ્ધ થાય છે.
ઇઝરાયલ -પેલેસ્ટાઇન યુદ્ધના મહાસંગ્રામમાં
એક તરફથી એક મિસાઇલ ઝીંકવામાં આવે તો બીજી તરફથી તેનાથી અનેકગણી વધારે મિસાઇલો ઝીંકીને જવાબ અપાય છે. ઇઝરાયલ યહૂદી દેશ છે જ્યારે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ છે જ્યાં હમાસ સત્તારૂઢ છે. આ જંગ ઇઝરાયલની સ્થાપના પૂર્વેથી જારી છે. પેલેસ્ટાઇન તથા અન્ય પડોશી મુસ્લિમ દેશો ઇઝરાયલને યહૂદી રાષ્ટ્ર તરીકે માન્યતાનો વિરોધ કરે છે. વળી, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને જેરુસાલેમને પોતાની રાજધાની માને છે. જેરુસાલેમ અને ગાઝા પર કબજા માટે બંને દેશો વચ્ચે દાયકાઓથી લડાઇ જારી છે. ભલે દુશ્મનીની તલવારો ઇસ્લામિક ઉદય સાથે તણાઇ હોય પણ મૂળ વિવાદ ઓટોમન સામ્રાજ્ય ખતમ થઇ રહ્યું હતું ત્યારે શરૂ થયો હતો.
જેરુસાલેમ કેમ બંને દેશો માટે ખાસ?
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઓટોમન સામ્રાજ્યની હાર થઇ ચૂકી હતી. મધ્ય-પૂર્વની સમગ્ર તસવીર બદલાઇ ગઇ. યુદ્ધ બાદ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગી. વિશ્વયુદ્ધ બાદ આ સમગ્ર વિસ્તાર બ્રિટનના હિસ્સામાં આવી ગયો પણ સ્વતંત્ર દેશની યહૂદીઓની માગે જોર પકડયું તો એવી પણ માગ ઊઠી કે જેરુસાલેમમાં યહૂદીઓ માટે અલાયદા ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે, જેને માત્ર યહૂદીઓ પોતાનું ઘર કહી શકે. જેરુસાલેમ ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનીઓ બંનેનું પવિત્ર શહેર છે. આ શહેર ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મોમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પયગંબર ઇબ્રાહિમ સાહેબને પોતાના ઇતિહાસ સાથે જોડતા આ ત્રણેય ધર્મ જેરુસાલેમને પોતાનું પવિત્ર સ્થાન માને છે.
યહૂદીઓ અને આરબો વચ્ચે જમીન વહેંચાઇ
બીજા વિશ્વયુદ્ધ બાદ યુનોએ (હાલનું યુએન) એક પ્રસ્તાવ લાવીને બંને દેશોને અલગ કર્યા. ત્યાર બાદ ઇઝરાયલ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1947માં બ્રિટિશ રાજવાળા આ વિસ્તારને બે ભાગમાં વહેંચી દેવાયો. તેમાંથી એક આરબ વિસ્તાર અને બીજો યહૂદીઓનો વિસ્તાર ગણાયો. જ્યાં યહૂદીઓની વસ્તી વધુ હતી તે વિસ્તારો ઇઝરાયલમાં ગયા અને જ્યાં આરબો બહુમતીમાં હતા તે વિસ્તારો પેલેસ્ટાઇનમાં ગયા. ત્રીજું હતું જેરુસાલેમ, જેને લઇને ઘણા મતભેદો હતા.
બંને દેશો વચ્ચે જમીનનો જંગ
1948માં ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યા બાદથી જ બંને દેશો વચ્ચે કટુતા પણ વધી ગઇ હતી. આ જંગના લગભગ બે દાયકા બાદ ઇઝરાયલ અને પડોશી દેશો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ 6 દિવસ ચાલ્યું હતું, જેમાં પણ ઇઝરાયલની જીત થઇ. 1948ના યુદ્ધમાં આરબ દેશોએ ઇઝરાયલ પાસેથી કેટલીક જમીન છીનવી લીધી હતી. ઇઝરાયલ બદલો લેવાની ફિરાકમાં હતું પણ તેને તક મળી 1966-67ના યુદ્ધમાં. આ યુદ્ધ ઇઝરાયલ-સીરિયા વચ્ચે હતું પણ સીરિયા સાથે ઇજિપ્ત, જોર્ડન, ઇરાક અને લેબનોન પણ જોડાયા હતા. ઇઝરાયલે પાંચેય દેશોને હરાવ્યા હતા. જમીન માટેના આ યુદ્ધના અંતે ઇઝરાયલે ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક પર ફરી કબજો જમાવ્યો, જેને પેલેસ્ટાઇન પોતાનો હિસ્સો ગણાવે છે.
