નવા કોર્ટ બિલ્ડીંગનું CJIના હસ્તે ઉદઘાટન : સોમવારથી રાજકોટની ૪૭ કોર્ટ એક બિલ્ડિંગમાં બેસશે
અગ્ર ગુજરાત, રાજકોટ
આજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.ડી.ચંદ્રચુડના હસ્તે નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન થઇ રહ્યું છે. નવા કોર્ટ બિલ્ડીંગમાં એક સાથે ૪પ કોર્ટ બેસશે. જે ઇતિહાસની પ્રથમ ઘટના હશે. આ સાથે હાલમાં જૂની કોર્ટમાં જુદી-જુદી કોર્ટના કુલ મળી ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. ન્યાયતંત્રમાં ઝડપી ન્યાય મળે તે માટે હજુ ઘણુ કરવાનું બાકી છે. નવી કોર્ટમાં નવી સવલતો સાથે ઝડપથી કામ થવાની આશા છે.
દરમિયાનમાં રાજકોટના જામનગર રોડ, ઘંટેશ્વર ખાતે રૂ. ૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.જે.ચંદ્રચૂડ ઉદ્દઘાટન કરવાના છે. જે ખૂબ જ સારી બાબત છે પરંતુ તેની સાથોસાથ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં વર્ષોથી પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસોના ભારણને ધ્યાનમાં લેવું જોઇએ અને તે મુજબ રાજકોટનું નવી કોર્ટો શરૂ કરવા મંજુરી આપવી જોઇએ અને તેમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ, સોમવારથી ૪૭ કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે.
રાજકોટ શહેરમાં હાલ ૪૭ જેટલી ક્રિમિનલ અને સિવિલ કોર્ટ કાર્યરત છે અને તેમાં કુલ ૧,૧3,૫૭3 જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાં ૮૭૦૯૨ ક્રિમિનલ કેસો અને ૨૬૪૮૦ સિવિલ કેસોનો સમાવેશ થાય છે. આ પેન્ડિંગ કેસોમાંથી હજાર કેસો તો 3૦ થી ૪૦ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ છે કે જેમાં અમુક કેસોમાં ફરીયાદીઓ તો અમુક કેસોમાં આરોપીઓ તો અમુક કેસોમાં સાક્ષીઓના નિધન પણ થઇ ગયા છે. મોટાભાગના કેસમાં તો તપાસનીશ અધિકારીઓ નિવૃત્ત પણ થઇ ગયા છે અને અમુક કેસના તપાસનીશ અધિકારીઓ હાલ હયાત પણ નથી અને છતાં આ કેસો હજુ સુધી બોર્ડ પર આવ્યા નથી અને ન્યાય કયારે મળશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં કેસના ભારણને ધ્યાનમાં લઇને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાસે નવી પાંચ એપેલન્ટ કોર્ટ શરૂ કરવી જોઇઅ અને ૧૦ નીચલી કોર્ટ શરૂ કરવી જોઇએ. જો મુદ્દે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો પેન્ડિંગ કેસોનો ભરાવો ઝડપથી ઓછો થાય અને પીડિતોને ન્યાય મળી શકે.
અગાઉ નિર્ધારીત થયેલા કાર્યક્રમ મુજબ સીજેઆઇ ચંદ્રચૂડ દિલ્હીથી પોતાના ધર્મપત્ની સાથે ઇન્ડિગોની ફલાઇટમાં શુક્રવારે સાંજે ૫.૧૫ વાગ્યે રાજકોટ આવી ગયા બાદ ચોપરમાં સોમનાથ દર્શન કરવા જવાના હતા અને રાત્રે રોકાણ સોમનાથ કરવાના હતા. તેમના ધર્મપત્ની સાથે રાજકોટ પહોંચ્યા બાદ અંધારાને કારણે ચોપરાને સોમનાથમાં લેન્ડિંગનો પ્રશ્ન થાય તેમ હોવાથી રાત્રી રોકાણ રાજકોટની સિઝન્સ હોટેલમાં કરવાનો નિર્ણય કરાયો છે. હવે તેઓ શનિવારે સોમનાથ-દ્વારકા દર્શનાર્થે જશે.
ફેમિલી કોર્ટ શિફટ ન કરાતાં પીડિતાઓને હેરાનગતિ થશે
નવા કોર્ટ બિલ્ડિંગમાં માત્ર ૪૭ ક્રિમિનલ અને સિવિલ કેસોની કોર્ટ જ શિફ્ટિંગ કરવામાં આવનાર છે. જયારે ફેમિલી કોર્ટ તેના જૂના સ્થાને જ રાખવામાં આવનાર છે. ત્યારે આ નિર્ણયથી પીડિત મહિલાઓને જ વધુ હેરાનગતિ થશે. ફેમિલી કોર્ટમાં ભરણપોષણ, ડાયવોર્સ અને ગાર્ડિયનના કેસો ચાલશે અને તેની સાથે જ પીડિતોના ઘરેલું હિંસા અને સ્ત્રી અત્યાચાર સહિતના કેસ નવી કોર્ટ ખાતે ચાલશે. ત્યારે એક જ પીડિતા બન્ને પ્રકારના કેસમાં હશે. તો તેની હાલત શું થશે તે સતાધીશોએ વિચાર્યું જ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.