સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકારના ઘોષણાપત્રમાં સ્ત્રીઓને સમાન પ્રતિનિધિત્વ આપવામાં હંસાબેન મહેતાનો ફાળો મહત્વનો.
1947-48ની વાત છે સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવાધિકાર સમિતિના ભારતીય પ્રતિનિધિ તરીકે એ ગુજરાતી મહિલા જાય છે.તેઓએ માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર માટે તેયાર કરાયેલ દસ્તાવેજના પ્રથમ કલમ માં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાવ્યો.આ ફેરફાર શું છે તે જાણવું રસપ્રદ છે.આ ઘોષણાપત્રના પ્રથમ કલમ માં એવી નોંધ હતી કે “All men are born free and equal”. અહીં તેઓને men શબ્દ અનુકૂળ ન જણાયો.અહીં સ્ત્રીઓનો સમાવેશ નહિ થતાં તેઓએ વાંધો ઉઠાવી તરત જ ‘men’ ના સ્થાને ફેરફાર કરી ‘human being’ એટલે કે મનુષ્ય એવો શબ્દ મૂકી સુધારો કરાવ્યો. આમ, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકારના ઘોષણાપત્રમાં સ્ત્રીઓને પણ સમાન પ્રતિનિધિત્વ મળ્યું.સુધારા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તૈયાર કરાયેલ માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્રનો કલમ 1 માં “All human beings are born free and equal”એવું નોંધાયું. માનવ અધિકાર માં મહિલાઓ પણ સરખા ભાગે હિસ્સેદાર છે અને તેને પણ સરખો હક મળવો જોઈએ આવું મક્કમપાણી માનનાર આ મહિલા એટલે હંસાબેન મહેતા.
આજે તેઓને યાદ કરવાનું કારણ એ છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ડિપ્લોમાસી નિમિત્તે યુનાઇટેડ નેશનલ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પ્રમુખ ડેનિસ ફ્રાંસીસે આપણા ગુજરાતના જાણીતા સમાજ સુધારક શિક્ષણવિદ અને આઝાદીના લડવૈયા એવા હંસાબેન મહેતાને ને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેઓએ હંસાબેન મહેતા ની વિચારધારા તેમની સર્વ સમાવેશક નીતિઓ,કામગીરી તેમજ અવરોધને પાર કરવા માટેના મજબૂત મનોબળને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે માનવ અધિકારનો વિચાર ખરા અર્થમાં વૈશ્વિક છે તેનો શ્રેય પણ હંસાબેન મહેતાને આપ્યો હતો. તેઓએ જે કલમ એકમાં સુધારો કરાવ્યો હતો તેના કારણે સમગ્ર અભિગમ બદલાઈ ગયો હતો તેઓએ માત્ર પુરુષ કે સ્ત્રી નહીં પરંતુ દરેક માનવી સમાન છે એવો વિચાર વિશ્વને આપ્યો હતો.
તેઓ નાનપણથી અભ્યાસમાં તેજસ્વી હતાં. ગણિત અને ભૂમિતિ પર નાનપણથી જ તેમનું પ્રભુત્વ હતું.અભ્યાસની સાથોસાથ નાનપણથી જ તેમનામાં નેતૃત્વ ક્ષમતા હતી. નેતૃત્વશક્તિને લીધે તેઓ બૉમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશનની વડોદરા શાખાનાં પ્રમુખ બન્યાં હતાં.
સ્વાતંત્ર્ય ચળવળની ભાવનામાં રંગાઈને તેમણે વિદ્યાર્થીસમાજની પણ સ્થાપના કરી.વિદેશમાં અભ્યાસ દરમિયાન મળેલાં સાથીદારોને કારણે ન માત્ર તેઓ ભારતની સ્વતંત્રતાના ધ્યેય સાથે જોડાયાં, પરંતુ ભારતમાં સ્ત્રીઓના મુદ્દાઓ તરફ કામ કરવાની તેમને પ્રેરણા મળી. તેઓ પણ એ સમયની અન્ય મહિલા સ્વતંત્રતા સેનાનીઓની માફક ગાંધીજીને અનુસરતા.
તેમના વિદેશપ્રવાસો દરમિયાન તેમણે જોયું કે જુદાજુદા દેશોમાં સ્ત્રીસશક્તીકરણ માટે ચળવળો ચાલી રહી છે. તે વખતે તેમને ખ્યાલ આવ્યો કે બહારના દેશોમાં જે પ્રકારે મહિલાઓના મુદ્દે જાગૃતિ આવી છે તેટલી આપણા દેશમાં નથી.હંસાબહેને માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં માનવાધિકાર ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.એક ગુજરાતી તરીકે દરેકને હંસાબેન મહેતા પર ગર્વ થાય એ સ્વાભાવિક છે.4 એપ્રિલ 1995ના રોજ 98 વર્ષની વયે તેઓનું અવસાન થયું પરંતુ તેઓએ વિશ્વને આપેલ લિંગસમાનતા માટે તેઓ ચિર સ્મરણીય રહેશે.