અલ-અક્સા મસ્જિદ વિવાદ શું છે?
અલ-અક્સા મસ્જિદ ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. યહૂદીઓ પણ તેને પવિત્ર સ્થળ માને છે. યહૂદીઓ ટેમ્પલ ટાઉન કહે છે જ્યારે ખ્રિસ્તીઓનું માનવું છે કે ઇસુ ખ્રિસ્તનું આ સ્થળે જ અવતરણ થયું હતું અને અહીં જ તેમને વધસ્તંભ પર ચઢાવાયા હતા. અહીં ચર્ચ ઑફ ધ હૉલી સેપલ્કર છે, જેની અંદર ઇસુ ખ્રિસ્તનો મકબરો છે. જોકે પયગંબર સાહેબ સાથે જોડાયેલો હોવાના કારણે ડોમ ઑફ ધ રૉકમાં મુસ્લિમો પણ આસ્થા ધરાવે છે.
ઇઝરાયલ-પેલેસ્ટાઇનનો વિવાદ 100 વર્ષથી વધારે જૂનો
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ સો વર્ષ કરતા પણ જૂનો છે. સંઘર્ષ માત્ર જમીનનો નથી, ત્રણ ધર્મનું પરિબળ પણ સાથે જોડાયેલું છે. નજીકના ભવિષ્યમાં આ વિવાદનો અંત આવે એવી કોઇ શક્યતાઓ વર્તાતી નથી. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદ સમગ્ર વિશ્વમાં શક્તિશાળી માનવામાં આવે છે. હમાસે આવડા મોટા હુમલાની તૈયારીઓ કરી ત્યાં સુધી મોસાદને ગંધ સુદ્ધાં ન આવી એ સૌથી મોટા આશ્ચર્યની વાત છે!
વિવાદ વધુ ઉગ્ર બનવાનું કારણ છે ધર્મ?
દુનિયામાં જેની ગણના નાના પણ અત્યંત શક્તિશાળી દેશ તરીકે થાય છે એ ઇઝરાયલ પર પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે એક સામટા પાંચ હજાર રોકેટ છોડીને સમગ્ર વિશ્વને ચોંકાવ્યું છે. ઇઝરાયલે વોર ડીકલેર કરીને જબરદસ્ત વળતો પ્રહાર કર્યો છે. બંને પક્ષના મળીને છસ્સોથી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ યુદ્ધથી પણ જે મુખ્ય વિવાદ છે એનો અંત આવે એવી કોઇ શક્યતાઓ નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંઘર્ષનો ઇતિહાસ સો વર્ષ કરતા પણ જૂનો છે. આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે એનું કારણ અહીં આવેલા ત્રણ ધર્મ યહુદી, મુસ્લિમ અને ક્રિશ્ચિયનના ધાર્મિક સ્થળો પણ છે.
ઈતિહાસ જૂનો છે વિવાદ
તો બીજી વાત કરતા પહેલા ઇતિહાસ પર પણ એક નજર નાખવી પડે એમ છે. વાત છેક ઇસવીસન 1897 સુધી લંબાય છે. યહુદીઓ પર પેલેસ્ટાઇન સહિત દુનિયાના અનેક દેશોમાં અત્યાચારો થતા હતા. 1930 બાદ જર્મનીમાં હિટલરે તો તમામ હદો વટાવી નાખી હતી. પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટે યહુદીઓ પેલેસ્ટાઇનમાં જમા થવા લાગ્યા હતા. યહુદીઓએ પોતાના દેશની માંગણી કરી હતી. પેલેસ્ટાઇનના આરબોને એ મંજૂર નહોતું. બંને વચ્ચે લોહીયાળ સંઘર્ષો થતા રહ્યા. એ વખતે આ સમગ્ર વિસ્તારમાં બ્રિટન અને ફ્રાંસનું વર્ચસ્વ હતું.
