- તરભ વાળીનાથ મહાદેવ સુર્વણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો ઉત્સવ
- રૂ.1,3601 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- વાળીનાથ ઘણી વખત આવ્યો છું, પણ આજની રોનક કઇંક ઓર છ
તરભ વાળીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહા શિવલીંગની પૂજા કર્યા બાદ રૂ.1,3601 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્વપૂર્ણ બની રહ્યો છે.
આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં લોકોનું જીવન સરળ બનશે. પૂજા બાદ સભા મંડપમાં ખુલ્લી ગાડીમાં માદરે વતનના નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સર્વે નાગરિકોએ ઉત્સાહભેર વાળીનાથ ભગવાનની જયઘોષ કરી આવકાર આપ્યો હતો.
તરભ વાળીનાથ અખાડા શિવધામ ખાતે નવિન શિવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા ગુરૂપુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. જેમાં મહંત જયરામગિરિબાપુની હાજરીમાં મંત્રોનું ઉચ્ચારણ કરીને શિવલિંગને પાણી અને જળનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ બિલિપત્ર ચઢાવીને પુષ્પો અર્પણ કર્યા હતા. અંતે આરતી ઉતારી પ્રસાદ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ જન સંબોધન વખતે જણાવ્યું હતું કે આજે બળદેવગિરિ બાપુનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. કોઈપણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે, કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું શ્રોષ્ઠ જતન કર્યું છે. અમારી સરકારે વિકાસ સાથે વિરાસતના જતન-સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આજે ભાવી પેઢી માટે વિરાસત બનાવવાનું કામ થઈ રહ્યું છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
વડાપ્રધાન ખુલ્લી જીપમાં વાળીનાથ મંદિર સુધી પહોંચ્યા, ભકતોનું અભિવાદન ઝીલ્યું
રોડ શોમાં વડાપ્રધાનની ઝલક મેળવવા જંગી જનમેદની ઊમટી
હેલિપેડ ઉપર ઉતરાણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે રસ્તાની બન્ને બાજુ માનવ મહેરામણ ઉમટયો હતો. એસપીજીના કમાન્ડો અને સ્થાનિક પોલીસ અધિકારીઓના બંદોબસ્ત સાથે નીકળેલા વડાપ્રધાને હજારો જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે પગપાળા વાળીનાથ સંકુલમાં પ્રવેશ કર્યો ત્યારે સંતો અને મહંતોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યાંથી તેઓ સીધા વિશાળ શિવાલયમાં પહોંચ્યા હતા.
વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ગુજરાતભરના શ્રાદ્ધાળુઓએ મોડી સાંજ સુધી દર્શન કર્યાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે 2.15 કલાકે કાર્યક્રમ સ્થળેથી નીકળ્યા બાદ ભવ્ય મહાશિવલિંગના દર્શન માટે મંદિર ખુલ્લું મૂકાયું હતું. ચારધામ અને બાર જ્યોતીર્લીંગ તેમજ ભારતના અનેક તીર્થ સ્થાનોમાં રુદ્રાભિષેક પૂજન અર્ચન દ્વારા દિવ્ય તેજોમય ઉર્જા પામેલા પવિત્ર મહાશિવલીંગના મંદિરમાં સ્થાપન બાદ લાખો શિવભકતોએ દર્શનનો લ્હાવો લીધો હતો. ગુજરાતભરના સમગ્ર રબારી સમાજને એક તાંતણે જોડવાનું શુભકાર્ય તરભ વાળીનાથ ધામ દ્વારા થયું છે. આ અજોડ શિવાલયમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વાળીનાથ મહાદેવ, જમણી બાજુના ગર્ભગૃહમાં ગુરુશ્રી દત્તાત્રેય ભગવાન અને ડાભી બાજુના ત્રીજા ગર્ભગૃહમાં રબારી સમાજના કુળદેવી પરામ્બા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ બિરાજમાન કરાઈ છે. અતિદુર્લભ એવા ગુરુપુષ્ય અમૃત સિધ્ધ યોગના શુભ મુહૂર્તમાં શંકારાચાર્યો, મહામંડલેશ્વરો, મહામઠાપતિઓ, સિધ્ધ મહાતપસ્વી સંતો, મહંતો તેમજ લાખો સમુદાયની ઉપસ્થિતિમાં વેદપાઠી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી પ્રસ્થાપિત થયેલા મહાશિવલીંગના દર્શન કરવા મોડી રાત સુધી ભકતોની કતારો લાગી હતી. 68 ધર્મ સ્તંભો ઉપર નાગરશૈલીમાં નવનિર્મિત થયેલ આ શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. ઉ.ગુજરાત ઉપરાંત કચ્છ અને રાજસ્થાનથી આવેલ રબારી સમાજના ભાઈઓ-બહેનોએ વાળીનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તમામ ભકતજનો માટે મોડી રાત સુધી ભોજન પ્રસાદની અને રહેવાની વ્યવસ્થા ચાલુ રખાઈ હતી.
સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો રહ્યા હાજર
તરભ વાળીનાથ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સભ્યો મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ, સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્યો સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, કરશનભાઈ સોલંકી, સુખાજી ઠાકોર અને કીરિટભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા પંચાયતનાં પ્રમુખ તૃષાબેન પટેલ તેમજ રાજ્યના અન્ય વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


