કોરોનાના સમયમાં સાધુ સંતોના સંગના કારણે યુવાન દીકરીઓના જીવનમાં આવ્યું પરિવર્તન: આખો પરિવાર લેશે દીક્ષા
દીકરી વિરતી અને વીરિકા એ માતા પિતાને સંયમ ગ્રહણ કરવા આપી પ્રેરણા
કોરોનાના સમયમાં લૉકડાઉન દરમિયાન અમદાવાદના સૅટેલાઇટ વિસ્તારમાં ચાતુર્માસ માટે બિરાજમાન તેમનાં ગુરુ સાધ્વી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજસાહેબ સાથે ઘનિષ્ઠ પરિચય અને સત્સંગમાં આવેલી શાહ પરિવારની ૧૫ વર્ષની વિરતિ તેજસ શાહ અને તેની ૧૨ વર્ષની નાની બહેન વિરિકા શાહને સંયમમાર્ગે જવાના ઊંચા ભાવ થયા હતા. બન્ને પુત્રીઓ તેમના ૪૪ વર્ષના બિઝનેસમૅન પિતા તેજસ હસમુખ શાહ અને ૪૨ વર્ષની માતા પૂર્વીબહેન તેજસ શાહ સાથે ૧૮ જાન્યુઆરીએ બોરીવલી-વેસ્ટમાં આવેલા શ્રી બોરીવલી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ મંડપેશ્વર રોડના નેજા હેઠળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને ચંદ્રધર્મચક્ર તપ પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં બોરીવલી-વેસ્ટના ચંદાવરકર રોડ પર ડૉન બૉસ્કો સ્કૂલની બાજુમાં આવેલા પુષ્પાંજલિ ગ્રાઉન્ડમાં સવારે આઠ વાગ્યે સંયમ ગ્રહણ કરશે.
તેજસ ભાઈના માતાના જણાવ્યા અનુસાર બંને દીકરીઓના પિતા તેજસ શાહને પણ દીક્ષાના ભાવ હતા પરંતુ યોગ ન આવતા સાંસારિક જવાબદારી નિભાવવી પડી હતી.2003 ની સાલમાં તેજસભાઈ, પૂર્વીબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા.2008 માં દીકરી વિરતીનો જન્મ થયો ને 2011માં બીજી દીકરી વિરિકા નો જન્મ થયો.બંને પુત્રીઓ નાનપણથી ખૂબ જ ધાર્મિક હતી.વિરતિએ ચાર વર્ષની ઉંમરે આઠ ઉપવાસ (અઠ્ઠાઈ તપ)ની આરાધના કરી હતી અને આઠ વર્ષની નાની ઉંમરે વિરતિએ ૪૭ દિવસના ઉગ્ર ઉપધાન તપની આરાધના કરીને મોક્ષમાળ પહેરી હતી. આ તપ ઉપાશ્રયમાં કે ખુલ્લા મેદાનમાં તંબુ નીચે રહીને કરવાનું હોય છે, જેમાં સાધુ જીવન જીવવાનું હોય છે.
બીજી દિકરી વિરિકાએ પણ સાત વર્ષની નાની ઉંમરે અઠ્ઠાઈ કરી હતી. બોરીવલીના મંડપેશ્વર સંઘમાં ૨૦૧૮માં સાધ્વીજી દિવ્યયશાશ્રીજી મહારાજસાહેબનું ચાતુર્માસ હતું ત્યારે વિરિકાએ ૪૫ બિયાસણાં અને અઠ્ઠાઈ કરી હતી. ત્યારથી વિરિકા અને વિરતિ સાધ્વીજીના પરિચયમાં આવી અને તેમની નિશ્રામાં બન્ને પુત્રીઓએ ધાર્મિક જ્ઞાન અને ક્રિયાઓનો પાયો નાખ્યો હતો. બંને દીકરીઓ સાથે પિતા તેજસભાઇ અને માતા પૂર્વીબેન પણ સંયમ ગ્રહણ કરશે.