ઇઝરાયલે 50 વર્ષ પહેલા યુદ્ધના મેદાને આ દેશોને હંફાવી નાખ્યા
યહુદીઓ અને આરબો વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે બ્રિટને 1947માં યુનાઇટેડ નેશન્સમાં એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. તેના આધારે યુનાઇટેડ નેશન્સે એવું કહ્યું હતું કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બે દેશ બનશે. યહુદીઓ ઇઝરાયલમાં રહેશે અને આરબ મુસ્લિમો પેલેસ્ટાઇનમાં વસશે. ઇઝરાયલ તો માની ગયું હતું પણ પેલેસ્ટાઇને ના પાડી દીધી. આ દરમિયાનમાં વિવાદોને લટકતા રાખીને બ્રિટિશરો ચાલ્યા ગયા. તારીખ 14મી મે 1948ના રોજ યહુદીઓએ પોતાના અલગ દેશ ઇઝરાયલની સ્થાપના કરી દીધી હતી. એ સાથે જ પેલેસ્ટાઇને ઇઝરાયલ સાથે લડાઇ ચાલુ કરી દીધી હતી. ઇઝરાયલ એક વર્ષ લડતું રહ્યું. 1949માં આખરે ઇઝરાયલની જીત થઇ હતી. આખો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાઇ ગયો હતો. ઇઝરાયલ, વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી. એ સમયે સાડા સાત લાખ જેટલા પેલેસ્ટાઇનીઓએ ઇઝરાયલ છોડી દીધું હતું. આ યુદ્ધ દરમિયાન આરબોએ ઇઝરાયલનો કેટલાંક વિસ્તાર પડાવી લીધો હતો. ઇઝરાયલ લડીને એ વિસ્તાર પાછો મેળવવો હતો. 1966-67માં ફરીથી યુદ્ધ થયું. આ વખતે ઇઝરાયલ સામે સીરિયા હતું. ઈજિપ્ત, જોર્ડન, ઇરાક અને લેબેનોન પણ આ યુદ્ધમાં ઇઝરાયલની સામે હતા. ઇઝરાયલે આ પાંચેય દેશોને હરાવ્યા તો ખરા જ સાથોસાથ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક પર પાછો કબજો જમાવી લીધો. પેલેસ્ટાઇન આ વિસ્તાર પર પોતાનો દાવો પેશ કરતું રહે છે. આરબો પાછા ઘૂસી ન જાય એ માટે ઇઝરાયલે આ વિસ્તારમાં યહુદીઓને વસાવવાનું પણ શરૂ કરી દીધું હતું. સામા પક્ષે આરબો હમાસ સંગઠન બનાવીને ઇઝરાયલ સામે લડતા રહ્યા. હમાસને ઇરાન, પાકિસ્તાન અને તુર્કીનો સાથ છે.
ઇઝરાયલની શક્તિશાળી સેનાએ ગાઝાને હચમચાવી દીધું
ઇઝરાયલનો હાથ દરેક વખત ઉપર રહ્યો છે પણ આ વખતે પહેલો ઘા કરવામાં હમાસ સફળ રહ્યું છે. હમાસે એક સામટા પાંચ હજારો રોકેટ છોડ્યા ત્યાં સુધી ઇઝરાયલને ભનક સુદ્ધાં ન લાગી હતી. ઇઝરાયલે વળતો પ્રહાર કરીને હમાસને હચમચાવી દીધું એ બરાબર છે પણ અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે, આખરે ઇઝરાયલ ક્યાં થાપ ખાઇ ગયું? ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદની ગણના આખી દુનિયામાં સૌથી શક્તિશાળી એજન્સી તરીકે થાય છે. દુશ્મનોની નાની નાની હિલચાલ પર મોસાદની નજર હોય છે. હમાસની આટલી મોટી તૈયારી હતી એની મોસાદને ખબર જ ન પડી? ઇઝરાયલના નિષ્ણાતોએ કહ્યું કે, અમને કંઇ સમજ ન પડી કે અચાનક આ બધું કેવી રીતે થઇ ગયું! ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ તરત જ સામે આવીને યુદ્ધનું એલાન કરી દીધું. ઇઝરાયલના લોકો પોતાના પવિત્ર તહેવાર સિમચૈટ ટોરાનો છેલ્લો દિવસ ઉજવવામાં વ્યસ્ત હતા ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. હમાસના ઉગ્રવાદીઓ ઇઝરાયલમાં ઘૂસી ગયા. નિર્દોષ લોકો અને એમાં પણ મહિલાઓ અને બાળકો સાથે જે થયું એ કાળજું કંપાવી નાખે એવું છે. યુદ્ધમાં આવું થતું હોય છે એ વાત સાચી પણ જેના પર અત્યાચાર વીતે છે એના માટે આવી ઘટના મોત કરતા પણ વસમી હોય છે. હમાસે સેંકડો ઇઝરાયલીઓને બંદી બનાવ્યા છે. એની સાથે શું થશે એ વિચાર પણ ધ્રૂજારી પેદા કરે એવો છે.
