- જેક્લીન સામેનો મની લોન્ડરિંગનો કેસ રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી
- જેકલીનને સુકેશ અને તેના સહયોગીઓના ગુનાની જાણકારી નહોતી: અરજી
- જેક્લિને PMLA 2002 હેઠળ મની લોન્ડરિંગનો કોઈ અપરાધ નથી કર્યો
બૉલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝે તેની સામે નોંધાયેલ મની લોન્ડરિંગનો કેસ રદ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. જેકલીને રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં EDની ફરિયાદ અને તેમની પૂરક ચાર્જશીટને કોર્ટમાં પડકારી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જેકલીનને પ્રોસિક્યુશન તરીકે રજૂ કરવામાં આવી છે. આ કારણે ચુકાદો જેકલીનની તરફેણમાં આવે તેમ લાગી રહ્યું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આના પરથી ખ્યાલ આવે છે કે જેકલીનને સુકેશ ચંદ્રશેખર અને તેના સહયોગીઓના ગુનાની કોઈ જાણકારી નહોતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેક્લિને PMLA 2002 હેઠળ મની લોન્ડરિંગનો કોઈ અપરાધ નથી કર્યો અને ન તો તે કોઈપણ પ્રકારના ગુનામાં સામેલ હતી.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રેનબેક્સીના ભૂતપૂર્વ માલિક શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહની ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો નથી કે અરજદાર જેકલીન ફર્નાન્ડીઝે કોઈપણ રીતે મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરને કથિત અપરાધ કરવા માટે સક્રિયપણે ઉશ્કેર્યા કે તેની કોઈ રીતે મદદ કરી હોય.
જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેના પર જૂન 2020 થી મે 2021 દરમિયાન અદિતિ સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.