ક્યાં દેશો ઇઝરાયલના સમર્થનમાં આવ્યા?
અમેરિકા અને તેના સાથી દેશો ઇઝરાયલની સાથે છે. આપણા દેશે પણ ઇઝરાયલની આ મુશ્કેલ ઘડીમાં તેની સાથે હોવાની વાત કહી છે. ઇરાન પાકિસ્તાન, તુર્કી સહિત કેટલાંક મુસ્લિમ દેશો હમાસની સાથે છે અને તેને મદદ પણ કરે છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તો બાપે માર્યા વેર છે. ઇરાને કેટલીયે વખત દુનિયાના નકશામાંથી ઇઝરાયલને નેસ્તનાબુદ કરવાની ધમકીઓ આપી છે. આ સંઘર્ષના કારણે ઇઝરાયલે મુસ્લિમ દેશો સાથે કરેલા સમજૂતી અબ્રાહમ એકોર્ડ સામે પણ સવાલો ખડા થયા છે. તારીખ 15મી સપ્ટેમ્બર, 2020ના રોજ અમેરિકામાં યુનાઇટે આરબ અમિરાત, બહેરીન અને સુદાને ઇઝરાયલ સાથે અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી કરી હતી. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ પણ નજીક આવી રહ્યા છે. એ વખતે જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઇઝરાયલે એલાન કર્યું છે કે, આ વખતે દુશ્મનોને પૂરા કરીને જ ઝંપીશું. હમાસ પણ પૂરા જોરથી સામનો કરી રહ્યું છે.
અંતે યુદ્ધ ભોગ બને છે સામાન્ય માણસ
યુદ્ધની વાત નીકળે ત્યારે આખી દુનિયા ડાહી ડાહી વાતો કરે છે. યુદ્ધથી ક્યારેય કોઇનું ભલું થયું નથી. યુદ્ધ બે દેશ વચ્ચે લડાય છે પણ સરવાળે ભોગ તો સામાન્ય માણસ જ બને છે. યુદ્ધમાં એક દેશ જીતે છે અને બીજો દેશ હારે છે પણ ખુવાર તો બંને દેશ થાય છે. સમગ્ર વિશ્વ વાતો એવી જ કરે છે કે, યુદ્ધને નહીં પણ બુદ્ધને અનુસરો. વાત જ્યારે યુદ્ધની આવે ત્યારે માણસ બધું ભુલીને મરવા અને મારવા પર ઉતરી આવે છે. માણસ જાત જ્યારથી અસ્તિત્ત્વમાં આવી ત્યારથી કોઇને કોઇ કારણોસર યુદ્ધ લડાતા આવ્યા છે. દુનિયાના કોઇને કોઇ ખૂણે યુદ્ધ ચાલતા જ રહે છે. રશિયા અને યૂક્રેનનું યુદ્ધ 591 દિવસ થઇ ગયા છે. હજુ ક્યારે આ યુદ્ધ પતશે એ કોઇ કહી શકે એમ નથી. આ દરમિયાનમાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ ખેલાઇ ગયું. અઝરબૈજાને આર્મેનિયાના નાગોર્નો-કારાબાખ પર કબજો જમાવી દીધો. આફ્રિકાના કેટલાંય દેશો આંતરીક સંઘર્ષમાં અટવાયેલા છે. ચીન તાઇવાન સાથે યુદ્ધ કરવાની વાતો કરતું રહે છે. અમેરિકા અને ઇરાનની સેના સામસામે ગોઠવાયેલી છે. આતંકવાદે દુનિયાના અનેક દેશોને ભરડો લીધો છે. આ બધું સરવાળે તો એ જ સાબિત કરે છે કે, માણસનું માનસ યુદ્ધખોર છે. શાંતિના નામે યુદ્ધ લડાય છે અને વધુ અશાંતિ સર્જાતી રહે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધે દુનિયા માટે નવી ઉપાધિઓઓ સર્જી છે. આ યુદ્ધથી બંને વચ્ચે જે વિવાદ છે એ વધુ વકરવાનો છે એ વાત નક્કી છે.